VADODARA : વહેલી સવારથી જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
VADODARA : વડોદરા (VADODARA) માં આજે વહેલી સવારથી જ વરસાદે ધમાકેદાર એન્ટ્રી લીધી છે. જેના કારણે લોકોમાં સહેજ ચિંતા વ્યાપી છે. તાજેતરમાં 22, જુલાઇના રોજ અવિરત વરસેલા વરસાદ બાદ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા. જે માંડ ઉતરતા હવે જનજીવન સામાન્ય થઇ રહ્યું છે. તેવામાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી લેતા હવે લોકો વચ્ચે તરહ તરહના સવાલોએ સ્થાન લીધું છે. આજે સવારે 8 વાગ્યાની સ્થિતીએ વિશ્વામિત્રી નદીનું જળસ્તર 15 ફૂટ અને આજવા સરોવરનું જળસ્તર 211.55 ફૂટ છે. બંને જળાશયોની સપાટી સલામત જળસ્તર નીચે ચાલી રહી છે.
રોડની આજુ-બાજુ પાણી ભરાઇ જવાનું શરુ
વડોદરામાં 22, જુલાઇના રોજ અવિરત વરસાદ વરસ્યો હતો. જે બાદ જળાશયોમાં નવા નીર આવતા નીચાણવાળા વિસ્તારો તથા જિલ્લાના અનેર ગામોમાં પાણી ઘૂસ્યા હતા. આ સ્થિતી આશરે ત્રણ દિવલ સુધી રહી હતી. ત્યાર બાદ વિશ્વામિત્રી નદીનું જળસ્તર ધીરે ધીરે ઘટતા અનેક વિસ્તારોમાંથી પાણી ઉતરી ગયા હતા. અને લોકો સામાન્ય જનજીવન તરફ વળ્યા હતા. તેવામાં આજે આગાહી અનુસાર, સવારથી જ વરસાદે ધમાકેદાર એન્ટ્રી લીધી છે. જેના કારણે લોકોમાં થોડીક ચિંતા જોવા મળી રહી છે. પહેલા વરસાદ બાદની પરિસ્થિતીમાંથી લોકો માંડ બહાર આવ્યા ત્યાં તો ફરી એક વખત ધમાકેદાર ઇનીંગની શક્યતાઓ સેવાઇ રહી છે. વરસાદ શરૂ થવાના કારણે રોડની આજુબાજુ પાણી ભરાઇ જવાનું શરુ થયું છે. જો આમને આમ જ વરસાદ ચાલશે તો રોડ પર પણ પાણી ભરાવવાની શક્યતાઓ હાલ તબક્કે નકારી શકાય તેમ નથી.
અવિરત બેટીંગ જારી રાખે તો મુશ્કેલી
પાલિકાની વેબસાઇટમાં સત્તાવાર દર્શાવ્યા પ્રમાણે, આજે સવારે 8 વાગ્યાની સ્થિતીએ વિશ્વામિત્રી નદીનું જળસ્તર 15 ફૂટ અને આજવા સરોવરનું જળસ્તર 211.55 ફૂટ છે. બંને જળાશયોની સપાટી સલામત જળસ્તર નીચે ચાલી રહી છે. જેથી હાલ તબક્કે કોઇ ચિંતાનો વિષય નથી. પરંતુ 22, જુલાઇની જેમ આજે પણ વરસાદ અવિરત બેટીંગ જારી રાખે તો તંત્ર અને લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. હાલ તંત્ર દ્વારા સમગ્ર સ્થિતી પર નજર રાખવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : રજાના દિવસે સાંસદ-ધારાસભ્યોએ અધિકારીઓના ક્લાસ લીધા