આગાની 36 કલાક ગુજરાત માટે ભારે, ચક્રવાત 'બિપોરજોય' બની રહ્યો છે હવે અતિપ્રચંડ
અરબ સાગરમાં સર્જાયેલો ચક્રવાત 'બિપોરજોય' હવે અતિપ્રચંડ બની રહ્યો છે. વાવાઝોડું હાલ પ્રતિ કલાક 8 કિલોમીટરથી ગતિથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, દરિયા કાંઠાના વિસ્તારોમાં જોરદાર અસર વર્તાઈ રહી છે. આગામી 36 કલાક ગુજરાત માટે ભારે લાગી રહ્યા છે. પંજાબમાંથી પણ 5 NDRF ની ટીમ એર લિફ્ટ કરાઈ છે. જ્યારે તામિલનાડુની 5 NDRFની ટીમને સ્ટેન્ડબાય રખાઈ છે. સાથે જ આર્મીની ટીમ પરિસ્થિતિને પહોંચી વળવા જામનગરથી દ્વારકા પહોંચી ગઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 15 જૂને વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકી શકે છે. ત્યારે માંડવીના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે, જેને લઈ ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે.
રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં સંભવિત વાવાઝોડાંની પરિસ્થિતિને પગલે નાગરિકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપીલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના લોકોને અપિલ કરતા જણાવ્યું કે, રાજ્ય સરકારે વાવાઝોડાંને પહોંચી વળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર મેનેજમેન્ટની વ્યવસ્થા ગોઠવી છે. ઝીરો કેઝ્યુલિટીના એપ્રોચ સાથે રાજ્ય સરકારે આગોતરા બચાવ-રાહત અને પુનઃવ્યવસ્થાપન માટેનું આયોજન સુનિશ્ચિત કરી લીધું છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અપાતી સૂચનાનું પાલન કરો. ખાસ કરીને ભારે વરસાદ અને ભારે પવનની આગાહીને પગલે ઘરમાં જ રહો બહાર નિકળવાનું ટાળો, વૃક્ષ નીચે, થાંભલા નીચે કે જૂના જર્જરિત મકાનોમાં આશ્રય લેવાનું ટાળો, વીજ ઉપકરણોને અડવું નહી, વીજ થાંભલાથી દૂર રહેવું, જરૂરીયાતના સમયે સ્થાળાંતર માટે તંત્રને સહયોગ કરો તેમજ તંત્રની સૂચનાનું પાલન કરો.
સંભવિત આફતમાં કેઝ્યુલિટી અને નુકસાનને ઘટાડવા માટે રાજ્ય સરકાર આફત પહેલા જ એલર્ટ બની છે. સ્વભાવિક છે કે, કુદરતી આફતને રોકવી મુશ્કેલ છે. પરંતુ, આફતના કારણે થનારા સંભવિત નુકસાનને જરુરી ઘટાડી શકાય તેમ છે. ત્યારે રાજ્ય સરકાર દરિયાકાઠાના 0 થી 5 કિમીના વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી.
રાજ્યમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ચક્રવાતી તોફાન "બિપોરજોય"ને કારણે ST સેવાને અસર ન પડે તે માટે પગલા લેવામાં આવ્યા છે. સોમનાથ, મહુવા, દિવ, પોરબંદર, વેરાવળ, માંગરોળ જતી અંદાજિત 300 થી 350 બસો રદ કરવામાં આવી છે, જ્યારે 60 જેટલી બસોના રૂટ ટૂંકાવ્યા છે.આ ઉપરાંત દરિયાઈ વિસ્તારોના ડેપોના તમામ ઓપરેશન્સને હાલ બંધ કરવાનો નિર્ણય ગુજરાત એસટી વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. તો બીજી તરફ મુસાફરોની સલામતી અને ટ્રેન સંચાલનમાં સુરક્ષા માટે સાવચેતીના પગલા તરીકે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે.
આ પણ વાંચો : દરિયામાં ઠંડા પવનોની રમત, જાણો બિપરજોયની આફત બનવાની કહાની