SURAT : અડાજણમાં રત્નકલાકારે ગળેફાંસો ખાઈ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું
સુરતના અડાજણ વિસ્તારમાં રત્નકલાકારે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધા હોવાની ઘટના સામે આવી છે. હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીના કારણે રત્નકલાકારે આપઘાત કર્યો હોવાનું પરિવારનું કહેવું છે. રત્નકલાકાર પહેલા 30 થી 35,000 પગાર કમાતો હતો પરંતુ મંદીને કારણે છેલ્લા ઘણા મહિનાઓથી 15000 પગાર કરી દેવાયો છે. જેને લઇ આર્થિક સંકળામણમાં આવી આપઘાત કરી લીધો છે. પરિવારમાં પત્ની, ધોરણ 10 માં ભણતી એક પુત્રી અને એક પુત્ર છે. રત્નકલાકારના આપઘાતને પગલે બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
૪૧ વર્ષીય રત્નકલાકારે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા ઠાકોરદ્રાર સોસાયટી વિભાગ-૩ ખાતે આવેલા સતનામા એપાર્ટમેન્ટના ઘર નં.૨૦૩ માં મેહુલ બાબુભાઇ ચૌહાણ (ઉ.વ.૪૧ ) પરિવાર સાથે રહેતા હતા. તેઓ કતારગામના પંડોળ ખાતે આવેલા હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે હીરા ઘસવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મેહુલભાઈના પરિવારમાં પત્ની એક પુત્રી અને એક પુત્ર છે. ત્યારે મેહુલભાઈએ પોતાના પરિવારને જાણ ન થાય તે રીતે ઘરના બેડરૂમમાં જઈ પંખા સાથે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
આર્થિક સંકળામણમાં જીવન ટૂંકાવ્યું
રત્નકલાકાર મેહુલ ચૌહાણે હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીના કારણે આપઘાત કર્યો હોવાનું પરિવારનું માનવું છે. હીરા ઉદ્યોગમાં તેજી હતી ત્યારે મેહુલ દર મહિને 30 થી 35 હજાર રૂપિયા પગાર પાડતો હતો. પરંતુ મંદીને કારણે છેલ્લા ઘણા મહિનાઓથી તેનો 15,000 જેટલો પગાર કરી દેવામાં આવ્યો હતો. અચાનક અડધાથી પણ ઓછો પગાર થઈ જતા મેહુલભાઈ ઘણા જ ચિંતામાં રહેતા હોવાનું પરિવારે જણાવ્યું છે. અને પરિવારની આર્થિક સંકળામણની ચિંતામાં આપઘાત કર્યો છે.
બનાવની જાણ મેહુલભાઈના મોટાભાઈ દિલીપભાઈ ચૌહાણ દ્વારા પોલીસને કરાતા અડાજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મેહુલભાઈના મૃત દેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. બનાવને પગલે પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક રત્નકલાકાર મેહુલ ચૌહાણની પત્ની ગૃહિણી છે. મોટી દીકરી ધોરણ 10 માં અભ્યાસ કરે છે અને આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવાની છે. અને એક નાનો પુત્ર છે. અચાનક આર્થિક સંકળામણમાં મેહુલ ચૌહાણ એ આપઘાત કરી લેતા બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને પરિવાર શોકમાં છે.
અહેવાલ - આનંદ પટણી
આ પણ વાંચો -- GKTS : ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું સ્નેહ મિલન, અલ્પેશ ઠાકોર રહ્યા ઉપસ્થિત