Warli Painting : બજેટની બેગ પર 'વારલી પેઇન્ટિંગ', જાણો પરંપરાગત અને હજારો વર્ષ જૂની ચિત્રકળા વિશે
આજે ગુજરાત વિધાનસભામાં વર્ષ 2024-25 નું બજેટ (Gujarat Budget 2024-25) રજૂ કરવામાં આવી રહ્યું છે. નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા આ બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. બજેટ રજૂ કરવા માટે આજે સવારે નાણામંત્રી ખાસ વારલી પેઇન્ટિંગવાળી (Warli Painting) બેગ લઈને વિધાનસભા પહોંચ્યા હતા. જણાવી દઈએ કે, આ વારલી પેઇન્ટિંગ આદિવાસી વારલી સમાજનું પ્રતિક છે. બજેટ પહેલા નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે, આ બજેટમાં દરેક વર્ગને સમાવી લેવાયા છે.
વિધાનસભામાં બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રી ( Kanu Desai) આદિવાસી વારલી સમાજનું પ્રતિક ગણાતી એવી વારલી પેઇન્ટિંગવાળી (Warli Painting) બેગ લઈને ગૃહ પહોંચ્યા હતા. વારલી પેઇન્ટિંગ વિશે વાત કરીએ તો વારલી એક આદીવાસી જાતિ છે. વારલી ચિત્રકળા એ વારલી આદીવાસીઓની વિશેષતા છે. આ લોકો પોતાની ખાસ માન્યતાઓ, રીત-રિવાજ, જીવનપ્રથા અને પરંપરાઓ ધરાવે છે.
સૌજન્ય : Google
કેટલાક પુસ્તકો અને વિદ્વાનોના જણાવ્યા મુજબ, વારલી પ્રજા ડુંગરાળ અને જંગલ વિસ્તારમાં વસવાટ છે. તેમનું મુખ્યકામ ખેતી છે. વારલી ચિત્રકળા દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી અને મહારાષ્ટ્રના થાણે (Thane) જિલ્લામાં રહેતા વારલી સમાજના લોકોની પરંપરાગત અને લોક ચિત્રકળા છે. દેશ-વિદેશમાં પ્રચલિત બનેલી આ કળા આદીકાળથી ચાલતી આવી છે. અગાઉના સમયમાં છાણ-ગારોના લીંપેલથી બનેલા ઝૂંપડા અને નવા ઘર બનાવતી વખતે સુશોભન માટે ઘરની મુખ્ય ભીંત પર ચોખાના લોટ અને ગુંદરથી બનાવવામાં આવેલ સફેદ રંગથી ચિત્રો દોરવામાં આવતા હતા, જેને 'વારલી ચિત્ર' કહેવાય છે.
હજારો વર્ષ જૂની છે વારલી ચિત્રકળા
વારલી ચિત્રકળા પ્રાચીનકાળથી આવતી અને હજારો વર્ષ જૂની કળા છે. વારલી ચિત્રોકલામાં કેન્દ્ર સ્થાને દેવી 'પાનઘટ' અને આજુબાજુ ગૌણ માનવની આકૃતિઓ દોરવામાં આવે છે. આ ચિત્રકળામાં ચોરસ, ત્રિકોણ અને વર્તુળ જેવા પાયાના આકારનો ઉપયોગ કરવામાં આવે છે અને સૂર્ય, ચંદ્ર, નદી, પર્વત, વૃક્ષ, પક્ષીઓ, પ્રાણીઓની આકૃતિ બનાવવામાં આવે છે. આ સિવાય, લગ્નપ્રસંગ, નૃત્ય, ખેતીકામ, ધાર્મિક પૂજા જેવા પ્રસંગોનું નિરુપણ કરતા ચિત્રો પણ કોતરવામાં આવે છે. ઉપરાંત, વારલી ચિત્રકળામાં વારલી સમાજની અનેક પદ્ધતિ અને લોક કથાઓ, પરંપરા, રીત-રિવાજની ઝલકી પણ જોવા મળે છે. જો કે, હાલના આધુનિક સમયમાં આ કળા ધીમે ધીમે લુપ્ત થતી હોય તેમ જાણવા મળે છે.
આ પણ વાંચો - Gujarat Budget : અયોધ્યામાં ‘રામ દર્શન’ બનશે સરળ, આટલા કરોડના ખર્ચે બનશે ગુજરાતી ભવન, જાણો વિગત