Gujarat ની 25 બેઠકો પર કેમ સહુની નજર...?
Gujarat : આગામી 7મેના રોજ યોજાનારી ગુજરાત (Gujarat) ની 25 લોકસભા બેઠકો પર પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. ગુજરાતની 25 બેઠકો પર પ્રચાર બંધ થઇ ગયો છે ત્યારે ક્ષત્રિય આંદોલનના ઓછાયા હેઠળ યોજાનારી આ ચૂંટણીમાં શું થશે તેની પર દરેકની નજર છે.
ક્ષત્રિય આંદોલનથી ગુજરાતમાં ઉત્તેજના
આમ તો શરુઆતમાં એમ લાગતું હતું કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની લડાઇ એક તરફી છે પણ લોકસભા ચૂંટણીના ફોર્મ પણ ભરાયા ન હતા તે પહેલાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલાનું વિવાદાસ્પદ નિવેદન આવ્યું અને ગુજરાતમાં ક્ષત્રિય સમાજની લાગણી દુભાઇ. ત્યારબાદ શરુ થયું ક્ષત્રિય આંદોલન.. રુપાલાએ માફી માગી, પ્રદેશ અધ્યક્ષે પણ માફી આપવા અપીલ કરી..વિવાદને ઉકેલવા બંને પક્ષે બેઠકો પણ થઇ છતાં ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ રુપાલાને હટાવવા અડગ રહી પણ ભાજપે રુપાલાને હટાવ્યા નહી. ત્યારબાદ પણ ભાજપે છેલ્લી ઘડી સુધી ક્ષત્રિય સમાજને સમાજવવાના પ્રયાસો કર્યા પણ આ લખાય છે ત્યાં સુધી ક્ષત્રિય સમાજ અડગ રહ્યો છે. ગુજરાતભરમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલનો પણ યોજાયા હતા. ભાજપે છેલ્લી ઘડીએ ક્ષત્રિય સમાજને માફી આપવાની પ્રેસ રિલિઝ પણ જાહેર કરી હતી.
પ્રચાર પડઘમ શાંત
હવે જ્યારે પરમ દિવસે એટલે કે 7મેના રોજ મંગળવારે ગુજરાતની 25 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે ત્યારે આજે રવિવારે 5 મેની સાંજે 6 વાગે પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. છેલ્લા 15 દિવસમાં રાજકીય પક્ષોના આગેવાનો, ઉમેદવારો અને કાર્યકરોએ સભા રેલી ગજવી હતી પણ હવે સાંજે 6 વાગ્યા બાદ પ્રચાર કરી શકાશે નહી. ઉમેદવારો માત્ર ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે.
ગુજરાતમાં આ વખતે શું થશે તે વિશે દરેક વ્યક્તિ જાણવા માગે છે
મંગળવારે 7 મેના રોજ ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 બેઠકો સહિત 11 રાજ્યની 92 બેઠકો પર મતદાન યોજાશે. ત્રીજા તબક્કામાં 1320થી વધુ ઉમેદવાર મેદાનમાં છે અને 7મેના રોજ 123 મહિલા ઉમેદવારોનું પણ ભાવિ નક્કી થશે. જો કે ગુજરાતની ચૂંટણી પર દરેકની નજર રહી છે. ગુજરાતમાં આ વખતે શું થશે તે વિશે દરેક વ્યક્તિ જાણવા માગે છે અને દરેક પોતાની રીતે આકલન કરતાં રહે છે. ગુજરાતી મતદારોનું અકળ મૌન રાજકીય પક્ષોને અકળાવી રહ્યું છે. ક્ષત્રિય આંદોલનની અસર થશે કે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કરિશ્મો ફરી એક વાર કામ કરી જશે તેના પર સહુની નજર છે.