રૂપાલાને સૌથી મોટી રાહત! ક્ષત્રિય સમાજના આગેવાનો અને સંતોએ આપી માફી
અમદાવાદ : ગુજરાતનાં રાજકારણમાં એક તરફી માહોલમાં અચાનક વમળો પેદા કરી દેનાર પરષોત્તમ રૂપાલા ઘટના પર હવે ગણત્રીના કલાકોમાં પડદો પડી જાય તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. રાજપુત સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે સમાધાનની સંપુર્ણ ફોર્મ્યુલા તૈયાર થઇ ચુકી હોવાનું સુત્રો ગણગણી રહ્યા છે. પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રીય સમાજ અને તેની મહિલાઓ અંગે એક દલિત સમાજના કાર્યક્રમમાં કરેલી ટિપ્પણી બાદ સમગ્ર મામલો વિવાદિત બન્યો હતો. તમામ બેઠકો પર એક તરફી જીતના હાશકારા સાથે આગળ વધી રહેલી ભાજપ માટે અચાનક કપરા ચડાણ આ ટિપ્પણી સાબિત થઇ હતી. સમગ્ર મામલે રાજપુત સમાજે સમગ્ર રાજ્યમાં ઉગ્ર દેખાવો કર્યા હતા. હાલમાં પણ રાજપુત સમાજ માત્ર એક જ માંગ સાથે દેખાવો કરી રહ્યું છે કે કોઇ પણ સ્થિતિમાં રુપાલાની ટિકિટ ભાજપ દ્વારા રદ્દ કરવામાં આવે. ભાજપ દ્વારા સમાધાન માટે લાંબા સમયથી હવાતિયા છતા પણ કોઇ પણ રીતે આશાનું કિરણ દેખાતું નહોતું ત્યારે હવે એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.
ટુંક જ સમયમાં ઔપચારિક જાહેરાત થાય તેવી શક્યતા
પરષોત્તમ રુપાલાના બચાવમાં હવે સમગ્ર ગુજરાતનો ખાસ કરીને રાજપુતો જેને માને છે તેવા સંતો મેદાને આવ્યા છે. રૂપાલા સાથે પાળીયાદ ધામના ગાદિપતિ ઉપરાંત પુજ્ય નિર્મળા બાએ પણ રૂપાલા સાથે બેઠક કરી છે. પાળિયાદ ધામના ભયલુ બાપુ, શક્તિધામના દેવળઆઇએ પણ રૂપાલા સાથે મુલાકાત કરી હતી. જેમાં સૌથી આંખે ઉડીને વળગે તેવી બાબત હતી કે, આ બેઠકમાં પહેલીવાર રૂપાલા અને ક્ષત્રીય સમાજના આગેવાનો તટસ્થ મધ્યસ્થીઓ સાથે સામસામે બેઠા હતા. આ બેઠક બાદ ટુંક જ સમયમાં સુખદ સમાચાર સામે આવે તેવી શક્યતા છે. રાજપુત આગેવાનો અને રૂપાલા વચ્ચે સુખદ સમાધાન થાય અને રાજપુતો પોતાનું આંદોલન પરત ખેંચે તેવી પણ શક્યતા સેવાઇ રહી છે. જો તમામ બાબતો સકારાત્મક રહે તો એક કાર્યક્રમમાં સમાધાન અને માફીનો કાર્યક્રમ થાય તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.
રાજપુત સમાજ જેને ઇન્કાર ન કરી શકે તેવા આગેવાનો અને સંતો હાજર
રાજપુત સમાજ તરફથી આ બેઠકમાં રામકુભાઇ ખાચર, જસકુભાઇ ડાંગર, કિશોર ધાંધળ, ભરતસિંહ ડોડિયા, ધર્મેન્દ્ર ભગત, કિશોર પોકિયા અને જીતુભાઇ સહિતના રાજપુત સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં રૂપાલાએ સંતોની સાક્ષીએ સમગ્ર રાજપુત સમાજની માફી માંગી હતી. રૂપાલાએ મન, વચન કર્મથી તેઓનો ઇરાદો રાજપુતો, રાજપુતોના ગૌરવાન્વિત ઇતિહાસ કે બેન દિકરીઓને દુભવવાનો નહોતો. આ પરિસ્થિતિ વશ તેઓથી બોલાઇ ગયું હોવાનો તેમણે સ્વિકાર કર્યો હતો. ઉપરાંત આ બોલ્યાનું તેમને ભારોભાર દુખ અને ખેદ હોવાનો પણ તેમણે સ્વિકાર કર્યો હતો. પોતાના જીવનમાં કેટલાક નોંધપાત્ર રાજપુતોને પણ તેઓએ યાદ કર્યા હતા. પોતે સાહિત્યના રસિક હોવાથી જોગીદાસ ખુમાણ અને રામવાળા સહિતના અનેક ક્ષત્રીયોની તેમના જીવનમાં ઉંડી છાપ હોવાનો પણ તેમણે એકરાર કર્યો હતો. ક્ષત્રીયો વિશે તેઓ કદી આવું વિચારી પણ ન શકે પરંતુ પરિસ્થિતિવશ તેમનાથી બોલાઇ ગયું હોવાનું અને તેમને તેનો ખુબ જ રંજ હોવાનો સ્વિકાર કરવાની સાથે હૃદય પુર્વક માફી માંગી હતી. જેના પગલે 22 માર્ચથી ચાલુ થયેલા વિવાદ પર હવે ગણત્રીના કલાકોમાં પડદો પડીજાય તેવી શક્યતા સુત્રો વ્યક્ત કરી રહ્યા છે.