DABHOI: લોક અદાલત અને કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ
અહેવાલ - પીન્ટુ પટેલ, ડભોઇ
ડભોઇની કોર્ટ ખાતે જિલ્લા અને તાલુકા કાનૂની સેવા સત્તા મંડળનાં ઉપક્રમે સિનિયર સિવિલ જજ નિતાબેન ચોક્સીની ઉપસ્થિતિમાં લોક અદાલત અને કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
લોક અદાલતમાં 70% કેસોના નિકાલ કરાયા
જેમાં ભ્રષ્ટાચાર નાબૂદી દિન નિમિત્તે ભ્રષ્ટાચાર વિરોધી પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. ત્યારે વકીલ અગ્રણીએ કહ્યું,“ભ્રષ્ટાચાર નાબૂદી દિન નિમિત્તે વકીલો અને પક્ષકારોએ ભ્રષ્ટાચાર વિરોધી પ્રતિજ્ઞા લીધી છે અને લોક અદાલતમાં 70% કેસોના નિકાલ કરાયા છે. આ કાર્યક્રમમાં ડભોઈ બાર એસોસિએશનના સભ્યો સહીત અનેક વકીલો હાજર રહ્યા હતાં.
આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ
આજના આ દિવસને આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ તરીકે સમગ્ર વિશ્વ ઉજવી રહ્યો છે. ભ્રષ્ટાચારએ તમામ બૂરાઇઓની જડ છે, આ દાનવને ખતમ કર્યા વગર કોઇપણ વિકાસ યોજના પાર પાડી શકાય નહીં અને ગમે તેવા જટિલ પ્રશ્ર્નોનો ઉકેલ ના આવી શકે. આ એક એવો રોગ છે, જે કોઈ રાષ્ટ્રએ વિકાસની ઉપલી હરોળમાં આવવું હશે, તો તે દેશોએ આ મહારોગને નાથવો જ પડશે. આપણાં દેશમાં તેના મૂળિયા ઉંડે સુધી વ્યાપેલા છે.
આ સમસ્યા અત્ર-તત્ર, સર્વત્ર પ્રસરી ગઇ છે
આજે આટલા વર્ષે પણ આપણે ઉચ્ચત્તમ વિકાસ સાધી શક્યા નથી. જેનું મૂળ કારણ પણ ભષ્ટ્રાચાર છે. બંને પક્ષોની મિલીભગતથી ચાલતું આ કૃત્ય એક અસામાજીક પ્રવૃતિ છે. આપનાર અને લેનાર બન્ને ગુન્હેગાર ગણાય છે. દુનિયાના કોઇપણ રાષ્ટ્રમાં આ સમસ્યા અત્ર-તત્ર, સર્વત્ર પ્રસરી ગઇ છે.
ભ્રષ્ટાચારની પ્રતિજ્ઞા લેવાથી ભ્રષ્ટાચાર નાબૂદ થતો નથી
આપણાં દેશમાં એકપણ ક્ષેત્ર એવું નથી કે તેને ભ્રષ્ટાચારની અસર ન થઇ હોય. રમત, શિક્ષણ, સંરક્ષણ કે પછી રાજકીય ક્ષેત્ર તમામ ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર જોવા મળે છે. માત્ર આ દિવસે ભ્રષ્ટાચારની પ્રતિજ્ઞા લેવાથી ભ્રષ્ટાચાર નાબૂદ થતો નથી.
લોકોને જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવ્યો
કેટલાક ક્ષેત્રો પણ એવા છે કે જે ભ્રષ્ટાચાર ખુદ પોતે જ ઉત્પન્ન કરતા હોય છે. કેટલીકવાર પોતાના સ્વાર્થ માટે પણ ભ્રષ્ટાચાર ઊભો થતો હોય છે. આજે સિવિલ કોર્ટ ખાતે વકીલ મંડળનાં પ્રતિનિધિઓએ પણ ભ્રષ્ટાચાર વિરોધી પ્રતિજ્ઞા લઈ લોકોને જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - Panchmahal: શિક્ષકો દ્વારા મહાપંચાયતનું આયોજન કરાયું