Cyclone Biparjoy : વાવાઝોડુ જખૌથી હવે માત્ર 180 કિલોમીટર દૂર
બિપોરજોય વાવાઝોડુંઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન બિપોરજોય છે. ત્યારે હવે આ વાવાઝોડાને (cyclone biparjoy) લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ વાવાઝોડુ કચ્છના જખૌથી હવે માત્ર 180 કિલોમીટર દૂર છે. વાવાઝોડુ જખૌ બંદર થી લગભગ 180 કિમી પશ્ચિમ -દક્ષિણપશ્ચિમમાં છે. દેવભૂમિ દ્વારકાથી 210 કિમી પશ્ચિમે, નલિયાથી 210 કિમી પશ્ચિમ- દક્ષિણપશ્ચિમમાં છે.
વાવાઝોડા બિપોરજોયની અસર પાકિસ્તાનમાં પણ વર્તાવાની શરૂ થઈ ગઈ છે. ભારે પવન ફૂંકાવાની સાથે ધૂળની ડમરીઓ ઊડી રહી છે. દરિયામાં પણ ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે. સિંધ પ્રાંતમાં હાઇ એલર્ટ જાહેર કરી દેવાયું છે અને લોકોના સ્થળાંતર માટે સેના બોલાવાઈ છે. પાકિસ્તાનની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ લોકોને દરિયાકિનારેથી દૂર રહેવા અપીલ કરી છે.
વાવાઝોડા પહેલા રાખવાની તકેદારીઓ
આગાહી માટે રેડિયો, ટી.વી. પર સમાચારો સતત સાંભળતા રહેવા, તેમજ અફવા ફેલાવવી નહીં, ગભરાવું નહીં. ઘરના બારી-બારણાં અને છાપરાની મજબૂતી તપાસવી. ફાનસ, ટોર્ચ, ખાવાની વસ્તુઓ, પાણી, કપડાં, રેડિયો જેવી તાત્કાલિક જરૂરિયાતની વસ્તુઓ તૈયાર રાખવી, જરૂરી અને કિંમતી સામાન પ્લાસ્ટિકમાં પેક કરી શક્ય હોય તો ઉપરના માળે ખસેડી લેવો, વાહનો સલામત સ્થળે તેમજ ચાલી શકે તેવી સ્થિતિમાં રાખવા, જોખમી વિસ્તારમાં રહેતા લોકોએ વાવાઝોડાની પ્રથમ આગાહી સમયે જ જરૂર જણાયે સલામત સ્થળે ખસી જવું તેમજ પોતાના પ્રાણીઓને પણ સલામત સ્થળે લઈ જવા.
વાવાઝોડા દરમિયાન રાખવાની તકેદારીઓ
પાણીના સ્ત્રોતથી દૂર રહેવું તથા ઝાડ કે થાંભલાઓ પાસે ઊભા ના રહેવું. ઘરની બહાર નીકળવાનું ટાળવું, વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા, ઘરના તમામ બારી બારણાં બંધ કરી દેવા, ટેલિફોન દ્વારા શક્ય હોય તો કંટ્રોલ રૂમમાંથી સાચી માહિતી મેળવવી અને અફવાઓથી દૂર રહેવું.
વાવાઝોડા બાદ રાખવાની તકેદારીઓ
સૂચના મળ્યા પછી જ ઘરની બહાર નીકળવું, અજાણ્યા પાણીમાંથી પસાર થવું નહીં તેમજ ખુલ્લા - છૂટા પડેલા વાયરોને અડકવું નહી, ઇજા પામેલાઓને પ્રાથમિક સારવાર આપી દવાખાને ખસેડવા, કાટમાળમાં ફસાયેલાઓને તાત્કાલિક બચાવ કરવો, ક્લોરિનયુક્ત પીવાના પાણીનો ઉપયોગ કરવો, ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ કરવો. સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે.
આ પણ વાંચો : ‘બિપોરજોય’ વાવાઝોડું કયા સમયે ગુજરાતમાં પહોંચશે, IMD એ આપ્યો જવાબ