GST Council Meeting : કૅન્સરના દર્દીઓ માટે Good News, સરકારે સસ્તી સારવારનો માર્ગ કર્યો મોકળો
- કૅન્સર દર્દીઓ માટે રાહતના સમાચાર
- કૅન્સરની દવાઓ પર GST ઘટાડો
- કૅન્સરની સારવાર થશે સસ્તી
54th GST Council Meeting : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Union Finance Minister Nirmala Sitharaman) ની અધ્યક્ષતામાં 54મી GST કાઉન્સિલની બેઠક થઇ. આ બેઠક પર માત્ર ઈન્ડસ્ટ્રી જ નહીં સામાન્ય લોકો પણ ખાસ નજર રાખી રહ્યા હતા. વાસ્તવમાં, ઉદ્યોગની સાથે સાથે દેશના સામાન્ય લોકોને પણ GST કાઉન્સિલની આ બેઠકથી ઘણી અપેક્ષાઓ હતી. દર વખતની જેમ આ વખતે પણ GST કાઉન્સિલની બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવાયા છે. આવો જાણીએ આ બેઠકમાં અત્યાર સુધી કયા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
કેન્સરની દવાઓ પર GST દરમાં કરાયો ઘટાડો
સોમવારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની 54મી બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. કાઉન્સિલની બેઠક બાદ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ઘણી મોટી જાહેરાતો કરી છે. નાણામંત્રીએ કહ્યું છે કે, નમકીન પરના GST દરમાં સંભવિત ઘટાડો કરવામાં આવ્યો છે. સાથે જ કેન્સરની દવાઓ પરનો GST પણ ઘટાડી દેવામાં આવ્યો છે. નાણામંત્રીએ કહ્યું કે, GST કાઉન્સિલે કેન્સરની દવાઓ પર GST દર 12 થી ઘટાડીને 5 ટકા કર્યો છે અને નાસ્તા પર GST 18 થી ઘટાડીને 12 ટકા કર્યો છે. આ ઉપરાંત GST કાઉન્સિલે વિદેશી એરલાઈન્સને પણ મોટી રાહત આપી છે. વળી, GST કાઉન્સિલે આરોગ્ય અને જીવન વીમા પ્રિમિયમ પરના GST દરને વર્તમાન 18 ટકાથી ઘટાડવા માટે વ્યાપકપણે સંમતિ આપી છે પરંતુ આ અંગેનો અંતિમ નિર્ણય નવેમ્બરમાં યોજાનારી આગામી બેઠકમાં લેવામાં આવશે.
આરોગ્ય અને જીવન વીમાના પ્રિમિયમને GST માંથી મુક્તિની માંગ
જણાવી દઈએ કે GSTના આગમન પહેલા વીમા પ્રીમિયમ પર સર્વિસ ટેક્સ લાગતો હતો. વર્ષ 2017માં જ્યારે GST લાગુ કરવામાં આવ્યો ત્યારે GST સિસ્ટમમાં સર્વિસ ટેક્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સંસદમાં ચર્ચા દરમિયાન વીમા પ્રીમિયમ પર ટેક્સ લાદવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. વિપક્ષના સભ્યોએ આરોગ્ય અને જીવન વીમાના પ્રિમિયમને GSTમાંથી મુક્તિ આપવાની માંગ કરી હતી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ આ મુદ્દે સીતારમણને પત્ર લખ્યો હતો.
GST કાઉન્સિલની બેઠકમાં અન્ય મોટી જાહેરાતો
- કાઉન્સિલે બિઝનેસ ટુ કસ્ટમર GST ઇન્વોઇસિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
- સંશોધન અને વિકાસ માટે અપાતી રકમને GSTમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- ધાર્મિક યાત્રાઓ માટે હેલિકોપ્ટર સેવાઓ પર ટેક્સ ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો. ઉત્તરાખંડના નાણામંત્રી પ્રેમચંદ અગ્રવાલે કહ્યું છે કે કેદારનાથ, બદ્રીનાથ જેવા ધાર્મિક તીર્થસ્થળો પર શ્રદ્ધાળુઓને લઈ જતી હેલિકોપ્ટર સેવાઓ પરનો ટેક્સ 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.
- કાઉન્સિલે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા રૂ. 2,000 સુધીના નાના ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે બિલડેસ્ક અને CCAvenue જેવા પેમેન્ટ એગ્રીગેટર્સ (PAs) પર 18 ટકા GST વસૂલવાનો મુદ્દો ટેક્સ કમિટીને રિફર કર્યો છે.
આ પણ વાંચો: GST Meeting:GSTકાઉન્સિલની મળી બેઠક, આ મુદ્દા પર થઈ ચર્ચા