'દેશને નકારાત્મકતાની જરૂર નથી...' PM મોદીની બજેટ પહેલા વિપક્ષને અપીલ
સંસદનું ચોમાસુ સત્ર (The Monsoon Session) 22 જુલાઈ સોમવારથી શરૂ થઈ રહ્યું છે. આ સત્ર દેશવાસીઓના સપનાનો પાયો નાખવા જઈ રહ્યું છે. આ સત્રમાં દેશનું બજેટ (Budget) રજૂ કરવામાં આવશે. આ સત્રની શરૂઆત પહેલા PM મોદીએ સંસદની બહાર રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. દરમિયાન તેમણે કહ્યું કે, આજે શ્રાવણનો પહેલો સોમવાર છે. આ શુભ દિવસે એક મહત્વપૂર્ણ સત્ર શરૂ થઈ રહ્યું છે. હું દેશવાસીઓને શ્રાવણના પહેલા સોમવારની શુભેચ્છા પાઠવું છું. સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આજે આખો દેશ વિચારી રહ્યો છે કે આ સકારાત્મક સત્ર હોવું જોઈએ.
આવું 60 વર્ષમાં પહેલીવાર બન્યું...
પોતાના સંબોધનમાં PM મોદીએ કહ્યું કે હું આને ભારતના લોકતંત્રની ભવ્ય યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન તરીકે જોઉં છું. અંગત રીતે, મારા માટે અને અમારા બધા સાથીઓ માટે આ ખૂબ જ ગર્વની વાત છે કે લગભગ 60 વર્ષ પછી, કોઈ સરકાર ત્રીજી વખત ફરી આવી છે અને ત્રીજી ઇનિંગનું પ્રથમ બજેટ રજૂ કરે છે. તેમણે આ દરમિયાન વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે, દેશને નકારાત્મકતાની જરૂર નથી... કડવાશ દૂર કરો.
ચૂંટાયેલી સરકારનો અવાજ દબાવવાનો કરાયો પ્રયત્ન - PM મોદી
પોતાના સંબોધનમાં PM મોદી વિપક્ષ પર નારાજ દેખાયા હતા. PM મોદીએ કહ્યું કે, ગયા સત્રમાં વિપક્ષ દ્વારા લોકશાહીનું ગળું દબાવવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાનનો અવાજ અઢી કલાક સુધી દબાવી દેવામાં આવ્યો હતો. PM મોદીએ કહ્યું કે સંસદ દેશ માટે છે કોઈ પાર્ટી માટે નહીં.
બજેટનો પણ ઉલ્લેખ
PM મોદીએ 23 જુલાઈએ રજૂ થનારા બજેટનો પણ ઉલ્લેખ કર્યો. PM મોદીએ કહ્યું કે અમે આવતીકાલે જે બજેટ રજૂ કરીશું તે અમૃતકાળનું મહત્વનું બજેટ છે. અમને પાંચ વર્ષની તક મળી છે, આ બજેટ તે પાંચ વર્ષ માટે અમારી દિશા નક્કી કરશે. આ બજેટ 2047 સુધીમાં વિકસિત ભારતના સપનાઓને મજબૂત બનાવશે. દરેક નાગરિક માટે એ ખૂબ જ ગર્વની વાત છે કે મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશોમાં ભારત સૌથી ઝડપથી વિકસતો દેશ છે. છેલ્લા 3 વર્ષમાં અમે સતત 8 ટકા વૃદ્ધિ સાથે આગળ વધી રહ્યા છીએ.
આ પણ વાંચો: આજથી શરૂ થશે સંસદનું ચોમાસુ સત્ર, આવતીકાલે નાણામંત્રી સીતારમણ રજૂ કરશે Budget