Gujarat Assembly House : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો અયોધ્યા ખાતેના રામ મંદિર નિર્માણ અંગેનો સંકલ્પ
અયોધ્યા ખાતે નિર્માણ પામેલ રામ મંદિર (Ram Temple) અંગે ગુજરાત વિધાનસભા ગૃહ (Gujarat Assembly House) માં આજે મહત્વની ચર્ચા થઇ હતી. જેમા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (State Chief Minister Bhupendra Patel) દ્વારા વિધાનસભા ગૃહમાં રામ મંદિર નિર્માણ અંગેનો સંકલ્પ રજૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આજે એક ઐતિહાસિક ઠરાવ લઈને આવતા મને આનંદ અને ગૌરવની લાગણી થાય છે. આપણે જાણીએ છીએ કે 500 થી વધુ વર્ષોથી પ્રતીક્ષા કરનાર ભક્તિમય હિન્દુ સમાજ એક દીર્ઘ દ્રષ્ટા વડાપ્રધાનને કારણે રામલલ્લાને અયોધ્યામાં ભવ્ય મંદિરમાં પ્રતિષ્ઠિત કરી શક્યા છીએ. ગુજરાતની પ્રજા એક ક્ષણે ભાવવિભોર બની ગઈ હતી જ્યારે 22 મી એ અભિજીત મુહૂર્તમાં ગુજરાતના જ સુપુત્ર અને આ સભાગૃહના સન્માનનીય ભૂતપૂર્વ નેતા નરેન્દ્રભાઈ મોદીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. આ ગુજરાતની પ્રજા માટે એક ગૌરવ અને સન્માન વધારનારી ક્ષણ હતી.
વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ઇતિહાસનું એક પાનું ઉથલાવીએ તો ખ્યાલ આવે છે કે એ જ નરેન્દ્રભાઈએ સોમનાથથી અયોધ્યાની રામ જન્મભૂમિની ઐતિહાસિક રથયાત્રાનું સારથીપણું પણ કર્યું હતું. સદીઓ આ સમયની સાક્ષી છે. ભારતમાં સુશાસન એટલે રામે પ્રસ્થાપિત કરેલી પ્રણાલિકાઓ છે. અયોધ્યા નગરીએ સર્વજનહિતાય અને સર્વજનસુખાય ચાલતી રાજ્યવ્યવસ્થાને ભગવાન શ્રીરામે સુચારુરૂપે એક આદર્શ પ્રશાસન તરીકે પ્રસ્થાપિત કરીને જગત સમક્ષ એક ઉદાહરણ પુરું પાડેલું હતું. પરંતુ આક્રાંન્તાઓએ અને વિદેશી શાસને આપણી આ પ્રજાહિતનું રક્ષણ અને સંવર્ધન કરતી સંસ્કૃતિ અને પરંપરાઓનો ધ્વંસ કર્યો. સદીઓથી લાખો સંસ્કૃતિ ભક્તોએ બલિદાનો આપ્યા. પરિણામે આપણે બંધારણીય માર્ગે અયોધ્યામાં રામમંદિરનું પુનર્નિમાણ કરી શક્યા. આ એક સુદીર્ઘ ચાલેલા જનજાગૃતિના મહાઅભિયાનનું પરિણામ છે. આ સમગ્ર કાળખંડમાં ત્યાગ અને બલિદાનની પરંપરા રચનારા સૌ રામભક્તોનું આજે આદરપૂર્વક સ્મરણ કરવું છે.
ગુજરાતના મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, માનનીય નરેન્દ્રભાઈ આ દેશના 140 કરોડ ભારતવાસીઓના શ્રદ્ધાકેન્દ્ર એવા રામલલ્લાના પરમ ભક્ત છે, ભારતની શાશ્વત અને શ્રેષ્ઠ ભારતીય સંસ્કૃતિના નરેન્દ્રભાઈ એક મનીષી કહી શકાય એવા પ્રતિનિધિ છે. જ્યારે અયોધ્યા તીર્થધામમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે આવશ્યક એવી તપશ્ચર્યા કરવાની હતી અને વ્રત રાખવાનું હતું, તે પણ માનનીય નરેન્દ્રભાઈ મોદીએ એક તપસ્વી ઋષિની જેમ ત્રણ દિવસને બદલે 11 દિવસ તપશ્ચર્યા કરી. તેમની આ સંસ્કૃતિભક્તિ અને ભક્તિપરાયણતાથી ભારતના કરોડો લોકો શ્રધ્ધા અને ભક્તિથી ગૌરવ અનુભવે છે. તેમણે કહ્યું કે, પ્રજાના પ્રતિનિધિઓ તરીકે આપણે જાણીએ છીએ કે પ્રજાના પાલક એવા રાજાધિરાજ રામની આ પૂજા- અર્ચના કરીને માનનીય મોદીસાહેબે ગુજરાતની પ્રજાને ગૌરવ અપાવ્યું છે, આજે હર્ષ અને ગૌરવની લાગણી અભિવ્યક્ત કરાવાની આ ઘડી છે.
CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાતની આ વિધાનસભા આદરણીય નરેન્દ્રભાઈ મોદીને આ સહસ્રાબ્દીઓ સુધી યાદ રહે તેવું ઐતિહાસિક સાંસ્કૃતિક દાયિત્વ નિભાવવા બદલ અભિનંદન પાઠવે છે. માનનીય નરેન્દ્રભાઈ માટે ગૌરવ અનુભવતું આપણું આ સભાગૃહ નરેન્દ્રભાઈના કઠોર વ્રત, ભક્તિ અને શ્રદ્ધા દ્વારા સમગ્ર દેશના લોકોને આનંદ અને ગૌરવ બક્ષવા બદલ ધન્યવાદ પાઠવે છે. ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આ સભાગૃહના સન્માનનીય નેતા હતા તેનું પૂરી વિનમ્રતાથી સ્મરણ કરી આ ઠરાવ મૂકું છું.
આ પણ વાંચો - Junagadh : મૌલાના સલમાન અઝહરીના ભડકાઉ ભાષણ અંગે સંતો, મહંતો અને નેતાઓની પ્રતિક્રિયા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ