Tamil Nadu : તમિલનાડુ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ, 9 શ્રમિકો જીવતા હોમાયા
Tamil Nadu : તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં (Firecracker factory) આગની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં આગમાં 9 શ્રમિકોના ( workers) મોત અને 6 શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા છે. આગની ઘટમાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
બ્લાસ્ટમાં 9 શ્રમિકો જીવતા ભૂંજાયા
તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના વેમ્બાકોટ્ટઈમાં આજે ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ થયો છે ,જેમાં ફેક્ટરીમાં કામ કરતા 9 શ્રમિકો જીવતા ભૂંજાયા છે, જ્યારે 6 અન્ય શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા છે. આ ફટકડાની ફેક્ટરી મુથુસમીપુરમમાં આવેલી છે, જેના માલિકનું નામ વિજય હોવાનું કહેવાય છે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ બ્લાસ્ટમાં સાત શ્રમિકોના મોત થયા હતા, જ્યારે બે શ્રમિકોના હોસ્પિટલ લઈ જતા સમયે રસ્તામાં જ મોત થયા હતા..
અગાઉ પણ બ્લાસ્ટની ઘટના બની છે
આ ભયાનક બ્લાસ્ટ બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા શ્રમિકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ નથી. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં જ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી શરુ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે તમિલનાડુમાં ફટાકડાનો મોટો ઉદ્યોગ છે અને અહીં ગેરકાયદે ફેક્ટરીઓ પણ ચાલે છે. અગાઉ ગયા વર્ષે પણ ફટાકડાની બે ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બની હતી. આ અલગ-અલગ બે ઘટનામાં 11 લોકોનો મોત થયા હતા જ્યારે 15થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ગયા વર્ષે જુલાઈમાં તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લાના પઝાયાપેટ્ટાઈમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. ક્રિષ્નાગિરી એસપીએ આ વિસ્ફોટમાં આઠ લોકોના મોતની પુષ્ટિ કરી હતી. ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. વિસ્ફોટની અસરને કારણે ફેક્ટરીની નજીક આવેલા મકાનો અને કેટલીક દુકાનોને નુકસાન પહોંચ્યું હતું. મે 2023માં રાજ્યના શિવકાશીમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં બે લોકોના મોત થયા હતા. તમિલનાડુનો વિરુધુનગર જિલ્લો ફટાકડાના ઉત્પાદનના હબ તરીકે ઓળખાય છે.
આ પણ વાંચો - Delhi ના ઝાખીરામાં માલગાડીના 10 ડબ્બા પલટ્યા, બચાવ કાર્ય ચાલુ…