Nigar Shaji : Aditya L1 મિશનની કમાન સંભાળનાર આ મહિલા કોણ છે? જાણો તેમના વિશે
ભારતે ચંદ્રયાન-3 મિશનને વિશ્વ સમક્ષ રજૂ કરીને એક સુવર્ણ ઇતિહાસ રચ્યો છે. ત્યારે હવે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે. સૂર્યનો અભ્યાસ કરવા માટેનું અવકાશ-આધારિત પ્રથમ મિશન આદિત્ય એલ1 (Aditya L1) પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટર દૂર 'લેગ્રેન્જ પોઈન્ટ 1' (Lagrange Point 1) પર સફળતાપૂર્વક પહોંચી ગયું છે. માહિતી મુજબ, હવે આદિત્ય L-1 પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર જશે અને સૂર્યને 'સૂર્ય નમસ્કાર' કરશે.
જણાવી દઈએ કે, ISRO નું આ મિશન એક મહિલાના નેતૃત્વમાં થઈ રહ્યું છે, જેમનું નામ નિગાર શાજી (Nigar Shaji) છે. સૂર્યા મિશનની કમાન સંભાળનાર નિગારની હાલ દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. માહિતી અનુસાર, તેઓ ઈસરોમાં પ્રોજેક્ટ ડાયરેક્ટરના પદ પર છે. વ્યવહારે સૌમ્ય અને હંમેશા હસતા રહેતા નિગારે સૂર્ય મિશનને સફળ બનાવવા માટે તેમની ટીમ સાથે 8 વર્ષ સુધી સખત મહેનત કરી છે.
સૌજન્ય- Google
જાણો કોણ છે નિગાર શાજી?
વર્ષ 1987 માં નિગાર શાજી (Nigar Shaji) ઈસરો સાથે જોડાયા હતા. સતત સખત મહેનત સાથે આગળ વધતાં તેઓ ભારતના પ્રથમ સૌર મિશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર બન્યા. 59 વર્ષીય શાજી અગાઉ રિસોર્સસેટ-2A ના સહયોગી પ્રોજેક્ટ ડિરેક્ટર હતા. તેઓ લોઅર ઓર્બિટ અને પ્લેનેટરી મિશન માટે પ્રોગ્રામ ડાયરેક્ટર તરીકે પણ રહ્યા છે. ISRO માં તેમનો કાર્યકાળ શ્રીહરિકોટા સ્પેસ પોર્ટ (Sriharikota Space Port) પર કામ કરીને શરૂ થયો હતો. શ્રીહરિકોટા સ્પેસ પોર્ટ આંધ્રના દરિયા કિનારે આવેલું છે. આ પછી તેમને બેંગલુરુના યુઆર રાવ સેટેલાઇટ સેન્ટરમાં શિફ્ટ કરવામાં આવ્યા, જે સેટેલાઇટ ડેવલપમેન્ટનું મુખ્ય કેન્દ્ર છે.
નિગાર શાજીનો (Nigar Shaji) જન્મ તમિલનાડુના તેનકાસી જિલ્લાના સેંગોટાઈમાં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. શાજીએ મદુરાઈ કામરાજ યુનિવર્સિટી હેઠળ તિરુનેલવેલીના સરકારી એન્જિનિયરિંગ કૉલેજમાં ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. બાદમાં, તેમણે બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, મેસરામાંથી ઇલેક્ટ્રોનિક્સમાં માસ્ટર ડિગ્રી મેળવી. માહિતી અનુસાર, નિગાર શાજીના પિતા ગણિતમાં સ્નાતક હોવા છતાં, તેમણે પસંદગી પ્રમાણે ખેતી પસંદ કરી. નિગારના પિતા એક ખેડૂત છે. નિગાર મુજબ, તેમના માતા-પિતાએ હંમેશાં તેમને પ્રોત્સાહિત કર્યા છે અને સપોર્ટ કર્યો છે.
આ પણ વાંચો - લોકસભાની તૈયારીમાં AAP! ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવશે Kejriwal