Gujarat ATS : આત્મઘાતી હુમલો, BJP - RSS નેતા હતા નિશાને, ISIS સાથે જોડાણ, આંતકીઓને લઈ ચોંકાવનારા ખુલાસા
ગુજરાત એટીએસને (Gujarat ATS) મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસએ હવાઈ માર્ગે પ્રવેશેલા 4 આંતકીઓની ધરપકડ કરી છે. આ મામલે ગુજરાત ATS એ પ્રેસ કોન્ફરન્સ યોજીને મોટા ખુલાસા કર્યા છે. ગુજરાત એટીએસના જણાવ્યા મુજબ, ચારેય આંતકી ચેન્નાઇ એરપોર્ટથી (Chennai airport) વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad airport) પહોંચ્યા હતા. ગુજરાત ATS એ વોચ ગોઠવીને ચારેય આંતકીઓને ઝબ્બે કર્યા છે. આ ચારેય શ્રીલંકન નાગરિકો હોવાનું સામે આવ્યું છે અને ચારેય આતંકી ISIS સાથે સંકળાયેલા હોવાનો અને સુસાઈડ બોમ્બર હોવાનો મોટો ખુલાસો પણ થયો છે.
ચારેય આંતકી શ્રીલંકાના નાગરિક, ISIS ના સક્રિય સભ્યો
માહિતી મુજબ, બે સપ્તાહથી ગુજરાત એટીએસને (Gujarat ATS) બાતમી હતી કે ચાર આંતકી અમદાવાદ (Ahmedabad) આવવાના છે. ત્યારે ગુજરાત ATS એ રેલવે સ્ટેશન, એરપોર્ટ અને બસ સ્ટેશન સહિતના સ્થળો પર વોચ ગોઠવી હતી. આજે ગુજરાત ATS એ એરપોર્ટ પરથી આ ચારેય આંતકી અને શ્રીલંકન નાગરિકોની (Sri Lankan) ધરપકડ કરી છે. આતંકીઓની ધરપકડ બાદ ગુજરાત ATS ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં DGP વિકાસ સહાયએ (DGP Vikas Sahay) મીડિયાને જણાવ્યું કે, ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને (DySP Harsh Upadhyay) બાતમી મળી હતી કે ચાર વ્યક્તિ કે જેમના નામ અબ્દુલ મોહમ્મદ રશદિન, નુફેર મોહમ્મદ અફરાન, મોહમ્મદ ફરિશ મોહમ્મદ અને અહેમદ મોહમ્મદ નુશરથ છે તે શ્રીલંકાના નાગરિક છે અને આંતકવાદી પ્રતિબંધિત સંસ્થા ISIS સાથે સંકળાયેલા છે અને સક્રિય સભ્યો છે.
આતંકીઓ પાસેથી ISIS ફ્લેગ, ભારત અને શ્રીલંકન ચલણ મળ્યા
DGP વિકાસ સહાયએ આગળ જણાવ્યું કે, બાતમી હતી કે ISIS ની વિચારધારા ધરાવતા આ ચારેય શખ્સ રાજ્યમાં આતંકી પ્રવૃત્તિને અંજામ આપવા માટે 18 અથવા 19 મેના રોજ અમદાવાદ (Ahmedabad) આવવાના છે. આથી એટીએસની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. આ ચારેય આંતકીઓને ઝડપી લેવા માટે ATS ની અનેક ટીમ કામે લાગી હતી. આતંકીઓ ગુજરાતમાં આવતા હોવાની કોલંબોમાં (Colombo) ખરાઈ કરાઇ હતી. અમદાવાદ એરપોર્ટ પર આતંકીઓના નામની ખરાઈ કરાયા બાદ અટકમાં લેવાયા છે. ડીજીપીએ આગળ જણાવ્યું કે, આતંકીઓની તપાસ કરતા તેમની પાસેથી ISIS નો ફ્લેગ પણ મળ્યો છે. ઉપરાંત, ભારતીય અને શ્રીલંકન ચલણ તથા બે મોબાઈલ ફોન મળી આવ્યા છે. 4 પૈકી બે આતંકી ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ છે.
આંતકીઓ આત્મઘાતી હુમલાની તૈયારીમાં હતા : DGP
DGP વિકાસ સહાયએ આગળ જણાવ્યું કે, આ ચારેય શખ્સની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ચારેય પાકિસ્તાન (Pakistan) સ્થિત અબુના સંપર્કમાં હતા. અબુએ તેમને 4 લાખ શ્રીલંકન રૂપિયા આપ્યા હતા. DGP વિકાસ સહાય એ મોટો ખુલાસો કરતા કહ્યું કે, પ્રાથમિક અહેવાલ છે કે આતંકીઓ આત્મઘાતી હુમલો કરવાની તૈયારીમાં હતા અને BJP અને RSS ના નેતાઓને નિશાન બનાવવાના હતા. આ કેસમાં તપાસ હેઠળ નાના ચિલોડા (Nana Chiloda) વિસ્તારમાંથી 3 પિસ્તોલ પણ મળી આવી છે. આ પિસ્તોલ પાકિસ્તાન બનાવટની હતી. પિસ્તોલની સાથે 20 કારતૂસ પણ મળી આવ્યા છે. તેમણે જણાવ્યું કે, આ ચારેય ISIS સાથે સંકળાયેલા હોવાનું અને પ્રોટોન મેલ (Proton Mail) થકી આકાઓના સંપર્કમાં હોવાની માહિતી છે. આતંકીઓના મનસૂબા જાણવા દુભાષિયાની મદદ લેવાઈ છે. આતંકીઓ તામિલ ભાષા (Tamil language) જાણતા હોવાથી દુભાષીયાની મદદ લેવાઇ છે. આ મામલે હવે આતંકીઓ ક્યાં રોકવાના હતા ? આતંકીઓને સ્થાનિક મદદ મળતી હતી કે કેમ ? સહિતની તપાસ કરાશે.
આ પણ વાંચો - Gujarat ATS : અઠવાડિયાની મહેનત બાદ ઝડપાયા IS ના ખૂંખાર આતંકી
આ પણ વાંચો - VADODARA : પિતાનો ઠપકો લાગી આવતા પુત્રએ અંતિમ પગલું ભરી લીધું
આ પણ વાંચો - Ahmedabad : અસામાજીક તત્વોએ આતંક મચાવી પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો