VADODARA : માંડવી દરવાજાની દુર્દશા મામલે મહારાણીનું દર્દ છલકાયું
VADODARA : વડોદરાના ઐતિહાસિક માંડવી દરવાજાની દુર્દશા સામે આવી છે. માંડવાના ત્રણ પિલર પરથી પોપડા ખરી રહ્યા હોવાનું સપાટી પર આવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ વચ્ચે ગાયકવાડ પરિવારના મહારાણી રાધિકારાજે ગાયકવાડે સોશિયલ મીડિયા પર પોતાનું દુખ વ્યક્ત કર્યું છે. તેમણે શેર કરેલી સોશિયલ મીડિયા સ્ટોરીમાં માંડવીના જર્જરિત પિલરની તસ્વીર છે, અને કુછ બોલેંગે તો વિવાદ હો જાયેગા તેવું લખાણ છે. વડોદરાના નેતાઓ ઐતિહાસિક ઇમારતોની જાળવણીમાં ઉણા ઉતર્યા હોવાનું આ કિસ્સા પરથી વધુ એક વખત સપાટી પર આવવા પામ્યું છે. (GAEKWAD ROYAL FAMILY MAHARANI RADHIKARAJE GAEKWAD UNHAPPY WITH POOR CONDITION OF MANDVI GATE - VADODARA)
લોખંડના ટેકા મુકીને કામચલાઉ ધોરણે તેનો રસ્તો કાઢવામાં આવ્યો છે
વડોદરામાં ચૂંટાયેલા નેતાઓ દ્વારા હેરીટેજ સ્કવેર બનાવવાનો રાગ આલાપવામાં આવ્યો છે. જેમાં જોઇએ તેવી સફળતા તો મળી નથી. પરંતુ તેનાથી વિપરીત ઐતિહાસિક ઇમારતોની જાળવણીમાં તંત્ર ઉણું ઉતરી રહ્યું છે. શહેરની મધ્યમાં આવેલા માંડવી દરવાજાના પાયાના પોપડા ખરતા અગાઉ રિસ્ટોરેશન માટેની રજુઆત કરવામાં આવી હતી. જેનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. આ વચ્ચે માંડવી દરવાજાના ત્રણ પિલરના પોપડા ખર્યા હોવાનું સપાટી પર આવ્યું છે. જેને લઇને માંડવી દરવાજાનો એક તરફનો ભાગ ધરાશાયી થવાની દહેશત વ્યાપી જવા પામી છે. જે બાદ લોખંડના ટેકા મુકીને કામચલાઉ ધોરણે તેનો રસ્તો કાઢવામાં આવ્યો છે. શહેરની ઐતિહાસિક ધરોહર માંડવી દરવાજાની દુર્દશા હવે લોકોથી જોવાથી નથી.
સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરી
શહેરવાસીઓની જેમ વડોદરાના રાજવી પરિવારના મહારાણી રાધીકારાજે ગાયકવાડ પણ આ વાતથી વ્યથિત હોવાનું સામે આવ્યું છે. તેમણે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરી છે. જેની પોસ્ટ અન્ય એકાઉન્ટ દ્વારા કરવામાં આવી છે. જેમાં માંડવીના પિલરનો જર્જરિત ફોટો મુકવામાં આવ્યો છે, અને લખ્યું છે કે, કુછ બોલેંગે તો વિવાદ હો જાયેગા. અત્રે નોંધનીય છે કે, અગાઉ પણ અનેક વખત મહારાણી સાંપ્રત ઘટનાઓને લઇને તેમના સોશિયલ મીડિયાના માધ્મથી અવાજ ઉઠાવતા આવ્યા છે. સામાન્ય માણસથી લઇને મહારાણી સુધીના તમામ માંડવીની દુર્દશાથી વ્યથિત છે. હવે આ મામલે તંત્ર દ્વારા કેટલા સમયમાં નક્કર કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.
દુર્દશાના વિરોધમાં મહંતે ચપ્પલનો ત્યાગ કર્યો
માંડવી દરવાજાના પોપડા ખરી પડતા વિઠ્ઠલનાથજી મંદિરના મહંત ભારે વ્યથિત છે. તેમણે આજે ચપ્પલનો ત્યાગ કર્યો છે. આજે તેઓ ઉઘાડા પગે માંડવીના દરવાજા નીચે ઉભા થયા છે. તેમનું કહેવું છે કે, આ માંડવી ગેટ સાથે અમારૂ બાળપણ જોડાયેલું છે. તંત્ર ધ્યાન આપતું નથી. તમામ ધર્મની શોભાયાત્રાઓ અહિંયાથી પસાર થાય છે. તે તમામે મારી સાથે જોડાઇને માંડવી ગેટનું કાર્ય ઝડપ પકડે તે માટેનો અવાજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચાડવામાં મદદ કરો.
આ પણ વાંચો --- VADODARA : હથિયાર પરવાના કૌભાંડનો રેલો જિલ્લામાં પહોંચ્યો, ત્રણ સામે તવાઇ