CYCLONE MICHUANG: વાવાઝોડા મિચોંગના કારણે ચેન્નાઈમાં જનજીવન અસ્તવ્યસ્ત, કેન્દ્ર પાસે CM સ્ટાલીને કરી રૂ. 5060 કરોડ રાહત ફંડની માગ
આંધ્રપ્રદેશ અને તમિલનાડુના કેટલાક જિલ્લાઓમાં મિચોંગ વાવાઝોડાએ ભારે વિનાશ સર્જ્યો છે. અતિશય વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. પૂરના કારણે રસ્તાઓ તૂટી ગયા છે, જ્યારે નદી-તળાવ પણ ઊભરાઈ ગયા છે. વાવાઝોડાના કારણે બંને રાજ્યોમાં જનજીવનને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. જો કે, કેન્દ્ર સરકારની પણ આ સ્થિતિ પર નજર છે. આ વચ્ચે તમિલનાડુના મુખ્યપ્રધાન એમ.કે. સ્ટાલિને પીએમ મોદીને પત્ર લખીને ચક્રવાત મિચોંગને કારણે થયેલા નુકસાન માટે રૂ.5060 કરોડના તાત્કાલિક વચગાળાના રાહત ફંડની માગણી કરી છે.
ઉપરાંત, તેમણે પીએમને રાજ્યમાં વાવાઝોડાના કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવા માટે એક કેન્દ્રીટ ટીમ મોકલવા માટે પણ અનુરોધ કર્યો છે. માહિતી છે કે આ પત્ર ડીએમકે સાંસદ ટીઆર બાલૂ દ્વારા વ્યક્તિગત રીતે દિલ્હીમાં પીએમ મોદીને આપવામાં આવશે. સીએમ સ્ટાલિને ચેન્નાઈમાં એક રાહત શિબિરની મુલાકાત પણ લીધી હતી અને લોકોને જરૂરિયાતની ચીજ-વસ્તુઓનું વિતરણ કર્યું હતું.
અત્યાર સુધી 17 લોકોના મોત
જણાવી દઈએ કે, બંગાળની ખાડીમાં ઉદભવેલું ગંભીર ચક્રવાતી વાવાઝોડું મિચોંગ મંગળવારે બપોરે 100 કિમીની ઝડપે આંધ્રપ્રદેશના નેલ્લોર અને કાવલી વચ્ચે બાપટલા નજીકના દરિયાકાંઠે અથડાયું હતું.તેની અસરને કારણે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો સિવાય ચેન્નાઈમાં પણ ભારે વરસાદ થયો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સોમવારે તમિલનાડુના ચેન્નાઈ અને નજીકના વિસ્તારોમાં મિચોંગ વાવાઝોડું ત્રાટક્યું હતું, જેના કારણે અત્યાર સુધી 17 લોકોના મોત થયા હોવાના સમાચાર છે. સાથે જ મંગળવારે ચેન્નાઈ અને તેના નજીકના વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયા છે ત્યાં લોકો ફસાયા છે તેમણે બચાવવા માટે બોટ અને ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.