માફિયા થી રાજનેતા સુધીની Atique Ahmed ની કહાનીનો એક ગોળીથી આવ્યો અંત
ઉત્તરપ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદને પ્રયાગરાજ ખાતે મેડિકલ તપાસ માટે લઈ જતા પોલીસ સાથેના તેના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અતીક અને અશરફનું મોત થયું છે. અતીક અહેમદ અને અશરફની મેડિકલ કોલેજ પાસે હત્યા કરવામાં આવી છે. દેશના ઈતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે કોઈ ગેંગસ્ટરની ઓન કેમેરા હત્યા કરી દેવામાં આવી હોય. માફિયા રાજથી લઈ રાજનેતા બનેલા અતિકની કહાની એક ગોળી સાથે પૂર્ણ થઈ છે ત્યારે અતિક અહેમદનો અતિત પર થોડી નજર કરીએ...
અનેક ફરિયાદો
ઉત્તરપ્રદેશના રાજકારણમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર અતિક અહેમદના માથા પરની સફેદ પાઘડી તેની ઓળખ બની હતી અને તેના નામની આગળ બાહુબલી ઉપનામ લાગે છે. અતિકનો જન્મ શ્રાવસ્તી જનપદમાં 10 ઓગસ્ટ 1962ના રોજ થયો હતો. હાઈસ્કુલમાં ફેઈલ થયાં બાદ તેણે અભ્યાસ છોડી દીધો હતો અને માત્ર 17 વર્ષની ઉંમરે અતિક અહેમદ પર મર્ડરનો આરોપ લાગ્યો હતો. હાલ અતિક વિરૂદ્ધ 196 ફરિયાદ કરવામાં આવેલી છે. માત્ર ઉત્તરપ્રદેશ જ નહી બિહારમાં પણ તેની સામે ફરિયાદ થયેલી છે. લખનઉ, કૌશામ્બી, ચિત્રકૂટ, અલાહાબાદ અને બિહારમાં મર્ડર, અપહરણ, જબરદસ્તી વસૂલી જેવા કેસ નોંધાયેલા છે. સૌથી વધુ અલાહાબાદ એટલે કે પ્રયાગરાજમાં કેસ તો કાનપુરમાં પણ તેની સામે પાંચ કેસ નોંધાયેલા હતા, જેમાંથી તેને નિર્દોષ જાહેર કરાયો હતો.
અપરાધની દુનિયામાંથી રાજનીતિની દુનિયામાં એન્ટ્રી
- અપરાધની દુનિયા બાદ અતિકે રાજકારણમાં એન્ટ્રી લીધી, વર્ષ 1989માં તે પહેલીવાર અલાહાબાદ વિધાનસભા સીટથી ધારાસભ્ય બનેલો. તેણે 1991 અને 1993માં અપક્ષમાં રહીને ચૂંટણી લડી અને ધારાસભ્ય પણ બન્યો. જે પછી વર્ષ 1996માં આ જ સીટ પર તેને સમાજવાદી પાર્ટીએ ટિકિટ આપી અને તે ફરી ધારાસભ્ય બન્યો.
- અતિક અહેમદ 1999માં અપના દળ પાર્ટીમાં જોડાયો. તે પ્રતાપગઢથી ચૂંટણી લડ્યો અને હાર્યો. 2002માં આ જ પાર્ટીમાંથી ફરી ધારાસભ્ય બન્યો. 2003માં જ્યારે યુપીમાં સરકાર બની ત્યારે અતિકે ફરી મુલાયમ સિંહનો હાથ પકડ્યો અને 2004ની લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ તેને ફૂલપુર સંસદીય વિસ્તારમાંથી ટિકિટ આપી અને તે ત્યાંનો સાંસદ બન્યો. 2007માં માયાવતીના હાથમાં ઉત્તરપ્રદેશની સત્તા આવ્યા બાદ અતિકનો ખરાબ સમય શરૂ થયો તેની સામે એક પછી એક કેસ નોંધાવા લાગ્યા હતા.
- અતિક વર્ષ 2004માં વિધાનસભા ચૂંટણીમાં ફૂલપુરથી સપાની ટિકિટ પર સાંસદ બન્યો એ સિવાય અલાહાબાદ પશ્ચિમ વિધાનસભા સીટ ખાલી થતા પેટાચૂંટણી યોજાઈ જેમાં સપાએ અતિકના નાના ભાઈ અશરફને ટિકિટ આપી હતી, પરંતુ બસપાએ તેની સામે રાજુ પાલને ઊભો કરી દીધો હતો. રાજુએ અશરફને હરાવી દીધો હતો જે બાદ રાજુ પાલની 25 જાન્યુઆરી 2005માં ધોળા દિવસે ગોળી મારીને તેની હત્યા કરી દીધી હતી. આ હત્યાકાંડમાં સાંસદ અતિક અહેમદ અને તેના ભાઈ અશરફને આરોપી બનાવવામાં આવ્યા હતા.
સપામાંથી હકાલપટ્ટી, ધરપકડના ડરથી નાસતો-ફરતો
રાજુ પાલની હત્યામાં નામજોગ આરોપી થયા પછી પણ અતિક સાંસદ તરીકે કાર્યરત હતો. જેથી તેની ખુબ જ નિંદા થતાં મુલાયમ સિંહે ડિસેમ્બર 2007માં બાહુબલી સાંસદ અતિક અહમદને પાર્ટીમાંથી હાંકી કાઢી નાખ્યો હતો. જોકે ગેંગસ્ટરમાંથી રાજનેતા બનેલા અતિકે પોતાના મુળ ધંધાને શરૂ રાખી રાજુ પાલ હત્યાકાંડના સાક્ષીઓને ડરાવવા-ધમકાવવાનો પ્રયાસ કરતો રહેતો હતો. જોકે સત્તા માયાવતીની પાસે જવાથી તે સફળ ના થઈ શક્યો. ધરપકડના ડરને કારણે તે ભાગતો ફરતો હતો.
અનેક મુશ્કેલીઓ અતિક સામે
સરકારે તેના ઘર, કાર્યાલય સહિતની પાંચ સંપત્તિ કોર્ટના આદેશ પછી જપ્ત કરી તેના પર પોલીસે રૂ. 20 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. સાંસદ અતિકની ધરપકડ માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યા હતા, માયાવતીના ડરને લીધે તેણે દિલ્હીમાં સરન્ડર કરવાનું વિચાર્યું. તંત્રએ તેના પર શિકંજો કસતા તેની ખાસ અલીના સિટીને ગેરકાયદે જાહેર કરીને બાંધકામ તોડી પાડ્યું હતું આમ એક પછી એક ફરિયાદો અને મુશ્કેલીઓ અતિક સામે આવતી રહી.
સાબરમતિ જેલમાં ટ્રાન્સફર કરાયો
તા. 19 માર્ચ 2017ના દિવસે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથે શપથ લીધા હતા તે વખતે પણ અતિક બે વર્ષ સપામાં ધારાસભ્ય રહ્યો હતો. 26 ડિસેમ્બર 2018માં યુપીના મોટા વેપારી મોહિત જયસ્વાલને અતિકના માણસોએ ધમકી આપી હતી જેથી જયસ્વાલે ડર્યા વગર અતિક સામે કેસ કર્યો. આ કેસની સુનાવણી હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચી અને સુપ્રીમ કોર્ટે આ સુનાવણી CBI ને સોંપી. અતિકને યુપીની બહાર અમદાવાદની સાબરમતી જેલમાં હાઈ સિક્યોરિટીમાં રાખવા માટેનો આદેશ આપ્યો હતો. જે પછીથી તે સાબરમતિ જેલમાં જ હતો.
આ પણ વાંચો : ગેંગસ્ટર અતિક અહેમદ અને અશરફની ગોળી મારીને હત્યા