Gujarat Budget : વજુભાઈએ કહ્યું- 'આખે આખી કોંગ્રેસ પૂરી થઈ જવાની છે...', ચૈતર વસાવાએ કહી આ વાત
આજે ગુજરાત વિધાનસભામાં વર્ષ 2024-25 માટેનું બજેટ (Gujarat Budget) રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટને લઈને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, આખે આખી કોંગ્રેસ પૂરી થઈ જવાની છે. ત્યારે બીજી તરફ જેલમાંથી બહાર આવ્યા બાદ આમ આદમી પાર્ટીના (AAP) નેતા ચૈતર વસાવાએ (Chaitar Vasava) રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, બજેટમાં કંઇક ખૂટતું હશે તો અમે રજૂઆત કરીશું.
કોંગ્રેસ સાફ થઈ જવાની છે : વજુભાઈ વાળા
આજે ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2024-25 માટે અંદાજપત્ર રજૂ કર્યું છે. જો કે, વિધાનસભામાં બજેટ રજૂ થતા પહેલા વિપક્ષી પાર્ટી કોંગ્રેસના નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતાઓ ગેસ સિલિન્ડરના ભાવ, મોંઘવારી, બેરોજગારી સહિતના પોસ્ટરો પહેરીને વિધાનસભા બહાર વિરોધ દાખવ્યો હતો. કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શન પર કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ (Vajubhai Vala) આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, વિરોધ પક્ષનું કામ જ છે વિરોધ કરવાનું. તેમણે કહ્યું કે, આખે આખી કોંગ્રેસ પૂરી થઈ જવાની છે. ગુજરાતમાં વિરોધપક્ષ જેવું છે જ નહીં, કોંગ્રેસ સાફ થઈ જવાની છે.
કયા વર્ગનું કેટલું બજેટ રજૂ થશે તેનું ધ્યાન રાખીશું : ચૈતર વસાવા
વજુભાઈ વાળાએ આગળ કહ્યું કે, લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ સાફ થઈ જશે. આજે ગણ્યા ગાંઠ્યા રાજ્યોમાં જ કોંગ્રેસની સરકાર છે. જો કે, એક સમયે દેશના કેટલા બધા રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી, જ્યારે આજે શું પરિસ્થિતિ. બીજી તરફ જેલમાંથી છૂટ્યા બાદ આમ આદમી પાર્ટીના (AAP) નેતા ચૈતર વસાવાએ બજેટને (Gujarat Budget) લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, કયા વર્ગનું કેટલું બજેટ રજૂ થશે તેનું ધ્યાન રાખીશું. અમુક વર્ગને વધારે બજેટની જરૂર હોય છે. તેમણે કહ્યું કે, ગયા વર્ષમાં આદિવાસી સમાજ માટે અલગ બજેટ હતું. પરંતુ, તેની સામે આદિવાસી લોકોનો વિકાસ થયો નથી. ચૈતર વસાવાએ કહ્યું કે, બજેટમાં કંઇક ખૂંટતું હશે તો અમે રજૂઆત કરીશું.
આ પણ વાંચો - Warli Painting : બજેટની બેગ પર ‘વારલી પેઇન્ટિંગ’, જાણો પરંપરાગત અને હજારો વર્ષ જૂની ચિત્રકળા વિશે