દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે આતિશીનું નામ જાહેર, AAP બેઠકમાં લેવાયો નિર્ણય
- દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા આતિશી
- AAPની ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય
- સાંજે કેજરીવાલ CM પદેથી આપશે રાજીનામું
Delhi New CM : દિલ્હીમાં મુખ્યમંત્રી કોણ? આ સવાલ અત્યારે સૌ કોઇની જબાન પર છે. દિલ્હીની રાજનીતિમાં પણ આ સવાલ ઘણો મોટો બની ગયો છે. ત્યારે દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેની જાહેરાત કરી દેવામાં આવી છે. દિલ્હીના નવા મુખ્યમંત્રી (Delhi New CM) તરીકે હવે આતિશિ માર્લેનાના નામની જાહેરાત કરવામાં આવી છે.
આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી
મંગળવારની સવાર દિલ્હીવાસીઓ માટે એક મોટા સમાચાર લઇને આવી છે. આજે અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને વિધાનસભ્ય દળની બેઠક મળી હતી જેમા દિલ્હીના નવા મુખ્યમંત્રી (Delhi New CM) ના નામની જાહેરાત કરવામાં આવી છે. આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે. અરવિંદ કેજરીવાલે બેઠકમાં તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના પર ધારાસભ્યોએ મંજૂરી આપી દીધી હતી. આ જાહેરાત પહેલા આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલને મુખ્યમંત્રી બનવામાં રસ નથી. જોકે, હવે આતિશીનું નામ જાહેર થઇ ગયું છે. આતિશીએ દિલ્હીની શિક્ષણ નીતિ બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. આતિશીને કેજરીવાલ અને સિસોદિયા બંનેના વિશ્વાસુ માનવામાં આવે છે. લગભગ 18 વિભાગો સંભાળી રહેલા આતિશીને હવે વહીવટનો સારો અનુભવ છે. તે મીડિયાની સામે પાર્ટીનું સ્ટેન્ડ જોરદાર રીતે રજૂ કરી રહી છે. આતિશીને મુખ્યમંત્રી બનાવીને કેજરીવાલે વિધાનસભા ચૂંટણી પહેલા અડધી વસ્તીને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે.
હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં મળી શકે છે લાભ
ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલે જેલમાંથી બહાર આવ્યા બાદ કહ્યું હતું કે, તેઓ દિલ્હીની ગદ્દી પરથી નીચે ઉતરી જશે, ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે, આ તેમણે પોતાના પ્રતિદ્વંદીઓને જવાબ આપવા માટે કર્યું છે. થોડા દિવસોમાં હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે તેમનો આ નિર્ણય એક માસ્ટરસ્ટ્રોક તરીકે જોવા મળી રહ્યો છે. બીજી તરફ ભાજપ અરવિંદ કેજરીવાલના આ નિર્ણય પર કટાક્ષ કરી રહી છે.
કેજરીવાલના નેતૃત્વમાં દિલ્હીમાં ફરી સરકાર બનશે : ગોપાલ રાય
દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ રાયે કહ્યું હતું કે ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. સીએમ અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે જ્યાં સુધી જનતા તેમને ફરીથી સમર્થન નહીં આપે અને વિજયી નહીં બનાવે ત્યાં સુધી તેઓ સીએમ નહીં રહે. ત્યાં સુધી પાર્ટી સીએમ પસંદ કરશે અને સરકાર તે સીએમના નેતૃત્વમાં કામ કરશે. દિલ્હીમાં ફરી એકવાર સીએમ કેજરીવાલના નેતૃત્વમાં સરકાર બનશે.
અરવિંદ કેજરીવાલ રાજ્યપાલને રાજીનામું સોંપશે
કેજરીવાલ સાંજે 4.30 કલાકે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને મળશે અને આ દરમિયાન તેઓ રાજીનામું આપે તેવી શક્યતા છે. એક્સાઇઝ પોલિસી કેસમાં તિહાર જેલમાંથી જામીન પર મુક્ત થયા પછી, AAPના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે રવિવારે કહ્યું હતું કે તેઓ 48 કલાકની અંદર રાજીનામું આપશે અને દિલ્હીમાં વહેલી ચૂંટણીની માંગ કરશે. તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી લોકો તેમને ઈમાનદારીનું પ્રમાણપત્ર નહીં આપે ત્યાં સુધી તેઓ મુખ્યમંત્રી પદ પર નહીં બેસે. કેજરીવાલે કહ્યું હતું કે, તેઓ થોડા દિવસોમાં AAP ધારાસભ્યોની બેઠક કરશે અને પાર્ટીમાંથી કોઈ નેતા મુખ્યમંત્રી બનશે. AAP એ સોમવારે ઘણી બેઠકો યોજી હતી. કેજરીવાલે તેમના સત્તાવાર નિવાસસ્થાને રાજકીય બાબતોની સમિતિ (PAC), પક્ષની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થાના સભ્યો સાથે એક પછી એક બેઠકો યોજી અને આગામી મુખ્યમંત્રી અંગે તેમનો અભિપ્રાય માંગ્યો. તેમણે મુખ્યમંત્રી પદ માટે પક્ષની પસંદગી વિશે ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને રાજ્યસભાના સભ્ય રાઘવ ચઢ્ઢા સહિતના વરિષ્ઠ નેતાઓને મળ્યા હતા.
આ પણ વાંચો: Politics: દિલ્હીની ગાદીનો કાંટાળો તાજ કોને ? આ નામોની સૌથી વધુ ચર્ચા