VADODARA : પાવાગઢમાં જૈન તીર્થંકરની મૂર્તિઓ ખંડિત થતા આક્રોશ, ત્રણ દિવસનું અલ્ટીમેટમ
VADODARA : વડોદરા પાસે પાવાગઢ (PAVAGADH) માં જૈન તીર્થંકરની પૌરાણીક મૂર્તિઓ ખંડિત થઇ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જે બાદ દેશભરના જૈન સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. ત્યારે વડોદરાના જૈન સંઘ દ્વારા મહારાજ સાહેબની ઉપસ્થિતીમાં કલેક્ટરના નિવાસ સ્થાને જઇ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. અને ત્રણ દિવસમાં મૂર્તિ પુન સ્થાપિત કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે. આખરે રાજ્ય સરકારે ખંડિત મૂર્તિઓને પુન સ્થાપિત કરવા માટેના આદેશો આપ્યા છે. જેની માહિતી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપી છે.
સ્થાપત્યોને સરકારે સાચવવાના હોય
કલેક્ટરના નિવાસ સ્થાન બહાર રજુઆત કરવા પહોંચેલા મહારાજ સાહેબ જણાવે છે કે, પાવાગઢ જેવા ભારત-ગુજરાતના પવિત્ર સ્થળ પર, વર્ષોથી જૈન સાશનની પ્રતિમા, ઇતિહાસ, શ્રદ્ધાની જીવતી જાગતી જ્યોત સાથે જે વ્યવહાર કરવામાં આવ્યો છે. તે તંદુરસ્ત થાય. અમને સમાચાર મળ્યા કે, 72 કલાકમાં તેની યથાયોગ્ય રીતે દબદબા પૂર્વક મૂર્તિઓ પધરાવવામાં આવે. ત્યાં સુધી તમામ પોતાનો સંકલ્પ વ્યક્ત કરી શકે છે. ધારે તે અહિંસક આંદોલનો કરી શકે છે. વડોદરા જૈન સંઘની એકતા ભારતમાં વખણાય છે. પાવાગઢ આપણું પાડોશી છે. વડોદરા જૈન સંઘ ચાલતો પણ પોતાનો વિરોધ વ્યક્ત કરી શકે છે. આપણો ઇતિહાસ પ્રતિમાઓના આધારે છે. તેના આધારે શાસનની જીવંતતા છે. વ્યક્તિનો આક્રોશ નથી. આ માત્ર અમારા ન્યાય, અધિકારી, શ્રદ્ધા, સિદ્ધાંતો અને જૈન સંઘની એકતા માટે છે. આમ નહી થાય તો સરકાર પોતાના પગ પર કુહાડો મારી રહ્યા છે. પ્રાચીન સ્થાપત્યોને સરકારે સાચવવાના હોય છે. પુજા માટે હાથ અડાડી શકાય, પરંતુ ખંડન માટે કોઇને અધિકાર નથી.
અહિંસા અમારી મજબુરી નથી
જૈન અગ્રણી દિપક શાહ જણાવે છે કે, જે રીતે ગઇ કાલે ત્યાંના મેનેજર વિક્રમની નિગરાનીમાં જૈન મૂર્તિઓને તોડી પાડવામાં આવી, બાદમાં તેને કચરામાં નાંખી દેવામાં આવી. આના ફોટો-વિડીયો આવ્યા તે જોઇને હ્રદય દ્રવી ઉઠે છે. અમે નિર્ણય કર્યો છે, જ્યાં સુધી મૂર્તિઓ પુન સ્થાપિત નહી થાય ત્યાં સુધી અમે લોકો ચેનથી બેસીશું નહી. આજે કલેક્ટરને આવેદન પત્ર આવ્યા છીએ. અમે ત્રણ દિવસનો સમય આપીશું, જો તેને રીસ્ટોર કરવામાં નહી આવે તો જૈન સમાજ આંદોલન કરવાના મૂડમાં છે, ધરણા કરીશું, રેલીઓ કાઢીશું, જરૂર પડ્યે ઉપવાસ પર ઉતરીશું. જૈન અહિંસક છે, પરંતુ તે અમારી મજબુરી નથી. કેટલાક લોકો દ્વારા સમાજ વચ્ચે ખાઇ ઉભી કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. પાવાગઢમાં આવતા તમામ મંદીરોની જાળવણી થવી જોઇએ. આ મંદીરો સરકારે નથી બનાવ્યા, સદીઓથી અહિંયા મંદીરો આવેલા છે, અને પુજા-પાઠ થાય છે. તેના પુરાવારૂપે ગ્રંથો ઉપલબ્ધ છે. તિર્થંકર ભગવાનની મૂર્તિઓ જોડે કરેલું કૃત્ય સાખી નહી લેવાય.
રાજ્ય સરકારે મૂર્તિ પુન: સ્થાપિત કરવા કર્યો આદેશ
પાવાગઢમાં જૈન તીર્થંકરોની પ્રાચીન પ્રતિમાઓ ખંડિત કરવા મામલે ઠેર ઠેર વિરોધ થતા રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. રાજ્ય સરકારે મૂર્તિઓ પુન: સ્થાપિત કરવાના આદેશ કર્યા છે. આ અંગે કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને પણ જરૂરી સુચનો કરવામાં આવ્યા છે. રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાણકારી આપતા કહ્યું કે, જે જગ્યાએ પ્રતિમા હતી ત્યાં જ ફરી મુકાશે. કોઈપણ ટ્રસ્ટ કે વ્યક્તિને પ્રતિમા હટાવવાની મંજૂરી નહી. જૈન સમાજની આસ્થા આ મૂર્તિ સાથે જોડાયેલી.
આ પણ વાંચો -- VADODARA : MSU માં એડમિશન મામલે “તગડી” લડતના એંધાણ