VADODARA : બ્રેઇન ડેડ વ્યક્તિના અંગદાનથી બે દર્દીઓને નવજીવન મળ્યું
VADODARA : એક 48 વર્ષીય પુરુષ દર્દીને 05 સપ્ટેમ્બરના રોજ બેભાન હાલતમાં પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ, વડોદરા (VADODARA) લાવવામાં આવ્યાં હતાં. હોસ્પિટલમાં આ દર્દીની બ્રેઇન સર્જરી કરવામાં આવી હતી, પરંતુ તેમની ઇજા ગંભીર હતી અને દર્દીની સ્થિતિમાં કોઇપણ સુધાર જોવા મળ્યો ન હતો.
ઉમદા કામગીરી માટે સમજાવતા તેમના પરિવારજનો સહમત
દર્દીની પરિસ્થિતિમાં ઝડપથી બગડતા તેમને વેન્ટિલેટર સપોર્ટ ઉપર મૂકવામાં આવ્યાં હતાં. આ દરમિયાન દર્દીને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યાં અને પારૂલ સેવાશ્રમ હોસ્પિટલની ટીમે તેમના પરિવારજનોને અંગદાન કરવાની ઉમદા કામગીરી માટે સમજાવતા તેમના પરિવારજનો સહમત થયાં હતાં.
24 કલાકની અંદર અંગો પ્રાપ્ત કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી
અંગદાન સંબંધિત તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કર્યાં બાદ આઇકેઆરડીસી, અમદાવાદના ડોક્ટરની ટીમે (લીવર માટે) અને પારૂલ સેવાશ્રમ હોસ્પિટલના ડોક્ટરની ટીમ (બે કિડની)એ 24 કલાકની અંદર અંગો પ્રાપ્ત કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.
ત્રણ લોકોને નવજીવન પ્રાપ્ત થયું
પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે મેડિકલ ડાયરેક્ટર ડો. કોમલ પટેલે જણાવ્યું હતું કે, પારૂલ સેવાશ્રમ હોસ્પિટલમાં કેડેવેરિક કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહ જોતાં બે દર્દીઓ સાથે આ કિડની મેચ થઇ હતી. હોસ્પિટલના અનુભવી ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફની ટીમે આખી રાત ઓપરેશન કરીને સફળતાપૂર્વક ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરીને દર્દીની સારસંભાળ માટે તેમનું સમર્પણ દર્શાવ્યું હતું. એક જ હોસ્પિટલમાં આ પ્રકારના ઓર્ગન ડોનેશન અને બે દર્દીઓ માટે કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી ક્યારેક થતી હોય છે. આ કામગીરીમાં દર્દીઓ, પરિવારજનો અને મેડિકલ ટીમ વચ્ચે ગાઢ સંપર્ક ખૂબજ જરૂરી છે ત્યારે પારૂલ સેવાશ્રમ હોસ્પિટલમાં ત્રણ લોકોને નવજીવન પ્રાપ્ત થયું છે.
જાગૃતિ ફેલાવવા માટે નિયમિતરૂપે પ્રયાસો
મહત્વપૂર્ણ છે કે પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ SOTTO મંજૂરી ધરાવતું ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર છે. તથા કેડેવર ટ્રાન્સપ્લાન્ટ માટે ઓર્ગન ડોનેશન સંબંધિત જાગૃતિ ફેલાવવા માટે નિયમિતરૂપે પ્રયાસો કરવામાં આવે છે.
આ પણ વાંચો -- VADODARA : બાજવાડામાં મકાનની છત ધરાશાયી, 2 લોકોનું રેસ્ક્યૂ