VADODARA : સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો, ઉપરવાસમાંથી પાણીની આવક વધી
VADODARA : રાજ્યની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમ (SARDAR SAROVAR NARMADA DAM) ની સપાટીમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી રહી છે. હાલ નર્મદા ડેમની સપાટી 135.26 મીટર પહોંચી છે. ત્યારે રૂલ લેવલ જાળવવા માટે નર્મદા ડેમના 15 દરવાજા ખોલીને પાણી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. જેને કારણે નર્મદા નદીના કાંઠા વિસ્તારના ભરૂચ (BHARUCH), વડોદરા (VADODARA) તથા નર્મદા (NARMADA) જિલ્લાના ગામોને સાવધ કરવામાં આવ્યા છે.
નર્મદા નદીમાં 3.67 લાખ ક્યુસેક પાણીની જાવક નોંધાઇ
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં જંગી વધારો જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાં વરસાદને પગલે સતત ડેમમાં પાણીની આવત વધી રહી છે. જેના કારણે હાલ જેમની સપાટી 135.26 મીટર નોંધવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ઉપરવાસમાંથી 3.68 લાખ ક્યુસેક પાણીની આવક થઇ છે. તેમાંથી નર્મદા નદીમાં 3.67 લાખ ક્યુસેક પાણીની જાવક નોંધાઇ છે.
નદીકાંઠા વિસ્તારના 42 જેટલા ગામોને એલર્ટ
સુત્રોના જણાવ્યા પ્રમાણે હાલ નર્મદા દેમના 15 ગેટ ખોલવામાં આવ્યા છે. તમામ ગેટ 2.85 મીટર ખોલવામાં આવ્યા છે. જેને કારણે નદીના જળસ્તરમાં સતત વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના નદીકાંઠા વિસ્તારના 42 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. અને સ્થિતીને પહોંચી વળવા માટે સ્થાનિક જિલ્લા પ્રસાશન દ્વારા જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે. સાવચેતીના ભાગરૂપે કાંઠા વિસ્તારમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.
ડેમસાઇટની ખુબસુરતી ખીલી ઉઠી
નર્મદા નદીમાં પાણીની આવક થતા વહેણ બે કાંઠે થયું છે. જેને પગલે ગરૂડેશ્વર પાસે આવેલો વિયર ડેમ ઓવરફ્લો થયો છે. અને ડેમસાઇટની ખુબસુરતી ખીલી ઉઠી છે. આ સિઝનમાં નર્મદા ડેમ તથા આસપાસનું સૌંદર્ય ખીલી ઉઠતા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. અને અદભુદ નજારાનો લ્હાવો માણતા હોય છે.
આ પણ વાંચો -- VADODARA : વરસાદની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, એક તરફ ગરનાળુ બંધ