Congress : લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ તૂટશે? અડધાથી વધુ નેતાઓ નારાજ!
લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) પહેલાં રાજ્ય કોંગ્રેસમાં (Congress) ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ગુજરાત ફર્સ્ટને (Gujarat First) સૂત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ, લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના અડધા ડઝનથી વધુ નેતાઓ નારાજ ચાલી રહ્યા છે, જેમાં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, કિરીટ પટેલ અને શૈલેષ પરમાર સહિતના અન્ય MLA ના નામ સામેલ છે. જો કે, આ અંગે હાલ કોઈ ચોક્કસ માહિતી મળી નથી પરંતુ, ચર્ચા છે કે લોકસભાની ચૂંટણી પહેલા રાજ્ય કોંગ્રેસમાં મોટા ફેરબદલ થઈ શકે છે.
જણાવી દઈએ કે, લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) પહેલા અરવલ્લીમાં વધુ એક પીઢ કોંગ્રેસી નેતાએ રાજીનામું આપ્યું છે. મેઘરજ જિલ્લા પંચાયત સદસ્ય અને પૂર્વ ધારાસભ્ય ગુણવંત પંડ્યાના પુત્ર જતિન પંડ્યા (Jatin Pandya) અને તેમના પત્ની રૂપલબેન પંડ્યાએ (Rupalben Pandya) પાર્ટીમાં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. રૂપલબેન પંડ્યા જિલ્લા મહિલા કોંગ્રેસના (Congress) ઉપપ્રમુખ છે. માહિતી અનુસાર, આવતીકાલે જતિન પંડ્યા, તેમના પત્ની રૂપલબેન પંડ્યા 500 કરતા વધુ કાર્યકરો સાથે કેસરિયો ધારણ કરી શકે છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની (CR Patil) ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે તેઓ કેસરિયો ધારણ કરી શકે છે.
આ સાથે ઉત્તર ગુજરાતમાં પણ કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. માહિતી મુજબ, હિંમતનગર વિધાનસભાના પૂર્વ ઉમેદવાર વિપુલ પટેલે પાર્ટી પદ પરથી રાજીનામું આપ્યું છે. જણાવી દઈએ કે, સાલ 2006 થી સાબર ડેરીના ડિરેક્ટર તરીકે વિપુલ પટેલ કાર્યરત હતા.
અડધો ડઝનથી વધુ નેતાઓ નારાજ!
રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઈ બીજેપીએ કામગીરી શરૂ કરી દીધી છે. પ્રદેશ ભાજપ દ્વારા બેઠકોનો દોર પણ શરૂ થઈ ગયો છે. ત્યારે બીજી તરફ રાજ્ય કોંગ્રેસમાં ભંગાણના એંધાણ જોવા મળી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટના સૂત્રો મુજબ, લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરબદલ જોવા મળી શકે છે. એવી ચર્ચા છે કે કોંગ્રેસના (Congress) અડધા ડઝનથી વધુ નેતાઓ મોવડીમંડળથી નારાજ ચાલી રહ્યા છે. આ નેતાઓમાં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia), કિરીટ પટેલ, શૈલેષ પરમાર, પૂર્વ MLA પૂંજા વંશ, અંબરિશ ડેર સહિત અનેક નેતાઓ નારાજ ચાલી રહ્યા છે. સાથે જ લલિત વસોયા પણ ભાજપના નેતાઓ સાથે સંપર્કમાં છે તેવા અહેવાલ છે. વસોયા મહેન્દ્ર પાડલિયા અને રાદડિયા સાથે જોવા મળ્યા, જ્યારે શૈલેષ પરમારે (Shailesh Parmar) પણ ખુલીને નારાજગી વ્યક્ત કરી છે. ઉપરાંત, અર્જુન મોઢવાડિયા જૂથના મોટાભાગના પૂર્વ MLA અને નેતાઓ મોવડીમંડળથી નારાજ હોવાના સમાચાર છે.
કોંગ્રેસમાં હજુ પણ કેટલીક વિકેટો ખરવાની બાકી છે : વજુભાઇવાળા
લોકસભાની ચૂંટણી પહેલા વજુભાઇ વાળાનું (Vajubhai Vala) મહત્ત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ કોંગ્રેસને આડેહાથ લેતા કહ્યું કે, કોંગ્રેસની કેટલીક વિકેટો ખરી ચૂકી છે અને હજુ પણ કેટલીક વિકેટો ખરવાની બાકી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ ચૂંટણી લડવા માટે શંભૂમેળો ભેગો કર્યો છે. આ શંભૂમેળાને જુનાગઢ તળેટીને મોકલવાની છે. વજુભાઈએ આગળ કહ્યું કે, આપણે ગુજરાત વિધાનસભામાં 1 બેઠકમાંથી 156 સુધી પહોંચી ગયા છીએ. ત્યારે કોંગ્રેસની ઘણી વિકેટો ખરી છે અને હજુ પણ ખરશે. જણાવી દઈએ કે ભાજપે (BJP) લોકસભાની ચૂંટણી પહેલા તમામ 26 બેઠકોમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યલયો શરુ કર્યા છે. આજે રાજકોટ ખાતે પણ મધ્યસ્થ કાર્યાલય ખોલવામાં આવ્યું હતું, ત્યારે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ આ વાત કહી હતી.
આ પણ વાંચો - Ahmedabad : નવરંગપુરામાં પોલીસકર્મીએ કારચાલકને ટક્કર મારી કહ્યું- જે કરવું હોય તે કરી લો..!