VADODARA : શહેર-જિલ્લામાં પાણીમાં ફસાયેલા 10 હજારથી વધુ લોકો સ્થળાંતરિત કરાયા
VADODARA : અતિભારે વરસાદ અને પૂરના કારણે વડોદરા (VADODARA) શહેર-જિલ્લામાં સર્જાયેલી પરિસ્થિતિના કારણે વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. છેલ્લા ત્રણ દિવસમાં વડોદરા શહેર-જિલ્લાના પ્રભાવિત વિસ્તારોમાંથી કુલ ૧૦,૩૩૫ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જેમાંથી હાલની સ્થિતિએ ૯૭૦૪ લોકો આશ્રયસ્થાનોમાં સુરક્ષિત છે, જ્યારે ૩૩૩ લોકો સ્થિતિ સામાન્ય થતા તેમના ઘરે પરત ફર્યા છે.
હાલની સ્થિતિએ આશ્રયસ્થાનોમાં સુરક્ષિત
પ્રત્યેક જીવનને અમૂલ્ય ગણી પ્રતિબદ્ધતા સાથે કામ કરતી વડોદરાની ડિઝાસ્ટર ટીમ દ્વારા સતર્કતા અને સંવેદનશીલતાથી પ્રત્યેક જીવનને બચાવવાનું ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે. સૌપ્રથમ વડોદરા શહેરની વાત કરીએ તો, છેલ્લા ત્રણ દિવસમાં વડોદરા શહેરમાંથી કુલ ૪,૩૩૫ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેઓ હાલની સ્થિતિએ આશ્રયસ્થાનોમાં સુરક્ષિત છે. વિગતવાર વાત કરીએ તો, વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાંથી ૪૧૨ લોકોનું, પૂર્વ વિસ્તારમાંથી ૧૯૬૦ લોકોનું, ઉત્તર ભાગમાંથી ૧૫૦૨ લોકોનું તેમજ શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી ૪૬૧ લોકોને છેલ્લા ત્રણ દિવસમાં વિવિધ સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
૩૩૩ લોકો સુરક્ષિત રીતે ઘરે પરત ફર્યા
વડોદરા જિલ્લાની વાત કરીએ તો, છેલ્લા ત્રણ દિવસમાં કુલ ૬,૦૦૦ થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તાલુકાવાર વાત કરીએ તો, અત્યારસુધીમાં વડોદરા તાલુકામાંથી ૨૪૯૩, સાવલી તાલુકામાંથી ૧૦૧૫, ડભોઈ તાલુકામાંથી ૫૭૫, વાઘોડીયા તાલુકામાંથી ૧૯૨ અને પાદરા તાલુકામાંથી ૧૭૨૫ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. વડોદરા જિલ્લામાં સ્થળાંતરિત કરાયેલા લોકોમાંથી હાલ ૩૩૩ લોકો સુરક્ષિત રીતે ઘરે પરત ફર્યા છે, જ્યારે બાકીના લોકો આશ્રયસ્થાનમાં જિલ્લા વહીવટી તંત્રની સંવેદનશીલતાનો અનુભવ કરી રહ્યા છે.
રાહત અને બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ
અતિવૃષ્ટિ અને પૂર જેવી પ્રાકૃતિક આપદાને મ્હાત આપતા વડોદરાવાસીઓ માટે વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. આ વરસાદી આફતમાં બચાવ-રાહત કામગીરી વધારે સઘન બને તે માટે વડોદરામાં આર્મી, એન.ડી.આર.એફ., એસ.ડી.આર.એફ, ફાયર બ્રિગેડ તેમજ અન્ય રેસ્ક્યુ ટીમો અસરગ્રસ્તો માટે ખડે પગે છે.
આ પણ વાંચો -- VADODARA : જિલ્લા ભાજપ પ્રમુખનો મુખ્યમંત્રીને પત્ર, અતિવૃષ્ટિ સામે ઝડપી સહાય ચૂકવવા માંગ