Bharuch : ભરૂચમાં મહાદેવ મંદિરને સળગાવવાનો પ્રયાસ, ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ
Bharuch : લોકસભાની ચૂંટણી ટાણે સામાજિક સૌહાર્દ ડહોળવા પ્રયાસ કરવામાં આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે ભરૂચમાં મહાદેવ મંદિરને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભરૂચમાં આવેલ નવચોકી ખાતે સ્થિત અને શંકરાચાર્ય મઠ દ્વારકા શારદાપીઠ સંચાલિત પશુપતિનાથ મહાદેવ મંદિરમાં આજે પરોઢિયે અજાણ્યા શખ્સ દ્વારા મંદિરમાં આગ લગાડવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે, જેને લઈને અત્યારે કરાતા ચકચાર મચી છે.ખાસ કરીને વાત કરવામાં આવ તો મુક્તાનંદ સ્વામીના મઠને નિશાનો બનાવવામાં આવ્યો. અજાણ્યા શખ્સ દ્વારા ભરૂચના નવચોકી ઓવારા ખાતે આવેલા મઠને આગચંપી કરવામાં આવી હતી.
ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવા લખાણો વાળા પોસ્ટર મળી આવ્યા
મળતી વિગતો પ્રમાણે અજાણ્યા વ્યક્તિ દ્વારા ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવા લખાણો વાળા પોસ્ટર મંદિરમાં ફેંક્યા હતાં. શાંતિ ડહોળતી ઘટનાના પગલે પોલીસ કાફલો ખડકી દેવાયો છે. જેથી પરિસ્થિતિ વધારે વણસી ના જાય. ઉલ્લેખનીય છે કે, અત્યારે ભરૂચ પોલીસનો કાફલો મંદિર પર પહોંચ્યો છે અને વધુ તપાસ હાથ ધરી દીધી છે. શુક્રવારે વહેલી સવારે કોઈ અજાણ્યો વ્યક્તિ આવ્યો અને મહાદેવ મંદિરને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે તેના આધારે તપાસ હાથ ધરી છે.
ઘટના વહેલી સવારે 05:30 વાગ્યાની આસપાસ બની
ઉલ્લેખનીય છે કે, ઘટનાને અંજામ આપી અજાણ્યો વ્યક્તિ ત્યાથી ફરાર થઈ ગયો હતો. પરંતુ આખી ઘટના ત્યાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેના આધારે ભરૂચ પોલીસે અત્યારે તપાસ શરૂ કરી કાર્યવાહી હાથ ધરી છે. સુત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે આ ઘટના શુક્રવારે વહેલી સવારે 05:30 વાગ્યાની આસપાસ બની હતી. નોંધનીય છે કે,એક ઈસમે આવીને મંદિર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાના અત્યારે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાની સાથે ભરૂચ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. અલગ અલગ ટીમો બનાવી તપાસ ચાલુ કરી છે. ગુનો દાખલ કરી દીધો છે. જેને કૃત્ય કર્યું છે તેને પકડવા માટે પોલીસ કાર્યવાહી કરશે.