Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડનગરમાં થશે કિર્તી તોરણ અને પ્રાચીન સંસ્કૃતિના દર્શન, જાણો અહીં બનેલા મ્યૂઝિયમ અને શર્મીષ્ઠા તળાવના વિકાસ વિશે

વડનગરથી વારાણસી (Vadnagar to Varanasi) યાત્રામાં આપનું સ્વાગત છે. અકલ્પનીય, અલૌકિક અને ઐતિહાસીક આ યાત્રા માં ગંગાની જેમ વહેતી અવિરત ધારા સમાન સતત આગળ વધી રહી છે. મહેસાણાથી ફ્લેગ ઓફ થયા બાદ અમારી ટીમ એ નગરમાં પહોંચી જેનું વર્ણન સતયુગમાં...

વડનગરથી વારાણસી (Vadnagar to Varanasi) યાત્રામાં આપનું સ્વાગત છે. અકલ્પનીય, અલૌકિક અને ઐતિહાસીક આ યાત્રા માં ગંગાની જેમ વહેતી અવિરત ધારા સમાન સતત આગળ વધી રહી છે. મહેસાણાથી ફ્લેગ ઓફ થયા બાદ અમારી ટીમ એ નગરમાં પહોંચી જેનું વર્ણન સતયુગમાં પણ થયેલું છે. આમ સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગને ધ્યાનમાં રાખી અમારી ટીમ એ નગરમાં પહોંચી જે એક વખત નહીં બલકે સાત-સાત વખત વસ્યું છે. ગુજરાત ફર્સ્ટ અને OTT ઈન્ડિયાની ટીમ એ નગરમાં પહોંચી છે જેને દેશને વડાપ્રધાન આપ્યા છે. વારસાનું એ નગર એટલે બીજુ કોઈ નહીં બલકે છે આપણું વડનગર.

Advertisement

વડનગરથી વારાણસી (Vadnagar to Varanasi) યાત્રામાં આપનું સ્વાગત છે. આ એક એવી યાત્રા છે, જેમાં વાત માત્ર વિકાસની છે. આ એવી યાત્રા છે જેમાં દીર્ઘ દ્દષ્ટિનું ઉત્તમ નહીં પરંતુ સર્વોત્તમ પ્રમાણ સોનેરી કિરણની જેમ છલકે છે, આ એવી યાત્રા છે જેમાં કલ્પનાથી લઈને કાયાપલટ કેવી રીતે થઈ શકે તેના દર્શન થાય છે. ગુજરાત ફર્સ્ટ અને OTT ઈન્ડિયા દ્વારા શરૂ થનારી આ યાત્રામાં 4 રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ. 30 દિવસ અને 3 હજાર કિલોમીટર સુધી આ યાત્રા 4 રાજ્યોમાં ભ્રમણ કરશે. વિકાસની આ યાત્રા ખૂબ લાંબી છે. ટૂંકમાં વડનગરના વિકાસનો સંપૂર્ણ ચિતાર દર્શાવવો જરા મુશ્કેલ પડે તેમ છે.

ગુલામીની ઝંઝીરોને તોડી દેશ 15 મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયો હતો. દેશની રૂપ-રેખા તત્કાલિન રાજનેતાઓ જ્યાં એક તરફ તૈયાર કરી રહ્યા હતા. તેના બરાબર ત્રણ વર્ષ બાદ 17 સપ્ટેમ્બર 1950ના રોજ દેશના લોકલાડીલા અને આપણા નરેન્દ્રભાઈ મોદીનો જન્મ ગુજરાતના વડનગરમાં થયો હતો. સ્વયંસેવકથી લઈ પ્રધાનસેવક સુધી તેમની રાજકીય યાત્રા કઈ દિશામાં રહી, તે વાત તો જગ જાહેર છે. જોકે શાશ્વત પ્રમાણ એ પણ છે કે, સૃષ્ટિને બચાવવા સમુદ્ર મંથન વખતે જેમને હલાહલ પોતાના કંઠે ઉતાર્યું તે શિવના હાથ પ્રધાનમંત્રીના માથે છે ! તેથી જ તો દેશની જનતાએ બે-બે વખત નરેન્દ્રભાઈને ખોબે-ખોબે આશીર્વાદ આપી વડનગરથી વડાપ્રધાન પદના સુકાન સુધી પહોંચાડ્યા છે. ત્યારે 2024 માં થનાર લોકસભાની ચૂંટણી પહેલા એક યાત્રા ગુજરાત ફર્સ્ટ અને OTT ઈન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવી છે, જેનું નામ છે વડનગરથી વારાણસી યાત્રા.

Advertisement

પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું
હું તેજ ઉછીનું લઉં નહીં, હું જાતે બળતું ફાનસ છું.

ઝળાહળાંનો મોહતાજ નથી, મને મારું અજવાળું પૂરતું છે,
અંધારાના વમળને કાપે, કમળ તેજ તો સ્ફુરતું છે.

ધુમ્મસમાં મને રસ નથી, હું ખુલ્લો અને નિખાલસ છું.
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું.

કુંડળીને વળગવું ગમે નહીં ને ગ્રહો કને શિર નમે નહીં,
કાયરોની શતરંજ પર જીવ, સોગઠાબાજી રમે નહીં.

હું પોતે જ મારો વંશજ છું, હું પોતે મારો વારસ છું.
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું.

આ શબ્દો એમના છે, જેઓ વડનગરના છે, આ શબ્દો એમના છે જેઓ દેશના વડાપ્રધાન છે, આ શબ્દો એમના છે. જેઓ ધર્મથી તો શિવ ભક્ત જોકે કર્મથી પ્રધાનસેવક છે. તે છે દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી.

મહેસાણાથી ફ્લેગ ઓફ થયા બાદ અમારી આ યાત્રા સીધી જ વડનગર કેવી રીતે પહોંચી તેનું પ્રમાણ તમને અમે આગળ જણાવ્યું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જન્મ કયા ઘરમાં થયો, કયા ફળિયામાં તેઓ રમતા હતા તે વિશે પણ તમને જણાવ્યું, ત્યારબાદ તેઓ કઈ શાળામાં ભણ્યા હતા તે જ્ઞાન ગંગાના પણ તમને દર્શન કરાવ્યા, ત્યારબાદ એ ઐતિહાસીક રેલ્વે સ્ટેશન અને હાટકેશ્વર મહાદેવ મંદિરની પણ મહિમા વર્ણવી. જોકે, આજની અમારી આ યાત્રામાં તમને વડનગરના વિકાસના દર્શન કરાવવા છે. આજે અહીં બનેલું મ્યૂઝિયમ, શર્મીષ્ઠા તળાવનો વિકાસ, કિર્તી તોરણ અને પ્રાચીન સંસ્કૃતિના દર્શન પણ કરાવવા છે. આ નગરીનો ઈતિહાસ અતિ રોચક છે. આ સુવાસ છે અવિરત સંઘર્ષની, શૂન્યમાંથી થયેલા સર્જનની, આ નગરનું એક નહીં પણ અનેક નામ છે.

Advertisement

આનર્ત પ્રદેશ એટલે મહાભારતના યુદ્ધમાં હણાએલા વીરોનું પ્રદેશ, આનંદપુર એટલે કલા, સંસ્કૃતિ, બાંધકામ અને વેપારમાં પ્રગતી લાવનારો પ્રદેશ, ચમત્કાર પુર એટલે કોળથી પીડાતા રાજાને સ્નાન માત્રથી પીડા મુક્ત કરી ચમત્કાર સર્જતો પ્રદેશ. અનેક ધર્મ, પ્રજા, વ્યવસાય તથા માન અને બહુમાન સાચવતું ગુર્જર ધરાનું વડુ મથક એટલે વડનગર. જણાવી દઇએ કે, વડનગરને આનર્તપુર, ચમત્કારપુર તરીકે ઓળખવામાં આવે છે. ન માત્ર તે પરંતુ બૌદ્ધ નગરી તરીકે પણ વડનગરને ઓળખવામાં આવે છે. Hiuen Tsang એક ચીન બૌદ્ધ યાત્રી કે જેમણે પોતાની બૂકમાં અહીં 10 બૌદ્ધ સ્તુપો વડનગરમાં આવેલા છે તેવો ઉલ્લેખ કર્યો છે. વળી બૌદ્ધ ભિક્ષુકોનો પણ અહીં વસવાટ છે તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. જણાવી દઇએ કે, અહીં 10 માંથી 2 સ્તુપો મળી આવ્યા છે. સ્વસ્તિક આકારનો સ્તુપ અહીંથી મળી આવ્યો છે. ઉપરાંત વડાપ્રધાન મોદીના સુશાસન દરમિયાન પુરાતત્વ વિભાગને પણ અહીં કામે લગાડવામાં આવ્યું છે ખોદકામ કરવામાં આવી રહ્યું છે. આ પ્રાચીન સંસ્કૃતિ લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.

જણાવીએ કે વડનગરનો ઈતિહાસ સતયુગથી લઈને વર્તમાન સુધીનો છે. દેશ આઝાદ થયા બાદ સરકારો તો અનેક આવી અને ગઈ, પણ વડનગરના ઈતિહાસને ઉજાગર કરાવવાનું કામ વાસ્તવમાં જો કોઈએ કર્યું હોય તો તે છે વડનગરના રત્ન અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ. આ ઐતિહાસીક ધરાની સુવાસ ચારે કોર કેવી રીતે ફેલાઈ છે હવે તે પણ જાણીએ. જણાવી દઇએ કે, ભારતના ધાર્મિક પુરાણો, સાહિત્યો, જૈન ગ્રંથો અને તાંમપત્રોમાં વડનગર અલગ-અલગ નામથી પ્રચલિત છે. અને વડનગરનું આ એક એવું મ્યૂઝિયમ છે કે જ્યા વડનગરની તમામ સ્થળોની જે ઐતિહાસિક અને પૌરણિક નગરી વડનગરને કહેવામાં આવે છે તે તમામ સ્થળોની માહિતી અહીંથી જ તમને મળી જાય છે. તે પછી તાનારિરી હોય, હાટકેશ્વર મંદિર હોય કે પછી જૈન નગરી પણ વડનગરને કહેવામા આવે છે. તેનો ઈતિહાસ આ મ્યૂઝિયમમાં તમને દરેક જગ્યાનો મળી જાય છે.

વધુમાં આ આર્ટ ગેલેરીની વિશેષતા શું છે તેના વિશે મ્યૂઝિયમના કર્મચારી કિરણ પટેલે  જણાવ્યું. તેમણે કહ્યું કે, આ આર્ટ ગેલેરી એટલે બનાવવામાં આવી કારણ કે વડનગર એક પૌરાણિક અને ઐતિહાસિક નગરી છે. પૈરાણિક નગરી હોવા પછી પણ તેનો ઈતિહાસ દબાયેલો હતો પરંતુ વડાપ્રધાન મોદીના કારણે વડનગરનો ઈતિહાસ તમામની સામે ઉજાગર થયો છે. આનો ઈતિહાસ સતયુગથી લઇને કલયુગ સુધીનો છે. સતયુગમાં તેને ચમત્કારપુરથી ઓળખવામાં આવતું હતું, ત્રૈતાયુગમાં તેને આનર્તપુર, દ્વાપરયુગમાં તેને આનંદપુર અને કળયુગમાં તેને વૃદ્ધનગર અથવા વડનગર નામથી ઓળખવામાં આવે છે.

વડનગરનું મ્યૂઝિયમ જેનો ખૂબ જ વિકાસ થયો છે. આ એક એવું મ્યૂઝિયમ છે જ્યા વડાપ્રધાનની બાળપણની યાદો તો છે જ પણ આ નગરી કે જેને પૌરાણિક અને ઐતિહાસિક નગરી કહેવામાં આવે છે તેના તમામ સ્થળોનો અહીં ઈતિહાસ છે જેને તમે મ્યૂઝિયમના રૂપે જોઇ શકાય છે. વડનગરનો ઈતિહાસ તેની આર્ટ ગેલેરીમાં બતાવવામાં આવેલ છે. તે સિવાય પ્રોજેક્ટર દ્વારા પણ બતાવવામાં આવેલ છે. તેમા વડનગરનો ઉલ્લેખ અલગ-અલગ રીતે લોકો સમક્ષ લાવવાનો અને તેમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ આર્ટ ગેલેરીમાં વડાપ્રધાન મોદીનો સ્ટેચ્યું છે તે સિવાય ચા નો સ્ટોલ છે, આ તમામ આર્ટ ગેલેરીમાં બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

આગળ વાત વડનગરના વારસાની કરી, ત્યારબાદ મ્યૂઝિયમની કરી, હવે વાત શર્મિષ્ઠા તળાવની કરીએ તો. વડનગરમાં શર્મિષ્ઠા તળાવ મધ્યમાં આવેલું છે અને આ તળાવની આસપાસ ખોદકામ કરતાં માટીના વાસણો, કાપડના અવશેષ, ઘરેણા, હથિયારો વગેરે મળી આવ્યા છે. કેટલાક પુરાતત્વીદોનું માનવું છે કે અહી હરપ્પન વસાહત હતી. ઈતિહાસ પ્રમાણે શરૂઆતમાં અરવલ્લીની પર્વતમાળામાંથી નીકળતી કપિલા નદીના તીરે માનવ વસવાટ શરૂ થયો હતો. એ બાદ કપિલા નદીના પાણીથી નિર્માણ પામેલા શર્મિષ્ઠા તળાવની આસપાસ આ વસાહત વિસ્તરણ પામી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ તળાવ સાથે કેટલી યાદો પણ જોડાયેલી હવે તે પણ જાણીએ.

વડનગર હવે ભવ્ય વિરાસતના વારસા સાથે, આધુનિક કદમ ભરતુ એક પ્રવાસન, ટૂરિસ્ટ પોઈન્ટ તરીકે પણ વિકસી રહ્યું છે. તેનું ઉત્તમ નહીં પણ સર્વોતમ ઉદાહરણ હોય તો તે છે શર્મિષ્ઠા તળાવ કે જ્યા વડાપ્રધાનની બાળપણની અનેક યાદો જોડાયેલી છે. કહેવાય છે કે, વડાપ્રધાન મોદી અહીંથી મગરનું બચ્ચું લઇને આવ્યા હતા અને માતા સાથેની તેમની વાતો પણ આપણે જાણીએ છીએ. જણાવી દઇએ કે, શર્મિષ્ઠા તળાવમાં નૌકા વિહારની પણ શરૂઆત કરવામાં આવી છે. આમ વડનગરનો વિકાસ કઈ દિશામાં થયો છે તે તો આપણે દ્રશ્યોના માધ્યમથી જાણ્યું અને ઈતિહાસના પન્ના ફેરવી સમજ્યું. જોકે વાસ્તવમાં વડનગરનો વિકાસ કેટલો થયો છે. તે હવે અહીંના સ્થાનિકો પાસેથી જ જાણીએ.

સ્થાનિક કનુભાઈ દેસાઇએ  જણાવ્યું કે છે કે, વડનગરનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ જ વિકાસ કર્યો છે. આજે વડનગરમાં પુરાતન ખાતામાં, ટૂરિઝમમાં લોકો બધા મોટી સંખ્યામાં બહારથી આવે છે. વડનગરની ભૂમિમાં વડાપ્રધાન મોદીનું બાળપણ વીત્યું, અહીં તેઓ રમેલા છે, શાળામાં ભણ્યા છે, તેમના દોસ્તો આજે પણ અહીં છે અને તેમને ખૂબ જ યાદ કરે છે. આજે ભલે વડાપ્રધાન મોદી વડનગર છોડી રાજકીય ક્ષેત્રે આગળ વધ્યા પણ તેઓ ક્યારે પણ તેમના નગરીને ભૂલ્યા નથી. વડનગરને તેમણે હરહંમેશ પોતાના દિલમાં રાખ્યું છે. વડનગરને જ્યારે પણ કોઇ જરૂર પડી ત્યારે ત્યારે તેમણે તેને કોઇ ખોટ આવવા દીધી નથી.

હવે વાત કિર્તી તોરણની કરીએ તો, તોરણ સ્થાપત્ય એ પ્રાચીન બૌદ્ધ સ્તૂપોમાં પ્રવેશમાર્ગ નિર્ધારિત કરવાના હેતુથી સર્જાયા હતા. પ્રવેશની દિશા  નક્કી કરતાં આવાં તોરણો પહેલાં લાકડાના બનાવવાની પ્રથા હતી. પછી તે પથ્થરના બનવા લાગ્યાં. પથ્થરના બે સ્તંભ પર કમાન જેવી રચના કરીને આ તોરણો બનતાં. હિન્દુ સ્થાપત્યમાં પ્રવેશદ્વાર ઉપરાંત વિજયના સંભારણા તરીકે પણ તોરણ બનાવાતા હતા. ઇસુની પૂર્વેની પેલી સદીમાં ઉતરાર્ધમાં બનેલા સાંચીના સ્તૂપ તોરણો તેના સૌથી પ્રાચીન હયાત નમૂના છે. એક અત્યંત સુંદર અને કલાત્મક તોરણ મહેસાણા જિલ્લાના વડનગર ગામે આવેલું છે. વડનગરના આ તોરણને “શૌર્ય તોરણ” પણ કહેવામા આવે છે.

સ્થાનિક રાજુભાઇ પટેલે જાણવ્યું કે વડનગરની ઓળખાણ કિર્તી તોરણ છે જેને શૌર્ય તોરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સોલંકી કાળમાં બંધાયા હોવાનું માનવામાં આવે છે. સામાન્ય રીતે તોરણનો અર્થ થાય છે કોઇ પણ સ્થાપત્યનો કલાત્મક પ્રવેશ દ્વાર. જ્યારે કોઇ મંદિર હોય છે, વાવ હોય છે તેની આસપાસના તોરણને બાંધવામાં આવતું હોય છે અને આ વડનગરની શાન છે. અગાઉ જાણ્યું કે વડનગરનો વિકાસ કઈ દિશામાં થયો છે.  હવે એ પણ જાણીએ કે આરોગ્ય ક્ષેત્રે વડનગરે કેટલો વિકાસ કર્યો છે.

ગુજરાતના મુખ્યમંત્રી હતા અને આજે દેશના વડાપ્રધાન બન્યા ત્યા સુધીમાં વડનગરમાં એક સિવિલ હોસ્પિટલ છે જે ગરીબ, વંચિત, શોષિત, પીડિત લોકો માટે ખૂબ જ લાભદાયી રહી છે. આજે વડનગર એક એવી નગરી બની ચુકી છે કે જ્યા આજે કોઇ પ્રવાસી અહી આવે તો તેને અહીં આધુનિકતાનો અહેસાસ થાય છે. દિલ્હી ગયા પછી તેમના કાર્યાલયે વડનગરને આધુનિક રેલ્વે સ્ટેશન આપ્યું છે અને હવે હવાઇ સુવિધા આપવામાં આવી રહી છે. વડનગર હેરિટેજ ટાઉન છે અને તે સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતું હોવાથી તેનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો - VADNAGAR TO VARANASI : PM મોદીના 9 વર્ષના સુશાસન પર મહાનુભાવો સાથે સંવાદ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.