VADODARA : બોલાચાલી બાદ પતિએ પત્નીને તીક્ષ્ણ હથિયાર વડે રહેંસી નાંખી
VADODARA : વડોદરા (VADODARA) ના વાઘોડિયા તાલુકાના હાંસાપુરા ગામમાં મધરાત્રે પતિએ પત્નીના ગળામાં તિક્ષ્ણ હથિયાર વડે ઉપરા-છાપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાની બનેલી ઘટનાએ ચકચાર જાગવી છે. પતિના પર યુવતી સાથે ના પ્રેમ સંબંધોના કારણે અઢીમાસના લગ્ન જીવનનો કરુણ અંત આવ્યો છે. સમગ્ર મામલે મૃતકના પિતાએ જરોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
નવદંપતી વચ્ચે ઝઘડાઓની શરૂઆત થઈ
હાંસાપુરા ગામમાં રહેતા રઘુવીરસિંહ ઉર્ફ રઘુ વિજયસિંહ ચૌહાણ ( ઉં. 23 ) ના લગ્ન અઢી માસ પૂર્વે સાબરકાંઠા જિલ્લાના બાદલજીના મુવાડા ગામની 21 વર્ષીય સ્નેહા સાથે થયા હતા. અઢીમાસના લગ્ન જીવન દરમિયાન સ્નેહાને પતિ રઘુના અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થઈ હતી. જેના કારણે નવદંપતી વચ્ચે ઝઘડાઓની શરૂઆત થઈ હતી.
પ્રેમ સંબંધને ભૂલ્યો ન હતો
અઢીમાસના સંસારિક જીવન દરમિયાન પત્ની સ્નેહાને પતિના અન્ય યુવતી સાથેના પ્રેમ સંબંધની જાણ થયા બાદ પતિ રઘુને પ્રેમ સંબંધ ઉપર પૂર્ણવિરામ મૂકી દેવા માટે જણાવ્યું હતું. પતિએ પણ પત્ની સ્નેહાને અન્ય યુવતી સાથેના પ્રેમ સંબંધ ભૂલી જવા માટે ખાતરી આપી હતી. પરંતુ પ્રેમાંધ પતિ અન્ય યુવતી સાથેના પ્રેમ સંબંધને ભૂલ્યો ન હતો અને અવારનવાર પ્રેમિકા સાથે સંપર્કમાં રહેતો હતો અને મળતો પણ હતો. જેના કારણે સ્નેહાએ આ વાતનો વિરોધ ચાલુ રાખ્યો હતો. જ્યારે જ્યારે સ્નેહા વિરોધ કરે ત્યારે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થતો હતો.
ઢીમ ઢાળી દીધું
તાજેતરમાં મધરાત્રે દંપતિ પ્રેમ પ્રકરણને લઈને ઝઘડો શરૂ થયો હતો. ઝઘડા દરમિયાન પતિ રઘુએ પત્ની સ્નેહાના ગળામાં ધારદાર ચાકૂનો ઘા કરી સ્થળ પર ઢીમ ઢાળી દીધું હતું. લોહીલુહાણ થઈ ગયેલી પત્ની સ્નેહા લોહીના ખાબોચિયામાં તરફડીયા મારતી મોતને ભેટી હતી. દરમિયાન આ બનાવની જાણ થતા પરિજનો દોડી આવ્યા હતા. અને લોહીથી લથપથ સ્નેહાની લાશ જોઈને ચોંકી ઉઠ્યા હતા.
હત્યારાની ધરપકડ
આખરે આ મામલે મૃતકના પિતા દેવુસિંહ શિવસિંહ રાઠોડે જરોદ પોલીસ મથમાં હત્યારા રઘુવીરસિંહ ઉર્ફ રઘુ વિજયસિંહ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે આરોપીને દબોચી લીધો છે. અને આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો -- VADODARA : ડભોઇના 5 કોર્પોરેટરોને ગાંધીનગરનું તેડું, જાણો કારણ