VADODARA : વરસાદી પાણી ભરાયેલા ભોંયરામાં પડતા વૃદ્ધાનું મોત
VADODARA : વડોદરા (VADODARA) શહેર-જિલ્લામાં મેઘ પ્રકોપ જારી છે. શહેર-જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. ત્યારે વડોદરા જિલ્લામાં વરસાદી પાણી ભરાયેલા ભોંયરામાં એક વૃદ્ધાનું પડી જવાથી મોત નિપજ્યું છે. સમગ્ર મામલે મૃતકના પરિચીતે જરોદ પોલીસ મથક (JAROD POLICE STATION) માં અકસ્માતે મોતની નોંધ કરાવી છે. વડોદરા જિલ્લામાં વરસાદ વચ્ચે પાણીમાં ગરકાવ થયાથી મોતની સત્તાવાર આ સંભવિત પહેલી નોંધ છે.
કપરો સમય નજીકમાં દુર થાય તેવી કોઇ શક્યતાઓ દેખાતી નથી
વડોદરા શહેર-જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વડોદરાવાસીઓએ ક્યારે ન જોયા હોય તેવા દ્રશ્યો તેમની નજર સામે જોઇ રહ્યા છે. પોલીસ, ફાયર, એનડીઆરએફ, એસડીઆરએફ ના જવાનો પાણીમાં ફસાયેલા લોકોને મદદ કરીને તેમને ઉગારી રહ્યા છે. હજી પણ કપરો સમય નજીકમાં દુર થાય તેવી કોઇ શક્યતાઓ દેખાતી નથી. તેવામાં વરસાદી પાણી ભરાયેલા ભોંયરામાં પડતા વૃદ્ધાનું મોત થયું હોવાની ઘટના સપાટી પર આવવા પામી છે.
પગથીયા વાળા ભોંયરામાં વરસાદી પાણીમાં ફસાઇ ગયા
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, કાંતાબેન બાબરભાઇ રાઠોડિયા (ઉં. 75) (રહે. રાઠોડિયા વગો, વાઘોડિયા) તાજેતરમાં ઘરમાંથી બહાર નિકળ્યા હતા. તેવામાં વધુ વરસાદ હોવાથી તેઓ જરોદ નવા બજાર મણીધર શોપીંગ સેન્ટરમાં આવેલા ધ્રુવી પ્રિન્ટર્સ તથા ડો. જતીન પી. ભટ્ટના ક્લિનીક વચ્ચે આવેલા પગથીયા વાળા ભોંયરામાં વરસાદી પાણીમાં ફસાઇ ગયા હતા. દરમિયાન તે પાણીમાં તેઓ પડતા તેમનું મૃત્યુ થયું હતું.
જરોદ પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ દર્જ
આ અંગે મૃતકના પરિચીત જીતેન્દ્રભાઇ લક્ષ્મણભાઇ રાઠોડિયા (રહે. રાઠોડિયા વગો, વાઘોડિયા) એ જરોદ પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરાવી છે. જે બાદ આ મામલાની તપાસ હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઇને સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : ભારે વરસાદમાં 108 ને 285 કોલ મળ્યા, મહિલાની એમ્બ્યુલન્સમાં પ્રસુતિ