CM શિંદેના બચાવમાં કૂદી કંગના, કહ્યું - રાજનેતાઓ રાજનીતિ નહીં કરે તો શું પાણીપુરી વેચશે?
Kangana Ranaut on Shankaracharya : બોલિવૂડની બેબાક અભિનેત્રી ગણાતી અને ગત લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) માં હિમાચલની મંડી બેઠક પરથી સાંસદ બનેલી કંગના રનૌત એકવાર ફરી પોતાના બેફામ નિવેદનથી ચર્ચામાં આવી છે. આ વખતે તેણે જ્યોતિર્મથના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી (Shankaracharya Swami Avimukteshwaranand Saraswati of Jyotirmath) પર કટાક્ષ કર્યો છે. શંકરાચાર્ય પર કટાક્ષ કરતા રણૌતે કહ્યું કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદે શિંદેને દેશદ્રોહી અને વિશ્વાસઘાતી (Traitor and Betrayer) કહીને દરેકની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.
શંકરાચાર્ય પર કંગના રણૌતનો કટાક્ષ
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત તેના બેફામ નિવેદનો માટે ફેમસ છે. મુદ્દો ગમે તે હોય, અભિનેત્રી ચોક્કસપણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. કંગના અવારનવાર તેના સીધા જવાબો માટે સમાચારમાં રહે છે. ફરી એકવાર કંગના રનૌત સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં છે. તેણે ફરી એકવાર બોલ્ડ સ્ટેટમેન્ટ આપ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને શંકરાચાર્ય સ્વામી વચ્ચેના વિવાદમાં કંગના કૂદી પડી છે. મુખ્યમંત્રીને સમર્થન આપતા કંગનાએ એક પોસ્ટ લખી છે જેણે ઈન્ટરનેટ પર એક અલગ જ ચર્ચા જગાવી છે. કંગનાએ કહ્યું કે, "રાજકારણમાં ગઠબંધન, સમજૂતી અને પાર્ટી વિભાજન ખૂબ જ સામાન્ય અને બંધારણીય બાબતો છે. કોંગ્રેસ પાર્ટી 1907 અને 1971 માં વિભાજિત થઈ ગઈ હતી. વધુમાં કંગનાએ કહ્યું કે, રાજનેતાઓ રાજનીતિ નહિં કરે તો શું પાણીપુરી વેચશે? કંગના રનૌતે X પર એક પોસ્ટમાં કહ્યું, "શંકરાચાર્યજીએ તેમની શબ્દભંડોળ અને તેમના પ્રભાવ અને ધાર્મિક ઉપદેશોનો દુરુપયોગ કર્યો છે. ધર્મ પણ કહે છે કે જો રાજા પ્રજાનું શોષણ કરવા લાગે તો રાજદ્રોહ એ છેલ્લો ધર્મ છે. શંકરાચાર્યજીએ આપણા મહારાષ્ટ્રના માનનીય મુખ્યમંત્રી એકનાથ શિંદેજી પર અપમાનજનક શબ્દો વડે દેશદ્રોહી અને વિશ્વાસઘાત હોવાનો આરોપ લગાવીને આપણા બધાની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. શંકરાચાર્યજી આવી નાની-નાની વાતો કરીને હિંદુ ધર્મની ગરિમાને ઠેસ પહોંચાડી રહ્યા છે.
શું છે સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે સોમવારે (15 જુલાઈ) ઉદ્ધવ ઠાકરે સાથે તેમના નિવાસસ્થાન માતોશ્રી ખાતે મુલાકાત કરી હતી. આ પ્રસંગે સમગ્ર ઠાકરે પરિવાર શંકરાચાર્યના આશીર્વાદ લેવા ત્યાં હાજર રહ્યો હતો. આ બેઠક બાદ શંકરાચાર્યએ મીડિયાને એક નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે ઉદ્ધવ ઠાકરેની પ્રશંસા કરી હતી અને મુખ્યમંત્રી શિંદેની ટીકા કરી હતી. શંકરાચાર્યએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરે સાથે ઘણી છેતરપિંડી થઈ છે. પોતાની ઈચ્છા વ્યક્ત કરતા તેમણે એમ પણ કહ્યું કે ઉદ્ધવ ઠાકરે જલ્દીથી ફરીથી મુખ્યમંત્રી બને. આગળ, અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે સનાતન ધર્મમાં વિશ્વાસઘાત એ એક મોટું પાપ છે. ઉદ્ધવ ઠાકરે સાથે વિશ્વાસઘાત થયો છે, જે રીતે વિશ્વાસઘાત કરીને એક હિંદુત્વ પક્ષને તોડવામાં આવ્યો અને ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદેથી દૂર કરવામાં આવ્યા તે યોગ્ય નથી. જ્યાં સુધી તેઓ ફરીથી મુખ્યમંત્રી પદ પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી આપણા બધાના હૃદયમાં રહેલી પીડા અને વેદના દૂર થઈ શકશે નહીં.