સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ-AAP સાથે લડશે ચૂંટણી ?
- રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મોટા સમાચાર
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ-આપનું થઈ શકે છે ગઠબંધન
- વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલનું સૂચક નિવેદન
- ચૂંટણીમાં એક થઇને લડીશું તો ચોક્કસ જીતીશુંઃ અનંત પટેલ
- અલગ અલગ લડીશું તો બંને પક્ષને નુકસાન થશેઃ અનંત પટેલ
- બંને પક્ષના આગેવાનો વચ્ચે બેઠકો ચાલી રહી છેઃ અનંત પટેલ
વલસાડના ઉમરગામ તાલુકા ખાતે કોંગ્રેસ નેતા અનંત પટેલ દ્વારા જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમરગામ તાલુકામાં રોજગાર જમીન અને પડતર પ્રશ્નોને લઈને આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મીડિયા સાથે વાતચીત કરતા અનંત પટેલે જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને સાથે મળીને ચૂંટણી લડશે.
ચૂંટણીમાં એક થઇને લડીશું તો ચોક્કસ જીતીશું : અનંત પટેલ
જણાવી દઇએ કે, છેલ્લા ઘણા સમયથી ઉમરગામ તાલુકા વિસ્તારમાં આવેલ કંપનીઓમાં કર્મચારીઓને હેરાનગતિ સાથે જ સ્થાનિકોની જમીન કબજો કરી લેવું અને GIDC માં સ્થાનિકોને રોજગાર ન આપવા અને સ્થાનિકોને અન્યાય થતો હોવાની બાબતને લઈને ઉમરગામ તાલુકા વિસ્તારમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમરગામના અકરામારુતિ તળાવથી મામલતદાર કચેરી સુધી આ રેલી યોજાઇ હતી. મોટી સંખ્યામાં સ્થાનિકો આ રેલીમાં જોડાયા હતા અને મામલતદાર ઉમરગામને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ સાથે જ મીડિયા સાથે વાતચીત કરતા કોંગ્રેસના નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને પક્ષ સાથે મળીને ચૂંટણી લડશે. બંને પક્ષ દ્વારા જો અલગ અલગ ચૂંટણી લડવામાં આવશે તો બંને પક્ષને નુકસાન થશે. જેથી બંને સાથે મળીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે. આ સમગ્ર બાબતને લઈને બંને પક્ષના મોવડી મંડળ દ્વારા બેઠકોનો દૌર શરૂ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં બંને પક્ષો સાથે ચૂંટણી લડશે, તેઓ આશાવાદ અનંત પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.