વાવાઝોડું 'બિપોરજોય' આજે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે, 74 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું
ચક્રવાત બિપોરજોય આજે સાંજે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. વાવાઝોડું કચ્છ જિલ્લાના જખૌ બંદર પર લેન્ડફોલ કરશે. એવું અનુમાન છે કે જ્યારે વાવાઝોડું ગુરુવારે સાંજે દરિયાકાંઠે ટકરાશે ત્યારે તેની ઝડપ 125 થી 150 કિમીની હશે. સંભવિત નુકસાનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકારની સાથે વહીવટી તંત્ર પણ રાહત અને બચાવ કાર્યની તૈયારીમાં વ્યસ્ત છે.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (ઓપરેશન્સ) મોહસીન શાહિદીના જણાવ્યા અનુસાર, છેલ્લા બે દિવસમાં 74,000 થી વધુ લોકોને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. એક અંદાજ છે કે વાવાઝોડાને કારણે 8 જિલ્લાના 442 નીચાણવાળા ગામો પૂર અને વરસાદથી પ્રભાવિત થઈ શકે છે.
એકલા કચ્છમાં જ લગભગ 34,300 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ પછી જામનગરમાં 10,000, મોરબીમાં 9,243, રાજકોટમાં 6,089, દેવભૂમિ દ્વારકામાં 5,035, જૂનાગઢમાં 4,604, પોરબંદર જિલ્લામાં 3,469, ગીર સોમનાથ જિલ્લામાં 1,605 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં 18 ટીમો સક્રિય
NDRF એ વાવાઝોડાનો સામનો કરવા માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ટીમો તૈનાત કરી છે. ગુજરાતમાં 18 ટીમો સક્રિય રહેશે. આ ઉપરાંત દાદર અને નગર હવેલી તેમજ દમણ અને દીવમાં પણ ટીમ હાજર રહેશે. ગુજરાતની વાત કરીએ તો NDRF ની 4 ટીમો ગુજરાતના કચ્છ જિલ્લામાં, ત્રણ ટીમ રાજકોટમાં અને ત્રણ ટીમ દ્વારકામાં તૈનાત કરવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં 14 ટીમો તૈનાત રહેશે
ગુજરાતના જામનગરમાં બે ટીમો, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી, વલસાડ અને ગાંધીનગરમાં એક-એક ટીમ તૈનાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં 14 ટીમો તૈનાત કરવામાં આવી છે. તેમાંથી 5 ને મુંબઈમાં તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે બાકીનાને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. દરેક ટીમમાં લગભગ 35-40 કર્મચારીઓ છે. સમગ્ર ટીમો બધીજ જરૂરી સામગ્રીથી સજ્જ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 જૂને અરબી સમુદ્રના ઉત્તર-પૂર્વમાં ઘણી હલચલ જોવા મળશે. દરિયામાં 9 ફૂટથી લઈને 20 ફૂટ સુધીના તોફાની મોજા ઉછળશે. દરિયામાં હાઈ-ટાઈડ આવવાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે નુકસાન થવાની સંભાવના છે. ખતરો માત્ર દરિયામાંથી ઉછળતા મોજા અને તોફાનોનો જ નથી, હવામાન વિભાગ દ્વારા મુશળધાર વરસાદનું એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં રેકોર્ડબ્રેક વરસાદની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં વાદળ ફાટવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો : Cyclone Biparjoy : વાવાઝોડાની અસર રાજકોટમાં જોવા મળી, Video વાયરલ