Pakistan : પૂર્વ PM ઇમરાન ખાનની પાર્ટી PTI નું વિરોધ પ્રદર્શન, 'Black Day' મનાવ્યો
- પાકિસ્તાનમાં ચૂંટણીમાં કથિત ગોટાળાનો વિરોધ
- પૂર્વ PM ઇમરાન ખાનની પાર્ટી PTI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન
- પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ 'કાળો દિવસ' ઊજવવામાં આવ્યો
- પોલીસે કેટલાક પ્રદર્શનકારીઓની ધરપકડ
પાકિસ્તાનમાં ચૂંટણીમાં કથિત ગોટાળાનાં વિરોધમાં જેલમાં કેદ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) દ્વારા સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરીને 'Black Day' (કાળો દિવસ) મનાવવામાં આવી રહ્યો છે. જો કે, આ વિરોધ પ્રદર્શન હેઠળ PTI નાં અનેક નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. ગયા વર્ષની સામાન્ય ચૂંટણીમાં પણ કથિત ગેરરીતિ સામે પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ 'કાળો દિવસ' ઊજવવામાં આવ્યો હતો અને રેલીઓ કાઢવામાં આવી હતી.
8 ફેબ્રુઆરીએ સમગ્ર પ્રદેશમાં કલમ 144 લાગૂ
જણાવી દઈએ કે, PTI એ ખૈબર પખ્તુનખ્વાની રાજધાની સ્વાબીમાં મુખ્ય રેલીનું આયોજન કર્યું હતું, જ્યાં પાર્ટી સત્તામાં છે. પાર્ટીનાં હાઇ કમાન્ડે તેના કાર્યકરો અને સમર્થકોને દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવા સૂચન કર્યું છે. PTI દ્વારા લાહોરમાં ઐતિહાસિક મિનાર-એ-પાકિસ્તાન ખાતે રેલી યોજવાની તૈયારી કરાઈ રહી હતી પરંતુ, પંજાબ (પાકિસ્તાન) નાં અધિકારીઓ દ્વારા પરવાનગી ન મળતા રેલી મુલતવી રાખવામાં આવી હતી. મરિયમ નવાઝના નેતૃત્વ હેઠળની પંજાબ સરકારે (પાકિસ્તાન) 8 ફેબ્રુઆરીએ સમગ્ર પ્રદેશમાં કલમ 144 લાગૂ કરી હતી, જે હેઠળ તમામ રાજકીય મેળાવડા, ધરણા, રેલીઓ, પ્રદર્શનો અને આવી અન્ય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - Libyaમાં 29 માઈગ્રન્ટ્સના મૃતદેહ મળ્યા, માનવ તસ્કરીનો ખેલ ચાલી રહ્યો છે
પાર્ટીનાં ડઝનબંધ કાર્યકરોની ધરપકડ
મીડિયા રિપોર્ટ અનુસાર, PTI કાર્યકરોને કાર્યક્રમ સ્થળે પહોંચતા અટકાવવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. તે જ સમયે, પોલીસે કેટલાક પ્રદર્શનકારીઓની ધરપકડ પણ કરી હતી. શનિવારનાં રોજ પાકિસ્તાનનાં મુલતાન શહેરમાં PTI પાર્ટીનાં ડઝનબંધ કાર્યકરોની ધરપકડ કરાઈ હતી, જેમાં પાર્ટીનાં ઉપપ્રમુખ શાહ મહમૂદ કુરેશીની પુત્રી મેહર બાનો કુરેશી પણ સામેલ હતી. દરમિયાન, સત્તારૂઢ પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PMLN) એ લાહોરમાં કલમ 144 નું ઉલ્લંઘન કર્યું અને તેમની સરકારને સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થતાં ઉજવણી માટે એક રેલીનું આયોજન કર્યું હતું.
આ પણ વાંચો - Bangladeshમાં અલ કાયદા સક્રિય, ISIના ઈશારે શેખ મુજીબુર રહેમાનના ઘરમાં તોડફોડ
ચૂંટણીમાં ગોટાળાના આરોપો
PTI નેતાઓએ સરકાર પર ધાંધલી કરીને ચૂંટણી જીતવાનો આરોપ લગાવ્યો હતો. પંજાબ વિધાનસભામાં વિપક્ષનાં નેતા મલિક અહમદ ખાન ભાચરે જણાવ્યું હતું કે ચૂંટણી જીતવા માટે અલગ-અલગ પ્રપંચ કરવામાં આવ્યા હતા અને પીટીઆઈના વિરોધીઓ કે જેઓ ચૂંટણી હારી રહ્યા હતા, તેમને પણ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, સામાન્ય ચૂંટણીનાં પરિણામોએ બંધારણનું અપમાન કર્યું છે.
આ પણ વાંચો - Iran : જો અમારી સુરક્ષા માટે ખતરો ઉભો કર્યો તો..., ઈરાનના સુપ્રીમ લીડરે ડોનાલ્ડ ટ્રમ્પને આપી ચેતવણી