VADODARA : કુબેર ભંડારી મંદિરમાં ટ્રસ્ટની દાનપેટી મુકાઇ, બાઉન્સરો હટાવાશે
VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા ડભોઇ (VADODARA - DABHOI) ના વિશ્વપ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિરમાં (KUBER BHANDARI TEMPLE - CHANDOD) ચેરીટી કમિશનર દ્વારા 27, એપ્રિલ પહેલા ટ્રસ્ટની દાનપેટી મુકવા તથા તેની પહોંચ-પાવતી આપવાની સૂચના આપી છે. જેને પગલે મંદિરમાં ફરી ટ્રસ્ટની દાનપેટી ગોઠવાઇ છે. ચેરીટી કમિશનરના ઓર્ડર બાદ શનિવારે મોડી રાત સુધી પંચાયતી અખાડાની દાનપેટી દુર કરવાની કામગીરી ચાલી હતી. આ સાથે જ મંદિરમાં પરંપરાગત પૂજારીને પૂજા કરવા દેવામાં આવે તે માટેની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ટ્રસ્ટીઓએ સંયુક્ત ચેરીટી કમિશનર સમક્ષ દાદ માંગતા અરજી કરી હતી
ચાંદોદ-કરનાળી સ્થિત કુબેરેશ્વર મંદિરના વહીવટ બાબતે છેલ્લે કેટલાય સમયથી ટ્રસ્ટીઓ વચ્ચે આંતરિક ખટરાગ ચાલી રહ્યો છે. તે વચ્ચે મંદિર ટ્રસ્ટની દાનપેટી હટાવીને પંચાયતી અખાડાની દાનપેટી મુકી દેવામાં આવી હતી. પરંપરાગત રીતે પૂજા કરતા પૂજારીઓની ઓરડી તોડી પાડવામાં આવી હતી અને તેમને કાઢી મુકવામાં આવ્યા હતા. આ સહિત અનેક એક તરફી નિર્ણયો લેવામાં આવ્યા હોવાનું સપાટી પર આવ્યું હતું. જેથી મંદિરના ટ્રસ્ટીઓએ સંયુક્ત ચેરીટી કમિશનર સમક્ષ દાદ માંગતા અરજી કરી હતી. જેમાં શનિવારે ચેરીટી કમિશનર ચાણોદ પોલીસ મથકે પહોંચ્યા હતા. તેમના હુકમમાં વિલંબ થતો હોવાનું ધ્યાને આવતા આ મામલે 26, મે ના રોજ વધુ સુનવણી હાથ ધરવામાં આવશે.
બાઉન્સર હટાવીને હોમગાર્ડ મુકાશે
સ્થાનિક સુત્રોએ જણાવ્યું કે, ચેરીટી કમિશરન દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. જે અનુસાર, 27, એપ્રિલ પહેલા અન્ય સંસ્થાની દાનપેટી હટાવીને ટ્રસ્ટની દાનપેટી મુકવાની રહેશે, સાથે જ તેની જ પહોંચ અને પાવતી આપવાની રહેશે. તથા મંદિરમાં વંશ પરંપરાગત રીતે પૂજા-અર્ચના કરતા પૂજારીઓને પૂજા કરવા દેવાની સૂચના આપવામાં આવી છે. તથા મંદિરમાં હાલની સ્થિતીએ ટ્રસ્ટીઓ દ્વારા બાઉન્સર મુકી દેવામાં આવ્યા છે. તેને હટાવીને હોમગાર્ડની સેવા લેવાનું સૂચન કરવામાં આવ્યું છે. જે તમામની અમલવારી ટુંક સમયમાં જ મંદિર પરિસરમાં જોવા મળશે.
આ પણ વાંચો --- Rashifal 27 April 2025 : આ રાશિના જાતકોને આજે આર્થિક બાબતોમાં થઇ શકે છે સુધારો