VADODARA : ગાયની અડફેટે યુવતિના મોત બાદ ત્રણ ઢોરવાડા દુર કરાયા
VADODARA : વડોદરા શહેરના ઉંડેરા તળાવ રામદેવ પાર્ક નજીકથી ગત સોમવારે એકટીવા ઉપર પસાર થતી 32 વર્ષની યુવતિને ગાયે અડફેટમાં લેતા તેનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજયું હતું. આ ચકચારી ઘટનાને પગલે શુક્રવારે પાલિકા દ્વારા ઉંડેરા ગામના ત્રણ ઢોરવાડા તોડી નાંખી આઠ ગાયો કબ્જે કરી પશુપાલકને 4000નો દંડ ફટકારતા વિસ્તારના પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. (VMC REMOVE THREE CATTLE SHEDS AFTER WOMAN LOST LIFE DUE TO STRAY CATTLE - VADODARA)
ટુંકી સારવાર બાદ મોત નિપજ્યું
સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, કોયલી, ઝવેરપુરા, ભારત પેટ્રોલ પંપ નજીક રહેતા સુરેખાબેન ગણપતભાઇ સોલંકી (3ર) સોમવારે પોતાની એકટીવા લઇ ગોત્રી જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન ઉંડેરા તળાવ નજીક અચાનક ધસી આવેલી ગાયને કારણે સુરેખાબેન સોલંકી એકટિવા સાથે રોડ ઉપર પટકાતા તેમને ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત થયા હતા. જે બાદ તેમને 108ની મદદથી સારવાર માટે સયાજી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.
લોકોમાં રોષની લાગણી ભભુકી ઉઠી હતી
જવાહરનગર પોલીસે બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત જે સ્થળે થયો ત્યાં મોટાપાયે પશુપાલકોના ઢોરવાડા હોવાને કારણે તેઓ ઢોરને છુટા મુકી દેતા હોવાથી આ ઘટના બની હોવાથી લોકોમાં રોષની લાગણી ભભુકી ઉઠી હતી. જેને લઇ શુક્રવારે પાલિકાના અધિકારી દેવુભા ઝાલા અને તેમની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ઉંડેરા તળાવ નજીકના ત્રણ ઢોરવાડા તોડી પાડયા હતા. તેમજ આઠ ગાયો પણ કબ્જે લેવામાં આવી હતી. પશુપાલકોને 4000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. પાલિકા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડયા હતા, અને કામગીરીની સરાહના કરી હતી.
આ પણ વાંચો --- Surat : વધુ એક હિટ એન્ડ રન, પૂરઝડપે આવતા કારચાલકે પતિ-પત્ની-બાળકીને અડફેટે લીધા!