VADODARA : ફાફડા-જલેબીના વિક્રેતાઓને ત્યાં તપાસ સવાલોના ઘેરામાં
VADODARA : આવતી કાલે દશેરા (DUSSEHRA - 2024) પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવનાર છે. દશેરા પર્વ નિમિત્તે વડોદરાવાસીઓ (VADODARA) કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી આરોગે છે. પર્વના એક દિવસ પહેલા પાલિકા (VMC) ની ખોરાક શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં ફાફડા અને જલેબી વેચતા વિક્રેતાઓને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે. શંકાસ્પદ લાગે ત્યાંથી નમુના એકત્ર કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જો કે, સુત્રોના જણાવ્યા અનુસાર, આ નમુુનાના પરિણામો દશેરા પર્વ બાદ આવશે. ત્યાં સુધી ઘણું મોડું થઇ ગયું હશે.
પરિણામો દશેરા પર્વ પૂર્ણ થયા બાદ આવશે
વડોદરા પાલિકાની આરોગ્ય શાખા દ્વારા સમયાંતરે વિવિધ ખાદ્ય પદાર્થોનું વેચાણ તથા સંગ્રહ કરનારાઓને ત્યાં તપાસ કરવામાં આવતી હોય છે. આવતી કાલે દશેરા પર્વ આવી રહ્યો છે. તે પછી 15 દિવસ બાદ દિવાળી આવનાર છે. દશેરા પર્વને ધ્યાને રાખીને પાલિકાની ખોરાક શાખા દ્વારા ફાફડા-જલેબીનું વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરી છે. આજે કરવામાં આવેલી તપાસ સવાલો ઉપજાવે તેવી છે. જેનું એક મહત્વનું કારણ એ છે કે, આજે કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત જે નમુના લેવામાં આવશે, તેના પરિણામો દશેરા પર્વ પૂર્ણ થયા બાદ આવશે. ત્યાં સુધીમાં તો લોકો કરોડો રૂપિયાના ફાફડા-જલેબી આરોગી ગયા હશે.
વાનનું પહોંચવું વેપારી-વિક્રેતાઓ માટે પાલિકાની કાર્યવાહીનો આડકતરો સંકેત
અન્ય કારણ એ છે કે, આજે જે જગ્યાઓ પર પાલિકાની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવનાર હતું. ત્યાં પહેલા પાલિકાની ફૂડ સેફ્ટીનું ચેકીંગ કરતી વાન પહોંચી ગઇ હતી. ત્યાર બાદ અધિકારીઓ પહોંચ્યા હતા. અચાનક ફૂડ સેફ્ટી વાનનું પહોંચવું વેપારી-વિક્રેતાઓ માટે પાલિકાની કાર્યવાહીનો આડકતરો સંકેત આપે, તે વાત નકારી શકાય તેમ નથી. જેથી વેપારીઓ એલર્ટ થઇને તેમણે જે કોઇ કામગીરી કરવી હોય તેનો તેમને સમય મળી શકે તેવું ચર્ચાઇ રહ્યું છે. હવે પાલિકાની ટીમ દ્વારા લેવામાં આવેલા નમુનાઓનું ક્યારે પરિણામ આવે છે, પરિણામમાં શું સામે આવે છે, અને તે બાદ કસુરવારો સામે પાલિકા શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો -- VADODARA : યુનાઇટેડ વે ના આયોજકોએ હિસાબ રજુ કરવો પડશે, કચેરીથી ફરમાન