VADODARA : આયુર્વેદના સથવારે ફક્ત 3 મહિનામાં મહિલાએ 17 કિલો વજન ઉતાર્યું
VADODARA : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના સૌથી મોટા રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' થકી મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને આહ્વાન કર્યું છે. રાષ્ટ્રકક્ષાએ આરંભાયેલ મેદસ્વિતા મુક્ત અભિયાન વડોદરા ખાતે આવી પહોંચ્યું છે. (Combating Obesity Through Ayurveda - Vadodara)
દવાની અસર રહેતી ત્યાં સુધી જ પરિણામો મળતા
આજે વાત કરવી છે વડોદરા શહેરના ભૂમિબેન સંજયભાઈ સોનીની. તેમણે પોતાના મેદસ્વિતા અંગેની જંગ સામે આકરી લડત આપી છે. બાળકને જન્મ આપ્યા બાદ તેમનું શરીર એકાએક વધવા લાગ્યું હતું. વધતા શરીરની ચિંતામાં વજન ઉતારવા માટે અવનવી દવાઓ અને પદ્ધતિઓ અપનાવા લાગ્યા. પરંતુ જ્યાં સુધી દવાની અસર રહેતી ત્યાં સુધી જ તેના પરિણામો મળતા. જેવી દવાઓ કે કસરતો બંધ કરતા તરત તેમનું વજન ઉતર્યું હોય તેના કરતા બમણું વધી જતું.
હોસ્પિટલમાં દાખલ પણ કરવા પડ્યા
ચિંતાજનક સ્થિતિતો ત્યારે ઊભી થઈ જ્યારે વજન ૯૭ કિગ્રાએ પહોંચવા સાથે ભૂમિબેનને કોલેસ્ટ્રોલનું અને ઇન્ટર્નલ આલ્કોહોલનું સ્તર ભયજનક રીતે વધી ગયું હતું. વધુમાં ૨ ગ્રેડનું ફેટી લિવરના કારણે ભૂમિબેનને ૨ થી ૩ વાર હોસ્પિટલમાં દાખલ પણ કરવા પડ્યા હતા. ચાલવામાં, દાદરા ચઢવામાં, ઘરકામ કરવામાં રોજિંદી ક્રિયાઓમાં શરીરમાં દુખાવો, અતિશય પરસેવો અને પાચનક્રિયામાં ખૂબ જ સમસ્યાઓ થતી હતી.
દવાઓ અને પરેજીને શિસ્તબદ્ધ અનુસરતા
અનેકો ઉપાયો પછી અંતે શહેરના તરસાલી વિસ્તારના આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે પોતાના આરોગ્ય લગત દુઃખોના સમાધાન માટે ગયા. અહીં વજન ઉતારવા પર જ નહીં પરંતુ વજન વધવાના કારણો જાણીને કારણોને દૂર કરવાને લક્ષ્ય રાખ્યું હતું. ભૂમિબેન આરોગ્ય મંદિરમાં દર અઠવાડિયે તપાસ માટે જતા અને ડૉક્ટરનાં જણાવ્યા મુજબ તમામ ડાયેટ અને નિયમોને વળગી રહ્યા. સ્વાદિષ્ટ ભોજન બનાવવાના અને જમવાના શોખીન એવા ભૂમિબેન ડોક્ટરના જણાવ્યા મુજબ દરેક દવાઓ અને પરેજીને શિસ્તબદ્ધ અનુસરતા હતા.
આરોગ્યને લગતી તમામ સમસ્યાઓનો અંત
સ્વયંશિસ્ત અને સ્વાદેન્દ્રિય પર કાબુ મેળવીને આકરી પરીક્ષામાંથી ભૂમિબેને ફક્ત ત્રણ જ મહિનામાં ૧૭ કિલો જેટલું વજન અને ૭.૫ ઇંચ જેટલી કમર ઘટાડી છે. તેમના શરીરમાં મેદસ્વિતાના કારણે ઊભી થયેલ આરોગ્યને લગતી તમામ સમસ્યાઓનો અંત આવી ગયો છે.
અનેરો આત્મવિશ્વાસ જાગ્યો
હર્ષના આંસુ સાથે ભૂમિબેન જણાવે છે કે, મેદસ્વિતાના કારણે તેમને અપાર દુઃખોનો સામનો કરવો પડ્યો હતો. આજે બોડી માસ ઇન્ડેક્સ પ્રમાણે યથાયોગ્ય વજન થતા અનેરો આત્મવિશ્વાસ જાગ્યો છે. આ યાત્રામાં તેમના પરિવારનો પણ ખુબજ સારો સહયોગ રહ્યો છે. ભૂમિબેન ડાયેટ પ્રમાણે જમતા તે જ જમવાનું તેમના પતિ સંજયભાઈ અને પરિવાર પણ જમતો જેથી તેમના માટે આ સફર ખુબજ સરળ બન્યો છે.
મેદસ્વિતાએ અનેક રોગોનું ઘર છે
વધુમાં ઉમેરતાં ભૂમિબેન જણાવે છે કે, મેદસ્વિતા સામે લડત આપતા આજે તેઓ પાવાગઢ પર્વત પણ ચઢી જાય તો પણ ન થાકે તેવી તંદુરસ્તી મેળવી છે. તેમની મેદસ્વિતા સામેની જંગના અશક્ય માનતા અને સાક્ષી બનેલ લોકો આજે ખુબજ આશ્ચર્ય અનુભવી રહ્યા છે. મેદસ્વિતાએ અનેક રોગોનું ઘર છે. મેદસ્વિતાનો અસ્વીકાર કરી અને પોતાની તંદુરસ્તીને જાળવણી કરવાને વ્યક્તિગત જવાબદારી સમજવી જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આરંભાયેલી આ ઝુંબેશ ભૂમિબેન સોની જેવા અનેક લોકોને આરોગ્યપ્રદ જીવન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
આ પણ વાંચો --- VADODARA : માતૃવત્સલતા અનોખું ઉદાહરણ: કિડની દાનથી બચ્યો દીકરાનો જીવ