VADODARA : વાહ ગુજરાત ! પહેલા કરોડોનો ગોટાળો હવે કલેકટરને ફાઈલ નથી મળતી
VADODARA : વડોદરા (VADODARA) ના વડસર વિસ્તારમાં આવેલા મંગળનાથ મહાદેવના ટ્રસ્ટની 35 વિઘા જેટલી જમીન ચેરીટી કમિશનરની મંજુરી વગર બારોબાર વેચી દેવામાં આવ્યા બાદ તેને બિનખેતી કરી દેવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવવા પામી છે. જેને પગલે કલેક્ટર કચેરીમાં તરહ-તરહની ચર્ચાઓએ સ્થાન લીધું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ મામલો સપાટી પર આવતા જિલ્લા કલેક્ટર દ્વારા ફાઇલ મંગાવવામાં આવી છે. પરંતુ તે મળી નથી રહી. જેથી હવે કર્મચારીઓ જુની કલેક્ટર કચેરીમાં ફાઇલો ફેંદવા કામે લાગ્યા છે.
લોકોના કામો થતા ન હોવાની રાવ
વડોદરાના સૌથી સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીની કાર્યરીતિ સામે સવાલો ઉઠાવ્યા હતા. અને લોકોના કામ પ્રત્યેની કચેરીની ઢીલાશ ઉજાગર કરી હતી. ધારાસભ્યના અણિયારા આરોપો બાદ કલેક્ટર કચેરીમાં થોડોક સળવળાટ જોવા મળી રહ્યો છે. હાલમાં મળેલી જિલ્લા સંકલનની બેઠકમાં પણ લોકોના કામો થતા ન હોવાની રાવ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. દરમિયાન કરોડો રૂપિયાની ગોલમાલ થયાનો સવાલ ઉદ્ભવે તેવી ઘટના સામે આવી છે.
સંબંધિત વિભાગમાં ભારે હડકંપ મચી જવા પામ્યો
શહેરના વડસર વિસ્તારમાં આવેલા મંગળનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટની 35 વિઘા જેટલી જમીન બારોબાર વેચી તેના દસ્તાવેજ કરી દેવામાં આવ્યા તથા તેને બિનખેતી હેતુફેર પણ કરી લેવાઇ હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે. જેને પગલે જિલ્લા કલેક્ટર કચેરીના સંબંધિત વિભાગમાં ભારે હડકંપ મચી જવા પામ્યો છે. આ અત્યંત ચોંકાવનારી વિગતો સપાટી પર આવ્યા બાદ જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ અર્થે ફાઇલ મંગાવવામાં આવી હતી. જે મળી આવી ન્હતી. મોડી સાંજ સુધી પણ સંબંધિત વિભાગના અધિકારીઓ ફાઇલ શોધવામાં વ્યસ્ત રહ્યા હતા. છતાં તેમાં કોઇ સફળતા મળી ન્હતી.
આ પણ વાંચો -- VADODARA : "ડીન હટાવો, લો ફેકલ્ટી બચાવો", MSU માં ફરી એક વખત પોસ્ટર વોર