PANCHMAHAL : ખાનગી મકાનમાં ચાલતી પ્રાથમિક શાળાને તાળું
PANCHMAHAL : કાલોલ (PANCHMAHAL - KALOL) ની પાધરદેવી પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડા ડિસેમેન્ટલ કરી નવીન ઓરડા બનાવવાની ઉગ્ર માંગણી સાથે વાલીઓએ પોતાના બાળકોને શાળાએ અભ્યાસ માટે નહિ મોકલતાં તંત્ર અને શિક્ષણ વિભાગ દોડતા થયા હતા. અઢી વર્ષ થી ગામના એક અગ્રણીએ પોતાનું મકાન વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આપ્યું હતું જેઓએ પોતાના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી મકાન શાળા કાર્ય માટે આપવાની સ્પષ્ટ ના કહી દીધું છે. આ સર્જીત પરિસ્થિતિ વચ્ચે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ વાલીઓને સમજાવટના પ્રયાસો કર્યા હતા પરંતુ ગ્રામજનો અને વાલીઓએ રોષ ભેર નવા ઓરડા બનાવવાના વર્ક ઓર્ડરની માંગણી સાથે પોતાની માંગણી ઉપર અડગ રહ્યા છે.આમ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની તે ટેન્ડર પ્રક્રિયાની ખાતરી અહીં સફળ થઈ શકી નોહતી.ઉલ્લેખનીય છેકે દશ વર્ષથી વારંવારની રજુઆત અને આશ્વાસનથી હવે પાધરદેવીના ગ્રામજનો હવે કોઈપણ અધિકારી કે પદાધિકારીઓ ઉપર વિશ્વાસ કરવા તૈયાર નથી. અને હાલ શાળા ના ઓરડા બનાવવાનું કાર્ય જ્યાર સુધી શરૂ કરવામાં નહિ આવે ત્યાર સુધી બાળકોને શાળામાં નહિ મોકલવાના નિર્ણય પર અડગ રહ્યા છે અને વહેલી તકે શાળાના ઓરડાઓ બનાવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે.
ચૂંટણી બહિષ્કાર ની ચીમકી ઉચ્ચારી હતી
કાલોલ તાલુકાની પાધરદેવી સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 માં પચાસ ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જેઓ માટે અગાઉ સરકારે બે ઓરડા બનાવ્યા હતા જે વર્ષ 2014-15 માં તદ્દન જર્જરિત થઈ ગયા હતા જેથી ડિસમેન્ટલ ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દરમિયાન છેલ્લા અઢી વર્ષ થી આ શાળાના વિદ્યાર્થીઓને બેસવા માટે ગામના એક અગ્રણી એ પોતાનું નવું મકાન આપ્યું હતું જેમાં હાલ શાળા કાર્યરત હતી. બીજી તરફ શાળાના નવીન ઓરડા બનાવવા ની માંગણી સાથે ગ્રામજનોએ લોકસભા ચૂંટણી બહિષ્કાર ની ચીમકી ઉચ્ચારી હતી જેથી ભાજપના સ્થાનિક પદાધિકારીઓ એ દોડી જઇ મકાન માલિકને ભાડું આપવા અંગેની બાંહેધરી લેખિત માં આપી નવા ઓરડા ની કામગીરી શરૂ કરવામાં આવશે એવી હૈયાધારણા આપવામાં આવી હતી. આમ ગ્રામજનોએ અગાઉ તંત્રને કરેલી રજૂઆતો અને પદાધિકારીઓના વચનો બંને માત્ર દિવાસ્વપ્ન સમા બની રહ્યા હતા.
દરવાજા ઉપર સ્પષ્ટ સૂચના લખી દીધી
બીજી તરફ મકાન માલિક ને દીકરીના લગ્ન પ્રસંગને અનુલક્ષી મકાનનું પ્લાસ્ટર સહિત ની કામગીરી માટે તેઓએ ત્રણ દિવસ અગાઉ ગ્રામજનોને પોતાના મકાન માં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સોમવારથી નહિં આપવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે વાલીઓએ પણ સોમવારે એકપણ બાળકને શાળામાં મોકલ્યું નોહતું બીજી તરફ મકાન માલિકે પણ દરવાજા ઉપર સ્પષ્ટ સૂચના લખી દીધી હતી જેથી શિક્ષકોએ તાલુકા પંચાયત કચેરીએ જાણ કરી હતી. દરમિયાન બીટ નિરીક્ષક,ડેપ્યુટી ટીડીઓ સહિત પાધરદેવી ખાતે દોડી ગયા હતા અને વાલીઓને સમજાવવાના અથાગ પ્રયાસો કર્યા હતા પરંતુ વાલીઓ પોતાની માંગણી સાથે અડગ જોવા મળ્યા હતા.
પ્રાથમિક શિક્ષણાધિકારી પરત ફર્યા
દરમિયાન જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલ પણ પાધરદેવી ખાતે પહોંચ્યા હતા જેઓએ પણ વાલીઓને તેઓના બાળકોનું શિક્ષણ કાર્ય બગડે નહીં એ માટે ગ્રામ પંચાયત કે દૂધ મંડળીના મકાનમાં વિદ્યાર્થીઓને બેસાડવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવા જણાવ્યું હતું પરંતુ વાલીઓ પોતાની નવીન ઓરડા બનાવવાની માંગણી સાથે અડગ રહી વર્ક ઓર્ડરની માંગણી કરી હતી જેથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પણ પરત ફર્યા હતા. સાથેજ અઢી વર્ષથી કોઈ પણ પ્રકારનું ભાડું લીધા વગર મકાન માલિકે આજે શાળા બંધ કરી દેતા શિક્ષકો અને વાલીઓની કફોડી હાલત જોવા મળી હતી. મકાન માલિક ના દીકરી નું લગન નજીક આવી જતા મકાન નું કામ શરૂ કરી દેવામાં આવ્યો છે જેને લઈ મકાન માલિકે આજથી મકાન આ શુરું કરવામાં આવેલ શાળા બંધ કરી દેવામાં આવી છે. બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે વહેલી તકે શાળાના નવીન ઓરડાઓ નું કાર્ય શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
રી ટેન્ડરીંગ પ્રક્રિયા કરવામાં આવી
પાધરદેવી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય બગડે નહિં એ માટે વૈકલ્પિક વ્યવસ્થા માટે વાલીઓને સમજાવવા આવ્યા છે.ગામમાં આવેલી દૂધ મંડળી અથવા ગ્રામ પંચાયત કચેરીમાં વિદ્યાર્થીઓને શાળાના નવીન ઓરડા બને ત્યાં સુધી અભ્યાસ માટે બેસવા જણાવ્યું છે.શાળાના નવીન ઓરડા માટે ટેન્ડરીંગ પ્રક્રિયા અગાઉ થઈ હતી દરમિયાન કોઈએ ટેન્ડર નહિં ભરતા હાલ ફરી રી ટેન્ડરીંગ પ્રક્રિયા કરવામાં આવી છે જેની મંજૂરી આવ્યા પછી શાળાના નવીન ઓરડા બાંધકામ શરૂ કરવામાં આવશે એમ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલે જણાવ્યું હતું.
અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ
આ પણ વાંચો -- VADODARA : શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળશે, જાણો કયો એજન્ડા મુકાશે