બિપોરજોય વાવાઝોડાની અસર અમદાવાદ શહેરમાં, આગ લાગવા સહિતના અનેક બનાવો બન્યા
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડું લેન્ડ ફોલ કરી ચુક્યું છે. મોડી રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ કચ્છમાં જખૌથી ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાએ પ્રવેશ કર્યો અને આખી રાત વાવાઝોડાએ કહેર વરસાવ્યો છે. બિપોરજોય વાવાઝોડાની અસર અમદાવાદ શહેરમાં જોવા મળી છે.
મહત્વનું છે કે, ભારે પવનના કારણે શહેરમાં વિવિધ બનાવ બન્યા છે. ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમમાં આગ લાગવાના 9 બનાવ અને ઝાડ પડવાના 5 બનાવો, ઈલેક્ટ્રિક પોલ પડવાના 3 બનાવો અને સાઈન બોર્ડ પડવાના 3 બનાવ સામે આવ્યા છે. ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાં કુલ 20 જેટલા કોલ મળતા કામગીરી હાથ ધરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, ગુજરાત બાદ આજે રાજસ્થાનમાં બિપોરજોય વાવાઝોડું ટકરાશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજ સાંજ સુધીમાં રાજસ્થાનમાં પ્રવેશી વાવાઝોડું આલમસર, બૂટ, બાડમેર, સિંદરી, પટોડી, જોધપુર થઈને આગળ વધશે તેવી શક્યતા છે. આ ઉપરાંત વાવાઝોડાની અસર પંજાબ રાજ્ય પર પણ થાય તેવી આશંકા છે. 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
મહત્વનું છે કે, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે. તથા સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ છે. આજે ગુજરાતના 17 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં ખાસ કરીને પાટણ અને બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ આજે પડી શકે છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા અને અરવલ્લી પણ આજે વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો : Photos : બિપોરજોયે ગુજરાતમાં મચાવી તબાહી, ક્યાંક વૃક્ષ તો ક્યાંક દીવાલ ધરાશાયી