નકલી કચેરી મામલે કૌંભાંડમાં સાંસદ સહિત નેતાઓ સામેલ હોવાનો આક્ષેપ
અહેવાલ - સાબીર ભાભોર, દાહોદ
દાહોદમાં 6 નકલી કચેરી 18.59 કરોડના કૌભાંડ મામલે આજે તટસ્થ તપાસની માંગ સાથે આદિવાસી સમાજે કલકેટરને આવેદન આપવામાં આવ્યું હતું. અને સાથે જ સાંસદ સહિત ભાજપ ના નેતાઓ ની સંડોવણી ના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા.
ગ્રાન્ટ દાહોદની પ્રયોજના વહીવટદારની કચેરીમાંથી મેળવી
છોટાઉદેપુરમાં નકલી કચેરી ઝડપાયા બાદ તપાસ દરમિયાન આરોપી સંદીપ રાજપૂતે દાહોદમાં પણ 6 નકલી કચેરી શરૂ કરી 100 કામ માટે 18.59 કરોડની ગ્રાન્ટ દાહોદની પ્રયોજના વહીવટદારની કચેરીમાંથી મેળવી હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ દાહોદ ખાતે પણ પ્રાયોજના વહીવટદારની કચેરી દ્રારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અને હાલ કોર્ટે સંદીપને 11 દિવસના રિમાન્ડ મંજૂર કરતાં સંદીપ રિમાન્ડ હેઠળ છે
સંયુક્ત રીતે એકત્ર થઈ કલેક્ટરને આવેદન આપ્યું
ત્યારે ચકચારી કૌભાંડ મામલે આજે કોંગ્રેસ,આપ અને BTP તેમજ આદિવાસી સમાજના અગ્રણીઓ સંયુક્ત રીતે એકત્ર થઈ કલેક્ટરને આવેદન આપ્યું હતું. જેમાં આદિવાસી સમાજની માંગ છે કે પ્રાયોજના વહીવટદાર કચેરી મારફતે આદિવાસીઓના વિકાસ માટે નાણાં ફાળવવામાં આવતા હોય છે, ત્યારે આ રીતે કૌભાંડ આચરી આદિવાસીના નાણાં લોકો ચાઉ કરી ગયા છે.
ધારાસભ્યોની પણ સંડોવણી હોવાના આક્ષેપ સાથે તટસ્થ તપાસની માંગ
આ સમગ્ર કૌભાંડમાં દાહોદના સાંસદ તેમજ ધારાસભ્યોની પણ સંડોવણી હોવાના આક્ષેપ સાથે તટસ્થ તપાસની માંગ કરી કસૂરવાર તમામ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. અને જો આગામી 5 ડીસેમ્બર સુધી ન્યાયિક કાર્યવાહી ન થાય તો 10 ડિસેમ્બરથી સમગ્ર જિલ્લામાં આદિવાસી સમાજ દ્રારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
ભાજપના મહામંત્રીએ તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા
આ તરફ દાહોદના ધારાસભ્ય અને દાહોદ જિલ્લા ભાજપના મહામંત્રી કનૈયાલાલ કીશોરીએ તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા.અને જણાવ્યુ હતું કે જો તેમની પાસે પુરાવા હોય તો તેઓ સાબિત કરી બતાવે નકલી કચેરી બાબતે સરકાર કટીબધ્ધ છે. અને હાલમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. સાથે જ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અને જવાબદારો સામે ચોક્કસથી કાર્યવાહી થશે તેવું જણાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો - ગોંડલમાં માતાએ બે માસૂમ પુત્રી સાથે કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો