IPL 2025 : લખનઉ સામે હાર્યા બાદ હાર્દિક પંડ્યાએ એવું શું કહ્યું કે MI ફેન્સ ખુશ થઇ ગયા?
- મુંબઈ ઈન્ડિયન્સ માટે કભી ખુશી કભી ગમ
- જસપ્રીત બુમરાહની વાપસીની આશા, રોહિત ઈજાગ્રસ્ત
- મુંબઈ માટે ખુશીના સમાચાર વચ્ચે રોહિતની ઈજાએ ચિંતા વધારી
- મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સ માટે મિશ્ર સમાચાર
- મુંબઈના બોલિંગ ફ્રંટ માટે રાહતના સમાચાર: બુમરાહ કરશે કમબેક
Mumbai Indians : IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો માટે ખુશી અને ચિંતા બંનેના સમાચાર સામે આવ્યા છે. શુક્રવારે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામેની મેચ પહેલાં ટોસ દરમિયાન કેપ્ટન હાર્દિક પંડ્યાએ જણાવ્યું કે, સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટૂંક સમયમાં ટીમમાં પરત ફરી શકે છે, જે ટીમની બોલિંગ લાઈનઅપને મજબૂત કરશે. જોકે, આ ખુશીની વચ્ચે રોહિત શર્માની ઈજાએ ચાહકોની ચિંતા વધારી દીધી છે. નેટ પ્રેક્ટિસ દરમિયાન ઘૂંટણમાં ઈજા થતાં રોહિત આ મેચમાંથી બહાર રહ્યો હતો, અને તેની જગ્યાએ અંગદ બાવાને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું હતું. આ સાથે, સૂર્યકુમાર યાદવને મુંબઈ માટે 100મી મેચ રમવા બદલ ખાસ જર્સી આપવામાં આવી.
બુમરાહની વાપસીને લઇને હાર્દિકે શું કહ્યું?
જસપ્રીત બુમરાહની વાપસી અંગે હાર્દિકે કહ્યું, "તે ઝડપથી પાછો ફરશે." બુમરાહ જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન સિડની ટેસ્ટમાં પીઠના નીચેના ભાગમાં ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તે ચેમ્પિયન્સ ટ્રોફી અને IPLની શરૂઆતની 4 મેચોમાંથી બહાર રહ્યો. હાલ તે BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (COE)માં રિહેબિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે અને તાજેતરમાં બેંગલુરુમાં બોલિંગ કરતો જોવા મળ્યો હતો. એક અહેવાલ મુજબ, બુમરાહ ફિટનેસ ટેસ્ટના અંતિમ તબક્કામાં છે, જેમાં તેના બોલિંગ વર્કલોડની સંપૂર્ણ ક્ષમતાએ તપાસ થશે. જો બધું યોગ્ય રહ્યું તો તે 13 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ અથવા 17 એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે કમબેક કરી શકે છે. પરંતુ આગામી 9 એપ્રિલે RCB સામેની મેચમાં તે રમશે નહીં. BCCI અને બુમરાહ બંને ઉતાવળ કરવા નથી માગતા, કારણ કે IPL પછી ઈંગ્લેન્ડમાં 5 ટેસ્ટની શ્રેણી માટે તે મુખ્ય બોલર અને સંભવિત કેપ્ટન તરીકે તૈયાર રહેવા માગે છે.
A nail-biting thriller that goes #LSG's way ✨#MI fall short by 1️⃣2️⃣ runs as Avesh Khan and LSG hold their nerves to secure their 2nd win of the season! #TATAIPL | #LSGvMI | @LucknowIPL pic.twitter.com/4YV2QmtUD0
— IndianPremierLeague (@IPL) April 4, 2025
સંઘર્ષ કરતો રોહિત શર્મા
બીજી તરફ, રોહિત શર્મા આ સિઝનમાં સંઘર્ષમાં જોવા મળ્યો છે. તેણે 3 મેચમાં માત્ર 0, 8 અને 13 રન બનાવ્યા છે, અને હવે ઈજાને કારણે LSG સામેની મેચ ગુમાવી છે. મેચ પૂર્વે હાર્દિકે જણાવ્યું હતું કે, "રોહિતને નેટમાં ઘૂંટણની ઈજા થઈ, જેના કારણે તે આ મેચ રમી શકશે નહીં." મુંબઈએ IPL 2025ની શરૂઆતમાં પહેલી બે મેચ હાર્યા બાદ KKR સામે જીત મેળવી હતી, અને હવે LSG સામેની મેચમાં રોહિતની ગેરહાજરીમાં ટીમ પર દબાણ વધ્યું જે મેદાનમાં સ્પષ્ટપણે જોવા પણ મળ્યું. વળી બીજી તરફ બુમરાહની ગેરહાજરીમાં ટ્રેન્ટ બોલ્ટ અને દીપક ચહર બોલિંગની જવાબદારી સંભાળી રહ્યા છે, જ્યારે યુવા બોલર અશ્વિની કુમારે ડેબ્યૂ મેચમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. બુમરાહની વાપસી ટીમ માટે મોટો ઉત્સાહ લાવશે, પરંતુ રોહિતની ઈજા હાલની પરિસ્થિતિમાં ચિંતાનું કારણ બની છે. એટલે કહી શકાય કે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માટે કભી ખુશી કભી ગમ જેવો માહોલ છે.
આ પણ વાંચો : LSG vs MI : હાર્દિકના આત્મવિશ્વાસે MIને ડૂબાડ્યું,લખનૌનો 12 રને વિજય