મને ખૂબ દુઃખ થયું પણ મારી પાસે કોઈ વિકલ્પ નહોતો : Rohan Gupta
Rohan Gupta : લોકસભા ચૂંટણી (Lok Sabha elections) પૂર્વે ગુજરાતમાં કોંગ્રેસ (Congress) ને એક પછી એક ઝટકો લાગી રહ્યો છે. પાર્ટીના કાર્યકર્તાઓથી લઇને નેતાઓ ભાજપ (BJP) માં કેસરિયો કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ પૂર્વ (Ahmedabad East) લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તા (Rohan Gupta) એ પાર્ટીને વધુ એક ઝટકો આપ્યો છે. તેમણે સોમવારે એક ટ્વીટ કરી પોતાનું નામ પાછું ખેંચી લીધુ છે. ટ્વીટમાં તેમણે તેમના પિતાની ગંભીર તબિયત હોવાનું જણાવ્યું હતું. હવે આ અંગે તેમણે મીડિયા સમક્ષ બહું મોટું નિવેદન આપ્યું છે. જાણો રોહન ગુપ્તાએ શું કહ્યું...?
મારી પાસે કોઇ વિકલ્પ જ નહોતો આ નિર્ણય લેવા સિવાય : Rohan Gupta
અમદાવાદ પૂર્વ પર કોંગ્રેસની ટિકિટ મળ્યા બાદ રોહન ગુપ્તાએ સોમવારે પોતાનું નામ પરત ખેંચી લીધું હતું. જે અંગે તેમણે મીડિયા સમક્ષ કહ્યું કે, મારા માટે આ નિર્ણય ખૂબ જ અઘરો હતો. હાલમાં હું તમને મનાવવાનો પ્રયત્ન કરું છું, મારા પરિવારને અને મારા લિડરોને પણ મનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. નિર્ણય અઘરો હતો પણ જ્યારે કોઇ વ્યક્તિ પોતાના પિતાની તબિયત ખરાબ થતી હોય તેવું જુએ અને જો ભવિષ્યમાં તેમને કઇ પણ થાય છે તો હું જીવનભર પોતાને માફ ન કરી શકું. એટલે જ મને ખૂબ જ દુઃખ થયું પણ મારી પાસે કોઇ વિકલ્પ જ નહોતો આ નિર્ણય લેવા સિવાય. હું બહું જ સંવેદનશીલ માણસ છું મને કોઇએ એક WhatsApp મોકલ્યો એક કહેવાતા નેતા જેણે 2002 માં પાર્ટીની પથારી ફેરવી નાખી જેના કારણે પાર્ટી હારી તે આજે મને ગદ્દારીના મેસેજ આપે છે. તેમની મારા પિતા સાથે મિત્રતા હોવા છતા તેમણે આ પ્રકારનો મને મેસેજ કર્યો છે.
મારી વિનમ્રતાને મજબૂરી ન સમજો : રોહન ગુપ્તા
જેમને હું માત્ર એટલું જ કહેવા માંગું છું કે, જો તમે જોડે ન ઉભા રહી શકતા હોવ તો માનવતાના ધોરણે જ્યારે હું ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છું ત્યારે આ પ્રકારના ધંધા ન કરે. મારી જે વિનમ્રતા છે તેને મારી મજબૂરી ન સમજશો. અત્યાર સુધી હું ચુપ રહ્યો છું હવે આગળથી જો આ પ્રકારનું થશે તો હવે ચોક્કસ પ્રતિક્રિયા આપીશ. તેટલું જ નહીં રોહન ગુપ્તાએ કોંગ્રેસ પાર્ટીને પણ વિનંતી કરતા કહ્યું કે, હું પાર્ટીને વિનંતી કરું છું કે, હું ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છું, ત્યારે આ પ્રકારની વ્યક્તિને રોકે. કોઇએ મને શીખામણ આપવાની જરૂર નથી. તેમણે આગળ કહ્યું કે, ઈમાનદારીથી મારા પિતાએ 40 વર્ષ અને મે 15 વર્ષ સુધી પાર્ટીમાં નિસ્વાર્થે સેવા કરી છે. મને પાર્ટીએ જ્યારે પણ જે જવાબદારી આપવામાં આવી છે તેને મે સફળતાથી નિભાવી છે. મને કોઇએ વફાદારીના પાઠ ભણાવવાની જરૂર નથી પોતે પોતાના આઈનામાં જોઇ લે.
ઉલ્લેખનીય છે કે, રોહન ગુપ્તાએ સોમવારે એક ટ્વીટ મારફતે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. આ ટ્વીટ સાથે જ ઘણી ચર્ચાઓ શરૂ થઇ ગઇ હતી. ચર્ચા તો તે પણ થતી હતી કે, આ એક બહાનું છે સચ્ચાઈ કઇંક અલગ જ છે.
આ પણ વાંચો - લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના આ નેતાએ ચૂંટણી લડવાનો કર્યો ઈનકાર
આ પણ વાંચો - VADODARA : સાવલીના BJP MLA કેતન ઇનામદારનું રાજીનામા બાદ નિવેદન, “આત્મસન્માનથી મોટું કશું નથી”