સુનિતા વિલિયમ્સને સુરક્ષિત લાવી શક્યું હોત સ્ટારલાઈનર, પણ હવે... જાણો NASA એ શું કહ્યું
- સુનિતા વિલિયમ્સનું મિશન લંબાયું
- ચાલુ વર્ષે નહીં આવી શકે ધરતી પર
- NASA એ કર્યો મોટો ખુલાસો
- સ્ટારલાઇનર સુરક્ષિત રીતે સુનિતાને પણ પાછું લાવી શક્યું હોય : NASA
નાસા (NASA) ના બે અવકાશયાત્રીઓ - સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અને બૂચ વિલ્મોર - હાલમાં અવકાશમાં છે અને તેઓ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં પૃથ્વી પર પરત આવશે. તેઓ ગયા જૂનના પહેલા સપ્તાહમાં અવકાશમાં પહોંચ્યા હતા અને બંનેએ એક અઠવાડિયું અહીં વિતાવવાનું હતું પરંતુ બોઈંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં આવી ગયેલી ખામીના કારણે આ મિશન વધુ લાંબુ થઇ ગયું. બોઈંગ સ્ટારલાઇનર આ અવકાશયાત્રીઓ (Boeing's Starliner Spacecraft) વિના જ પૃથ્વી પર પરત ફર્યું છે. નાસા (NASA) એ સ્પષ્ટ કર્યું છે કે જ્યારે સ્ટારલાઇનર પરત ફર્યું ત્યારે તે સુરક્ષિત રીતે સુનિતા અને વિલ્મોરને પણ પાછા લાવી શક્યું હોત.
સ્ટારલાઇનરના સફળ લેન્ડિંગ પછીનું નિવેદન
બોઈંગ સ્ટારલાઇનર (Boeing Starliner) જ્યારે મેક્સિકો (Mexico) માં ઉતર્યું ત્યારે નાસાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. નાસાના મેનેજર સ્ટીવ સ્ટિચે (NASA manager Steve Stich) જણાવ્યું કે, “જો અમારા અવકાશયાનમાં ક્રૂ હોત તો પણ અમે આ જ પ્રક્રિયાને અનુસરતા. આમાં સ્પેસ સ્ટેશન છોડવું, ડી-ઓર્બિટ બર્ન કરવું અને પછી તે જ રીતે પૃથ્વીમાં પ્રવેશવું શામેલ હશે. આનાથી ક્રૂનું સફળ અને સુરક્ષિત લેન્ડિંગ થયું હોત. સુનીતા અને વિલ્મોર સ્પેસક્રાફ્ટ પર હોત તો પણ બધું સરળતાથી થઈ ગયું હોત.
અવકાશયાત્રીઓના વાપસી મિશન માટેનો નિર્ણય
બોઈંગ સ્ટારલાઇનરનું મિશન શરૂઆતમાં એક અઠવાડિયું રાખવામાં આવ્યું હતું, પરંતુ હિલિયમ લીક અને થ્રસ્ટર સમસ્યાઓને કારણે મિશનમાં વિલંબ થયો. આ કારણે, સુનિતા અને વિલ્મોરની પૃથ્વી પર પરત ફરવાની યોજના સ્થગિત થઈ ગઈ. ઘણાં વિસ્તૃત વિમર્શો બાદ, નાસાએ ક્રૂ વિના જ સ્ટારલાઇનરને પાછા લાવવાનો નિર્ણય કર્યો. નાસાના સ્ટિચે જણાવ્યું કે આ ક્રૂ માટે યોગ્ય નિર્ણય હતો, કારણ કે તે સમયે થ્રસ્ટરની કામગીરી પર પૂરતો વિશ્વાસ નહોતો.
3 નવા અવકાશયાત્રીઓ ISS પહોંચ્યા
ઉલ્લેખનીય છે કે, આજે, સુનિતા વિલિયમ્સ અને અન્ય અવકાશયાત્રીઓને ટેકો આપવા માટે 3 અન્ય અવકાશયાત્રીઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પહોંચ્યા છે. નાસાના અવકાશયાત્રી ડોન પેટિટ અને રશિયન સ્પેસ એજન્સી રોસ્કોસ્મોસના બે અવકાશયાત્રીઓ (એલેક્સી ઓવચિનિ અને ઇવાન વેગનર)ને ગઈકાલે (11 સપ્ટેમ્બર) સોયુઝ MS-26 અવકાશયાનથી ISS પર મોકલવામાં આવ્યા હતા. અવકાશયાત્રીઓ ગઈ કાલે રાત્રે 09:53 વાગ્યે ISS પર ઉપડ્યા અને આજે સવારે 03:28 વાગ્યે ISS પહોંચ્યા હતા.
The Expedition 71 crew welcomed three new crew members aboard the space station today after the hatches opened on the Soyuz spacecraft at 5:58pm ET. More... https://t.co/KCzDBbK96L pic.twitter.com/7SCzZ7W2YR
— International Space Station (@Space_Station) September 11, 2024
આજે ISS પર પહોંચેલા આ ત્રણ અવકાશયાત્રીઓ લગભગ 6 મહિના સુધી ત્યાં રહેશે અને ફેબ્રુઆરી 2025માં પૃથ્વી પર પાછા ફરશે. આ સમય દરમિયાન, તેઓ ISS પર વિવિધ વૈજ્ઞાનિક પરીક્ષણો અને પ્રયોગો કરશે અને ISS પર પહેલાથી જ રહેલા અવકાશયાત્રીઓ સાથે ISS સાધનોના સમારકામ અને જાળવણી માટે કામ કરશે. સ્પેસ એજન્સી નાસા ટૂંક સમયમાં જ તેના ક્રૂ-9 મિશન હેઠળ વધુ બે અવકાશયાત્રીઓને ISS પર મોકલશે.
આ પણ વાંચો: Starliner Landing: સુનિતા વિલિયમ્સ સ્પેસમાં મૂકીને પૃથ્વી પર પરત ફર્યું સ્ટારલાઈનર