VADODARA : દરરોજ નિર્ધાર કરી અમલીકરણ થકી ભારતને સર્વોત્તમ બનાવવાનું છે - બાળકૃષ્ણ શુક્લ
VADODARA : ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ (MLA BALKRISHNA SHUKLA) એ શહેરના રાવપુરા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૭૮મા સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે રાષ્ટ્રધ્વજ લહેરાવીને, ભારત માતાની આન, બાન અને શાન સમા તિરંગાને આદર સલામી આપી હતી. તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને વડોદરાવાસીઓને આઝાદી પર્વની શુભકામનાઓ પાઠવી હતી. સ્વતંત્રતાની લડાઈમાં માઁ ભારતીની મુક્તિ માટે બલિદાન આપનારા સેનાનીઓ અને તે પછી દેશની રક્ષા માટે શહીદ થનારા શૂરવીરોને હાર્દિક અંજલિ આપી હતી.
વિકસિત ભારતનો રોડમેપ તૈયાર
દેશ માટે કંઇક કરી છૂટવાની મક્કમ ભાવના સાથે ભારતને સર્વોત્તમ અને વિશ્વની મહાસત્તા બનાવવા માટે યથોચિત યોગદાન આપવાનું આહવાન કરતા મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ એ જણાવ્યું હતું કે, વિકસિત ભારતનો રોડમેપ તૈયાર છે. આજે દેશ આઝાદીના અમૃતકાળમાં વિકાસની હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે દરરોજ સંકલ્પ લઈને તેને પૂર્ણ કરીને રાષ્ટ્રભક્તિ વ્યકત કરવાની નવી રીતો અપનાવવા હિમાયત કરી હતી. સંકલ્પનો નિર્ધાર કરી તેના અમલીકરણ થકી રાષ્ટ્રસેવામાં યોગદાન આપવાની હાકલ કરીને તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ દેશનો સુવર્ણકાળ ચાલી રહ્યો હોવાનું જણાવ્યું હતું.
સ્વતંત્રતાની લડાઈમાં વડોદરાનું અનેરું યોગદાન
તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘હર ઘર તિરંગા‘ અભિયાનને ઉમળકાભેર વધાવી લઈને ઘેર ઘેર તિરંગો લહેરાવનારા સૌને અભિનંદન આપ્યા હતા. અને વડોદરા સહિત દેશભરમાં નીકળેલી ભવ્ય તિરંગા યાત્રાની વાત કરી હતી. શુક્લએ સ્વતંત્રતાની લડાઈમાં વડોદરાનું અનેરું યોગદાન છે, તેમ કહીને તેમણે મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ, શ્રી મહર્ષિ અરવિંદ, ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકર, દાદાસાહેબ ફાળકે, આચાર્ય વિનોબા ભાવે, રાજા રવિ વર્મા સહિત અનેક મહાન વિભૂતિઓને યાદ કરી હતી. તેમજ આ ક્રાંતિકારીઓ, સ્વતંત્ર સેનાનીઓ અને વિદ્વાનોએ સ્વતંત્રતાના સંગ્રામમાં જોડાવાની સાથે કલા અને સંસ્કૃતિના જતન અને ઉત્થાન માટે કરેલા કાર્યોને વર્ણવ્યા હતા.
સૌ ને પ્રતિજ્ઞાબદ્ધ કર્યા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૪૭ માં વિકસિત ભારતનો સંકલ્પ આપ્યો છે અને આ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકસિત ગુજરાતના રોડમેપ થકી આપણે દેશના વિકાસની આગેવાની કરી રહ્યા છે, ત્યારે વડોદરાને વિકસિત બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવા માટે શુક્લએ સૌ ને પ્રતિજ્ઞાબદ્ધ કર્યા હતા.
સર્વાંગી વિકાસ થાય તે માટે ટીમ વડોદરા કટિબદ્ધ
શુક્લએ વધુમાં ઉમેર્યું હતું કે, આજે વડોદરા ઇલેક્ટ્રોનિક્સ, ઓટો મોબાઈલ, કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે વડોદરા હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે વડોદરાનો સર્વાંગી વિકાસ થાય તે માટે ટીમ વડોદરા કટિબદ્ધ છે. આવનારી પેઢી માટે અતિસુંદર વડોદરાના નિર્માણમાં સહભાગી થવા માટે તેમણે લોકોને હાંકલ કરી હતી.
લોકોના સૂચન આવકાર્ય
મુખ્ય દંડકએ ગૌરવભેર જણાવ્યું હતું કે, આગામી સમયમાં કલાનગરી વડોદરાને યુનેસ્કોનો ક્રિયેટીવ સિટીનો દરજ્જો મળવા જઈ રહ્યો છે, ત્યારે વડોદરા શહેરમાં હેરિટેજ સ્કવેર વિકસાવવાની સાથે હેરિટેજ સિટી તરીકેનું બિરુદ મળે તે માટેના પ્રયત્નોમાં લોકોના સૂચન આવકાર્ય છે. મહારાજાના પ્રયત્નોના કારણે કલાત્મક અને સાંસ્કૃતિક વારસો જળવાઈ રહ્યો છે, ત્યારે આ વારસાને અને વડોદરાની સાચી ઓળખાણ દુનિયા સમક્ષ આવે તે માટે આપણે સૌએ સાથે મળીને વડોદરાનો વિકાસ કરવાનો છે, તેમ શુક્લએ જણાવ્યું હતું.
ગુજરાતનું રાષ્ટ્ર વિકાસમાં અમૂલ્ય યોગદાન
તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ભારતીયોને દિન-પ્રતિદિન ગૌરવ અપાવવા માટે સંકલ્પબદ્ધ છે, ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના મજબૂત નેતૃત્વ હેઠળ ગુજરાત રાષ્ટ્ર વિકાસમાં અમૂલ્ય યોગદાન આપી રહ્યું છે. આજે વિકાસની હરણફાળ ભરતું ગુજરાત તમામ ક્ષેત્રે અગ્રેસર હોવાનું તેમણે ગૌરવભેર જણાવ્યું હતું. ગુજરાત સરકારનું લક્ષ્ય છેવાડાના માનવીનું કલ્યાણ છે, તેમ કહી તેમણે વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સાફલ્યગાથા કહી હતી.
રાષ્ટ્રભાવના વિકસાવવા આહ્વાન કર્યું
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાથે આપણે વિભાજનની વિભીષિકા ના ભૂલવી જોઈએ, તેમ કહી તેમણે સમાજમાં એકતા અને ભાઈચારાની લાગણી થકી રાષ્ટ્રભાવના વિકસાવવા આહ્વાન કર્યું હતું. તેમણે વડોદરાને રાજ્યના સાંસ્કૃતિક પાટનગર તરીકે સંબોધી સંસ્કારી નગરીના અમૂલ્ય સાંસ્કૃતિક ઐતિહાસિક વારસાનો સગર્વ ઉલ્લેખ કર્યો હતો.
વૃક્ષારોપણ કરીને પ્રકૃતિ જતનનો સંદેશ
તેમણે ઉત્તમ કામગીરી માટે વિવિધ સરકારી વિભાગોના કર્મયોગીઓને પ્રમાણપત્ર પ્રદાન કરીને સન્માન્યા હતા. ત્યારબાદ સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરનાર વિદ્યાર્થી કલા જૂથો સાથે મુખ્ય દંડક સહિતના મહાનુભાવોએ ફોટો પડાવ્યા હતા અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. સૌ મહાનુભાવોએ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કરીને પ્રકૃતિ જતનનો સંદેશ આપ્યો હતો.
વાતાવરણને દેશપ્રેમની ભાવનાથી ભરી દીધું
આ પ્રસંગે શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થી કલા જૂથોએ ઊર્જાસભર કરતબો અને દેશભક્તિ પ્રેરક સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરી વાતાવરણને દેશપ્રેમની ભાવનાથી ભરી દીધું હતું. પરેડના નિરીક્ષણમાં મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ સાથે પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને જિલ્લા કલેકટર બીજલ શાહ જોડાયા હતા.
આ પણ વાંચો -- Independence Day 2024 : 'અર્નિંગ વેલ, લિવિંગ વેલ' નાં આધારે વિકાસનું વિઝનરી ડોક્યુમેન્ટ તૈયાર કરાયું : CM