VADODARA : વિજ થાંભલાના તારમાંથી કરંટ લાગતા પશુ ફંગોળાયુ
VADODARA : વડોદરા (VADODARA) જિલ્લામાં ચિંતાનજક રીતે વિજ થાંભલામાંથી કરંટ લાગવાથી પશુના મૃત્યુની ઘટનાઓ સામે આવી રહી છે. ચોમાસામાં આ પ્રકારની ઘટનાઓ અટકાવવા તંત્ર પાસે કોઇ નક્કર ઉપાય નહીં હોવાનો લોકોમાં ગણગણાટ છે. તાજેતરમાં જાસપુરા ગામે વિજ થાંભલામાંથી પસાર થતા વાયરને પશુ અડી જતા તે ફંગોળાયું હતું. અને તેને કરંટ લાગ્યો હતો. ત્યાર બાદ સ્થળ પર જ તેનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. આ મામલે પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ઘટનાઓ અટકાવવા વિજ કંપનીનું તંત્ર નિષ્ફળ
વડોદરા જિલ્લામાં વિજ થાંભલાને પશુ અડી જતા કરંટ લાગતા જીવ ગુમાવ્યાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. સમયાંતરે સામે આવતી ઘટનાઓ અટકાવવા વિજ કંપનીનું તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં પણ આવી જ વધુ એક ઘટના વડોદરા ગ્રામ્યના પાદરા પોલીસ મથકમાં જાણવાજોગ નોંધમાં નોંધાઇ છે. ગતરોજ બપોરે પશુપાલક ગાય-ભેંસોને લઇને જાસપુર ગામે દરગાહ તરફ મહીસાગર નદી તરફ જવાના રસ્તે કોતરમાં ચરાવવા માટે લઇ ગયા હતા.
થાંભલાથી પૂર્વ દિશામાં ફંગોળાઇ
દરમિયાન કોતરોમાં આવેલા આરસીસી રોડની પાસે એક સ્ટ્રીટ લાઇટના થાંભલા ના તાર પર લીલા વેલના પાંદળા વરસાદમાં ભીજાયેલા જોવા મળી આવ્યા હતા. આ તારને એક નાની ભેંસ અડી જતા તે થાંભલાથી પૂર્વ દિશામાં ફંગોળાઇ હતી. અને તેને વિજ કરંટ લાગ્યો હતો. જે બાદ તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે પશુપાલક દિનેશભાઇ મહીજીભાઇ પરમારે પાદરા પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે ઉપરોક્ત મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી
જ્યાં સુધી વિજ કંપનીના સત્તાધીશો આ પ્રકારની ઘટનાઓ રોકવા કોઇ નક્કર પગલાં નહી લે ત્યાં સુધી આ રીતે મુંગા પશુઓ જીવ ગુમાવતા રહેશે. આ વાતને લઇને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે.
આ પણ વાંચો -- VADODARA : દુર્ઘટના બાદથી બંધ નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓ-વાલીઓ ચિંતાતુર