મુંબઈ બ્લાસ્ટના માસ્ટર માઇન્ડ હાફિઝ સઈદને લઈ PAK મીડિયાનો મોટો દાવો, કહ્યું- ભારત સરકારે..!
મુંબઈ બ્લાસ્ટના માસ્ટર માઇન્ડ આતંકી હાફિઝ સઈદને લઈને પાકિસ્તાની મીડિયાએ મોટો દાવો કર્યો છે. PAK મીડિયાએ દાવો કરતા કહ્યું કે, ભારતે પાકિસ્તાન પાસે માગ કરી છે કે આતંકી હાફિઝ સઈદને ભારતના હવાલે કરવામાં આવે. પાક મીડિયા મુજબ, ભારત સરકારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયથી આતંકીને સોંપવાની માગ કરી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દાવો પાકિસ્તાની મીડિયા ઇસ્લામાબાદ પોસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. આ દાવા મુજબ, ભારત સરકારે ઔપચારિક રીતે પાકિસ્તાનથી હાફિઝ સઈદના પ્રત્યાર્પણની વિનંતી કરી છે. ઇસ્લામાબાદ પોસ્ટે દાવો કર્યો કે રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને ભારત સરકાર તરફથી એક સત્તાવાર વિનંતી કરવામાં આવી છે, જેમાં હાફિઝ સઈદના પ્રત્યાર્પણ માટેની કાનૂની પ્રક્રિયા શરૂ કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.
હાફિઝ આતંકી ફંડિંગ મામલે દોષી
જો કે, આ મામલે અત્યાર સુધી પાકિસ્તાન સરકાર તરફથી અથવા ભારત સરકાર તરફથી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. જણાવી દઈએ કે, હાફિઝ સઈદ મુંબઈમાં 26/11 આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ છે. આ જીવલેણ હુમલાઓમાં 6 અમેરિકી નાગરિકો સહિત કુલ 166 લોકોના મોત થયા હતા. અમેરિકાએ પણ આ સંગઠનને આતંકી જાહેર કર્યું છે. માહિતી છે કે, વર્ષ 2019થી લશ્કર-એ-તૈયબા (LeT) નો સંસ્થાપક હાફિઝ મોહમ્મદ સઈદ પ્રતિબંધિત જમાત-ઇદ-દાવા (JuD) ના અમુક નેતાઓ સાથે જેલમાં કેદ છે. તેને આતંકી ફંડિંગ મામલે દોષી જાહેર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - Year Ender 2023: ઈમરાન ખાનની ધરપકડ અને નવાઝ શરીફની વાપસી, પાકિસ્તાનની રાજનીતિ કેવી રીતે બદલાઈ…