આ બિહાર છે… રૂ. 1700 કરોડનો બ્રિજ બીજીવાર તૂટ્યો !!, જાણો - તેને બનાવનાર કંપની વિશે...
બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર બનેલો બ્રિજ પત્તાની જેમ તૂટી પડ્યો હતો. આ બ્રિજ 1,717 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે, તેમાં બ્રિજના પિલરના ઓછામાં ઓછા 30 સ્લેબ તૂટી પડ્યા હતા.
આ ફોર લેન બ્રિજ ભાગલપુરના સુલતાનગંજથી ખગરિયાના અગુવાની સુધી બનાવવામાં આવી રહ્યો હતો. નીતીશ સરકારે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. ગત વર્ષે પણ આ બ્રિજ ભારે પવન અને વરસાદમાં તૂટી પડયો હતો. આ બ્રિજનું કામ 2014માં શરૂ થયું હતું અને તેને પૂર્ણ કરવાની સમયમર્યાદા આઠ વખત લંબાવવામાં આવી છે.
આ બ્રિજનું કામ માર્ચ 2019 સુધીમાં પૂર્ણ કરવાનું હતું, પરંતુ ત્યાં સુધી 25% કામ પણ યોગ્ય રીતે થયું નહતું. બાદમાં સરકારે તેની સમયમર્યાદા 2020 અને પછી 2022 સુધી લંબાવી હતી.
ગત વર્ષે 30 એપ્રિલે ભારે વરસાદ અને પવનને કારણે આ બ્રિજના બે પિલર તૂટી ગયા હતા. તે સમયે પણ તેના નિર્માણ કાર્ય પર સવાલો ઉઠ્યા હતા, પરંતુ તેને બનાવનાર કંપની સામે કોઈ પગલાં લેવાને બદલે બ્રિજનું કામ પૂર્ણ કરવાનો સમય આપવામાં આવ્યો હતો. આ બ્રિજ મહત્વપૂર્ણ છે કારણ કે તે ઉત્તર અને દક્ષિણ બિહારને જોડે છે.
શું આયોજન હેઠળ બ્રિજ તૂટી પડ્યો?
આ બ્રિજ ધરાશાયી થયા બાદ મુખ્યમંત્રી નીતિશ કુમારે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે. ખાનગી ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, આ જ બ્રિજ ગયા વર્ષે પણ તૂટી પડ્યો હતો. મહત્વનું છે કે, બ્રિજનું કામ યોગ્ય રીતે કરવામાં આવ્યું નહતું, તેથી બ્રિજ વારંવાર તૂટી પડ્યો હતો. જો કે, રાજ્ય સરકારના કેટલાક અધિકારીઓનો દાવો છે કે આ બ્રિજનો અમુક ભાગ નિષ્ણાતોની સલાહ પર તોડી પાડવામાં આવ્યો હતો કારણ કે તેની ડિઝાઇનમાં ઘણી ખામીઓ હતી.
તમને જણાવી દઈએ કે, રવિવારે બ્રિજ તૂટી પડવાનો વીડિયો વાયરલ થયા બાદ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ અને ACAS પ્રત્યય અમૃતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેજસ્વી યાદવે કહ્યું, 'ગયા વર્ષે જ્યારે આ બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો. તો આ પછી IIT રૂરકીના નિષ્ણાતોએ તેના બાંધકામનો અભ્યાસ કર્યો હતો. તેનો અંતિમ રિપોર્ટ હજુ આવવાનો બાકી છે, પરંતુ તેનો અભ્યાસ કરનારા નિષ્ણાતોએ જણાવ્યું હતું કે તેમાં ઘણી ખામીઓ છે.
આ બ્રિજ કેટલો મહત્વનો છે?
આ ફોર લેન બ્રિજ ભાગલપુરથી 35 કિમી પશ્ચિમમાં બનાવવામાં આવી રહ્યો છે. SP સિંગલા કન્સ્ટ્રક્શન લિમિટેડ તેને બિહાર બ્રિજ નિર્માણ નિગમ લિમિટેડ માટે બનાવી રહી છે. આ બ્રિજની લંબાઈ 3.11 કિમી છે. આ બ્રિજ NH-31 અને NH-107ને જોડશે. આ બ્રિજના કારણે સુલતાનગંજ અને ખાગરિયા, સહરસા, સુપૌલ, મધેપુરા જેવા ઘણા જિલ્લાઓ વચ્ચેનું અંતર ઘટશે.
કંપનીનું એકાઉન્ટ શું છે?
એસપી સિંગલા કન્સ્ટ્રક્શન કંપનીને સુલતાનગંજ-અગુવાની બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. તેની કુલ કિંમત 1,717 કરોડ રૂપિયા છે. આ કંપની પહેલીવાર રડાર પર આવી જ્યારે મે 2020માં કોંક્રીટનો સ્લેબ પડવાને કારણે ત્રણ બાળકોના મોત થયા હતા. આ અકસ્માત લોહિયા ચક્ર પથના નિર્માણ દરમિયાન થયો હતો.
માર્ચ 2023 ના એક સમાચાર અનુસાર, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ પટનામાં ગંગા નદી પર 6 લેનનો બ્રિજ બનાવવા માટે એસપી સિંગલા કન્સ્ટ્રક્શન કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ કંપની બિહારમાં પહેલાથી જ ઘણા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. તેમાં જવાહરલાલ નેહરુ રોડ પર લોહિયા ચક્ર પથ પણ બનાવવામાં આવ્યો છે. કહેવાય છે કે કંપનીએ આ પ્રોજેક્ટ માટે રૂ. 3,012.27 કરોડની બિડ કરી હતી.
આ પણ વાંચો : ભારતમાં બે વિચારધારાઓની લડાઈ, એક ગાંધીજી અને બીજી ગોડસેની… : ન્યૂયોર્કમાં NRI ને સંબોધિત કરતા રાહુલ ગાંધી