KUTCH : ભૂલથી સરહદ ઓળંગી પાકિસ્તાન પહોંચી ગયેલા વૃદ્ધ 2018 થી પરત ન ફરતા પરિવારજનો ચિંતિત
ભુજ તાલુકાના અંતરિયાળ એવા જુણા ગ્રામ પંચાયતના કાસમવાઢના 82 વર્ષીય વૃદ્ધ વર્ષ 2018માં પશુઓને ચરાવતા સમયે ભૂલથી કચ્છની સરહદ ઓળંગી પાકિસ્તાનની ( PAKISTAN ) સરહદમાં પહોંચી ગયા હતા.લતીફ કાસમ સમા નામના માલધારી ઘરે પરત ન આવતા કુટુંબીજનો દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી, અનેક સ્થળે તપાસ કરવા છતાં સ્વજનની ભાળ મળી ના હતી. આખરે પરિજનોએ નાસી પાસ થઈને ખાવડા પોલીસ સ્ટેશનને ગુમશુદા નોંધ લખાવી હતી. જિલ્લા મથક ભુજ તાલુકાના દુર્ગમ એવા જુણા ગ્રામ પંચાયતના અંતરિયાળ કાસમગઢના વૃદ્ધ માલધારી ઘેરથી નીકળી ગયા હોવાની ઘટનાને આજે 6 વર્ષથી પણ વધુનો સમય વીતી ગયો છે, જોકે તેમનો પરિવાર સ્વજનને મળવાની રાહ જોઇને બેઠો છે.
પાકિસ્તાન ( PAKISTAN ) ગયેલા વ્યક્તિએ સમાચાર આપ્યા કે લતીફ સમાં તો પાકિસ્તાનની જેલમાં બંધ છે
આ અંગે માલધારીના પરિવાર અને ગામના અગ્રણીઓ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ 2018 માં લતીફ સમાં ગુમ થતા પરિવારના સભ્યો હાથ જોડીને બેસી ગયા હતા. એ સમયે આ વિસ્તારમાંથી વિઝા ઉપર પાકિસ્તાન ( PAKISTAN ) ગયેલા એક વ્યક્તિએ સમાચાર આપ્યા કે લતીફ સમાં તો પાકિસ્તાનની જેલમાં બંધ છે.આ સમાચાર મળતા જ કુટુંબીજનોમાં વડીલ જીવતા હોવાની ખબરથી ખુશીની લહેર પ્રસરી ગઈ હતી.આ વિસ્તારના અગ્રણી અને સામાજિક કાર્યકર ફજલા અલીમામદ સમાને કુટુંબીજનોએ જાણ કરી કે આ પ્રકારે વૃદ્ધ મળી રહ્યા નથી, પરંતુ તેમના વિશે સમાચાર મળ્યા છે કે તેઓ પાકિસ્તાનની જેલમાં બંધ છે.
ભારત સરકાર સાથે વાટાઘાટો કરી હતી, એ સમયે ભારત સરકાર દ્વારા પણ આ વ્યક્તિ ત્યાં પકડાયો હોવાના સમાચાર આપ્યા હતા. જેની પુષ્ટિ કરવા માટે સ્થાનિક તંત્ર દ્વારા આ વિસ્તારના એમના સ્થાનિક પરિવારજનો સાથે નાગરિકતા પુરવાર કરવાના આધાર પુરાવા લીધા હતા.
આ દરમિયાન પાકિસ્તાન ( PAKISTAN ) જેલમાં કેદ માલધારીના આધાર પુરાવા ભારત સ્થિત પાકિસ્તાન એમ્બેસીને પહોંચતા કરાવી ભારત સરકાર દ્વારા પાકિસ્તાન સુધી પહોંચતા કરાવ્યા હતા. પરંતુ માલધારી ત્યાંથી પરત આવી શક્યા નહીં. એ વચ્ચે એવા પણ સમાચાર મળ્યા કે તેઓને ગેરકાયદેસર બોર્ડર ક્રોસ કરવાના ગુનામાં જે સજા થઈ હતી તે સજા પણ પૂર્ણ થઈ ગઈ છે. એ સજાને પૂર્ણ થયે પણ ચાર વર્ષનો સમય વીતી ગયો છે. આ અંગે સ્થાનિક વહીવટી તંત્ર અને ભારત સરકાર દ્વારા ચાર વખત પાકિસ્તાનને રિમાઇન્ડર પત્ર પણ પાઠવવામાં આવ્યા છે, તેમ છતાં માલધારી લતીફ સમાં પરત આવી શક્યા નથી. જોકે કુટંબીજનો આશ રાખીને બેઠા છે કે 82 વર્ષે તેમના સ્વજનને ભારત સરકાર પરત લાવશે. વૃદ્ધના 3 થી 4 બાળકો તેમજ પૌત્ર પૌત્રીઓ બુઝુર્ગ વડીલની રાહ જોઈ રહ્યા છે. વયોવૃદ્ધ સ્વજન તેમના આખરી વર્ષો પરિવાર સાથે ગાળે એવી તેમની આશા છે.
અહેવાલ - કૌશિક છાયા
આ પણ વાંચો : BHIKHAJI THAKOR : કોંગ્રેસમાં જોડાવવા અંગેની અટકળોનો આવ્યો અંત, ભીખાજી ઠાકોરે કર્યો આ ખુલાસો