રીબડામાં સરકારી જમીન અને સરકારી સંપતિ પર કબજા મામલે ગ્રામજનો દ્વારા આવેદન અપાયુ
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ
ગોંડલ તાલુકાનાં રીબડા ગામનાં સો થી વધુ ગ્રામજનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી સરકારી જમીન પર ગેરકાયદે કબ્જાના આક્ષેપને લઇને એક આવેદન પત્ર આપ્યું. જેમાં જણાવ્યુ હતુ કે રીબડામાં અનિરુધ્ધસિહ મહિપતસિંહ જાડેજા તથા તેના પરિવાર દ્વારા રીબડાની સરકારી જમીનો ધાર ટેકરા ગૌચર તથા ખરાબા જેવી કુદરતી અને સરકારી સંપત્તિ પર ધારની માટી મોરમ ભરતી તેમજ પત્થરો જેવી ખનીજ સંપતિઓની ટ્રેક્ટર અર્થમુવર જેવા મશીનોથી બિનકાયદેસર હેરાફેરી કરી કાળો કારોબાર ચલાવાઇ રહ્યો છે. આમ પર્યાવરણને પણ મોટુ નુકસાન પહોંચાડાયું છે.આક્ષેપ કરાયો છે કે ખાણ ખનીજ વિભાગ ની મીઠી નજર હેઠળ કરોડો નો કારોબાર ચલાવાઇ રહ્યો છે.સરકારી જમીનો પર કબ્જો કરી હોટલો રેસ્ટોરન્ટ ખડકી જાહેર રસ્તાઓ ને માલીકી ના ગણાવી રૂપિયા કમાવવાનાં સ્ત્રોત ઉભા કરાયા છે.ભાદર પાઇપ લાઇન માં તોડફોડ કરી પોતાના ખેતર નાં કુવા કે ટાંકા માં પાણીનો સંગ્રહ કરી વેપાર કરાઇ રહ્યો છે.
રજુઆત માં વધુમાં જણાવ્યાં મુજબ અનિરુધ્ધસિહ સામે અનેક ફરિયાદ થવા છતા પગલા લેવાયા નથી.પોપટભાઇ સોરઠીયા ની હત્યા નાં ગુન્હા માં આજીવન કેદ ની સજા હોવા છતા કૌભાંડ કરી કેદ માંથી બહાર આવેલ છે.ઉપરોકત રજુઆત અંગે ૧૩૩ કલમ હેઠળ સાત દિવસ મા ઉકેલ નહી લેવાય તો ઉપવાસ આંદોલન ની ચીમકી ગ્રામજનો દ્વારા અપાઇ છે. એક અલગ આવેદનપત્ર દ્વારા જયંતિભાઈ ખુંટ સહિત ના એ જણાવ્યું કે રીબડા ની સીમ માં સર્વે નં ૧૩૭ ની બાજુ માં નદી પર નુ દબાણ સત્વરે દુર કરવું.ઉપરાંત સર્વે નં.૧૩૮ બિનખેતી કરાઇ છે ત્યાંથી ખેડુતો નાં જવાનાં રસ્તામાં કાળી માટી નાંખી રસ્તો બંધ કરાયો છે તે તત્કાલીન ખુલ્લો કરવા જણાવાયું છે.