VADODARA : વિશ્વામિત્રી પ્રોજેક્ટને 100 દિવસમાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક
VADODARA : વડોદરાની વિશ્વામિત્રી નદી (VADODARA - VISHWAMITRI RIVER PROJECT) માં પૂર નિવારણ માટેના પગલાં ભરવાની શરૂઆત ક્યારે થશે, આ પ્રશ્ન સૌ કોઇના મનામાં છે. ત્યારે તેનો વિગતવાર જવાબ મેળવવા માટે પાલિકા (VADODARA - VMC) ની બજેટ સભામાં વિપક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થુ દ્વારા આ અંગેનો પ્રશ્ન પુછવામાં આવ્યો હતો. જેની સામે વડોદરા પાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા વિગતવાર જવાબ આપવામાં આવ્યો હતો.
15 દિવસમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કાર્ય શરૂ થઈ જશે
વડોદરાના મ્યુનિસિપલ કમિશર દિલીપ રાણાએ જણાવ્યું કે, પૂર નિવારણ માટે પાલિકા દ્વારા હાલ જે પગલાં લેવાઇ રહ્યા છે. અને ભવિષ્યમાં લેવાના છે તે અંગે શહેરના તમામ નાગરિકોના મનમાં અનેક સવાલો છે. વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવા માટે પાલિકાએ ઇરીગેશન વિભાગની શરતો અનુસાર રિટેન્ડર કર્યું છે અને ટેન્ડર આવી ગયું છે. અંદાજિત 15 દિવસમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કાર્ય શરૂ થઈ જશે. પાલિકાની ગણતરી અનુસાર, 5 - માર્ચની આસપાસની કામ શરૂ કરીએ તો મેં મહિના સુધીના 100 દિવસમાં વિશ્વામિત્રી નદીનું સંપૂર્ણ કામ પૂર્ણ થાય તેવું આયોજન છે. જે અંતર્ગત પાલિકા દ્વારા ફોરેસ્ટ, જીપીસીબી સહિતના વિભાગો સાથે તબક્કાવાર બેઠકો કરવામાં આવી છે.
અધિકારીઓને ટ્રેનિંગ આપવામાં આવશે
વધુમાં તેમણે જણાવ્યું કે, શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને ચાર ભાગમાં વહેંચી દેવામાં આવી છે. સમગ્ર કામગીરી માટે ઇરીગેશનના બે ઉચ્ચ અધિકારીઓને કામગીરીની દેખરેખ માટે એડવાઈઝર તરીકે લેવાશે. કામગીરી સાથે જોડાનાર અનેક અધિકારીઓને ટ્રેનિંગ આપવામાં આવશે. આપણે 15 લાખ એમક્યુબ મીટર વિસ્તાર ઉલેચવા જઇ રહ્યા છીએ. તેમાં એક બાબત ખાસ એ પણ ધ્યાને લેવામાં આવી છે કે, જો માત્ર ઝાડ કાપીએ અને તેના મૂળ ન કાપીએ તો યોગ્ય પરિણામ નહીં મળે. એટલે અમે કદાચ 15ના બદલે 17 થી 18 લાખ એમક્યૂબ સુધી પણ કામગીરી કરવાની તૈયારી કરી દીધી છે.
કામગીરી સમયે ફોરેસ્ટ વિભાગની ટીમોને પણ સાથે રાખવામાં આવશે
આખરમાં જણાવ્યું કે, નદીમાંથી માટી સહિતની સામગ્રી ઉલેચવા 45 પોકલેન્ડ, 250 ડમ્પર અને તેટલા જ જેસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવશે. હાલ તબક્કે 100 દિવસમાં સંપૂર્ણ કામ કરવાનો નિર્ધાર છે. નદીમાંથી માટી સહિતની સામગ્રી કાઢીને તેને ક્યાં ડમ્પ કરવાની જગ્યા પણ નક્કી થઈ ગઈ છે. સમગ્ર કામગીરી સમયે ફોરેસ્ટ વિભાગની ટીમોને પણ સાથે રાખવામાં આવશે. નદીના પટમાંથી જો મગર સહિત અન્ય જળચળ પ્રાણી નીકળે છે તો તેઓને આજવા અથવા સયાજીબાગ શિફ્ટ કરવામાં આવશે. અને તે માટે બંને જગ્યાએ અત્યારથી અલગથી પાંજરા તૈયાર કરી દેવામાં આવ્યા છે. અહીં પ્રાણીઓને રેસક્યુ કરવા માટે ફોરેસ્ટ વિભાગના વિભાગની ટીમ, તેઓના વોલિયન્ટર્સ સહિતના ડોક્ટરોને કામગીરી વખતે સાથે રાખવામાં આવશે. એટલું જ નહીં, કામગીરી શરૂ કરતાં પહેલા તમામને સમાવતી એક મોકડ્રિલનું પણ આયોજન કરવામાં આવનાર છે.
કામગીરી પર નજર રાખશે ડ્રોન કેમેરા
પાલિકા સુત્રોના જણાવ્યા અનુસાર, વિશ્વામિત્રી નદીમાં પાલિકાની કામગીરી પર ડ્રોન નજર રાખશે. ડ્રોન દ્વારા સમગ્ર વિસ્તારમાં વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવશે. એટલું જ નહીં, જ્યાં ડમ્પ કરવામાં આવશે તેની પણ વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરાશે. જેથી ઇજારદાર કેટલું ખોદે છે? અને માટી સહિતની કેટલી સામગ્રી બહાર નીકળે છે? તેની માહિતી પર પણ નજર રહેશે. જરૂર જણાશે તો વિશ્વામિત્રી નદી માટે રાત્રે પણ કામગીરી કરાવવાનું આયોજન છે. જેને ધ્યાનમાં રાખીને જનરેટર, લાઈટો સહિતની અનિવાર્ય વસ્તુઓ તૈયાર કરવાની સૂચના આપી દેવામાં આવી છે.
આ પણ વાંચો --- Mahakumbh 2025 : કેટલાક બુદ્ધ પુરુષોએ ડુબકી મારી હશે એણે પવિત્ર નહીં કર્યું હોય ? : મોરારી બાપુ